જ્યારે ડૉ.કલામે રાષ્ટ્રપતિની ખુરશી પર બેસવાની ના પાડી!
સોમવારે, ભારતના સૌથી લોકપ્રિય રાષ્ટ્રપતિ એવા અબ્દુલ કલામે શિલોંગમાં એક કાર્યક્રમ દરમિયાન પોતાના છેલ્લા શ્વાસ લીધા. હદય રોગના હુમલો થવાના કારણે અબ્દુલ કલામનું નિધન થયું.
જો કે સાદગી અને માનવતાવાદી અભિગમના જીવતા જાગતા સ્વરૂપ સમાન ડૉ. અબ્દુલ કલામે અનેક વાર તેવા પ્રેરણાદાયી કાર્યો કર્યા છે જેનાથી તેમની એક લોકપ્રિય રાષ્ટ્રપતિ તરીકે પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે. ત્યારે આજે તેમના જીવનની કેટલીક ખાસ કિસ્સા આજે અમે તમને જણાવાના છીએ.
એક વાર આઇઆઇટી ભુવનેશ્વરમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે ડૉ અબ્દુલ કલામને બોલાવવામાં આવ્યા. ત્યાં સ્ટેજ પર પાંચ ખુરશી રાખવામાં આવી હતી. જેમાં અબ્દુલ કલામની ખુરશી મોટી અને વિશાળ હતી. અને અન્ય ખુરશીઓ જેની પર યુનિવર્સિટીના અન્ય સદસ્યો બેસવાના હતા તેમની ખુરશી નાની હતી. ત્યારે ડૉ.કલામે તે રાષ્ટ્રપતિની ખુરશી પર બેસવાનો ઇન્કાર કરી દીધો. તેમણે કહ્યું કે બધાની ખુરશીઓ સમાન હોવી જોઇએ. જે બાદ અન્ય એક ખુરશીની વ્યવસ્થા કરવામાં આવી.
અન્ય એક કિસ્સામાં ડૉ. અબ્દુલ કલામ જ્યારે કેરલાના તિરુવંતપુરમના રાજ્ય ભવનની પ્રથમ વાર મુલાકાત કરવાના હતા ત્યારે તેમણે એક રસ્તા પર બેસતા મોચી અને એક નાનકડી હોટલના માલિકને "રાષ્ટ્રપતિના મહેમાનો" તરીકે ત્યાં બોલાવ્યા હતા. એટલું જ નહીં રાષ્ટ્રપતિ ભવનથી તેમના માટે ખાસ આમતંત્ર પત્ર પણ મોકલવામાં આવ્યો હતો. અને સન્માન સાથે તેમને રાજ્ય ભવનમાં બોલવવામાં આવ્યા હતા.
આ બન્ને જણા સાથે કલામની ધનિષ્ઠતા ત્યારે થઇ હતી જ્યારે તે કેરળમાં એક વિજ્ઞાની તરીકે કામ કરતા હતા. હોટલના માલિકને ત્યાંથી કલામ તેમનું રોજનું ભોજન માંગવતા હતા. અને મોચી જોડે તે પોતાના બૂટ પોલિશ કરાવતા હતા. ત્યારે રાષ્ટ્રપતિ બન્યા બાદ પણ તેમણે આ લોકોને ભૂલવાના બદલે તેમને યાદ કરીને તેમના વ્યક્તિત્વની ઉદારતા બતાવી હતી.
ત્યારે ડૉ.કલામના આવા જ માનવીય અભિગમ અને સરળતાના કારણે તેમની મૃત્યુ બાદ પણ લોકો તેમને યાદ કરીને તેમને સલામ કરે છે.