તેલ આયાત બિલ ઘટાડવા વીરપ્પા મોઇલીનો નવો તુક્કો
વર્તમાન સમયની વાત કરીએ તો સામાન્ય રીતે ઓફિસ ટાઇમ સવારે 9થી સાંજે 5.30 સુધીનો હોય છે. હવે પેટ્રોલિયમ પ્રધાન વીરપ્પા મોઇલીએ આઇડિયા આપ્યો છે કે ઓફિસના ટાઇમ બદલીને સવારે 7થી બપોરે 3 અથવા સવારે 8થી બપોરે 4 વાગ્યા સુધીનો કરવામાં આવે. મોઇલીનું અનુમાન છે કે આમ કરવાથી દેશને અંદાજે 5 અબજ ડોલરની બચત થશે.
સમગ્ર દેશમાં મેગા તેલ બચત અભિયાનનો મંગળવારે શુભારંભ કરાવતા જણાવ્યું કે 52 કરોડ રૂપિયાના આ અભિયાનથી તેલની માંગ ઘટશે. જેના કારણે દેશને વાર્ષિક 5 અબજ ડોલરની બચત થશે. દેશમાં ગયા વર્ષે 144.29 અબજ ડોલરના તેલની આયાત કરવામાં આવી હતી. ચાલુ ખાતા પર અસર કરતો સૌથી મોટો ખર્ચો છે.
મોઇલીએ જણાવ્યું કે આ માટે મેં કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન રાજ્ય મંત્રીને પત્ર લખીને તેમને સરાકારી ઓફિસો માટે અલગ અલગ સમય રાખવા માટે કહ્યું છે. તેનાથી પીક અવર એટલે કે વ્યસ્ત કલાકો દરમિયાન માર્ગ પર ભીડ અને ટ્રાફિક જામ ઘટશે સાથે ઇંધણની બચત પણ થશે. આ ઉપરાંત તમામ મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રાલયો અને જાહેર ક્ષેત્રના ઉપક્રમોના પ્રમુખોને સપ્તાહમાં એક દિવસ કર્મચારીઓ માટે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરવાનો આગ્રહ કરવા જણાવવામાં આવ્યો છે.