DRDO ચીફ અને અગ્નિ મિસાઇલના પ્રણેતા અવિનાશ ચંદ્રને શા માટે બરતરફ કરાયા?
નવી દિલ્હી, 14 જાન્યુઆરી : દેશની નરેન્દ્ર મોદી સરકારે મંગળવારે દેશના અગ્રણી રક્ષા સંશોધન સંગઠન ડીઆરડીઓ (DRDO)ના વડા અવિનાશ ચંદ્રને તેમનો કોન્ટ્રાક્ટ પૂરો થાય તેના 15 મહિના પહેલા જ પદ પરથી દૂર કરી દેવામાં આવ્યા છે.
એક સરકારી પરિપત્ર અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી કેબિનેટની નિયુક્તિ બાબતોની સમિતીએ અવિનાશ ચંદ્રનો કોન્ટ્રાક્ટ ખતમ કરવાનો નિર્ણય લીધો છે. આ કોન્ટ્રાક્ટ હવે 31 મે, 2016ને બદલે 31 જાન્યુઆરી, 2015ના રોજ પૂરો થઇ જશે.
મહત્વની બાબત એ છે કે દેશની રક્ષા સંશોધન અને વિકાસના સચિવ ઉપરાંત ડીઆરડીઓના મહાનિર્દેશક અને રક્ષા મંત્રીના વૈજ્ઞાનિક સલાહકાર અવિનાશ ચંદ્રને 64 વર્ષ પૂરા થતા પાછલા વર્ષે 30 નવેમ્બરના રોજ સેવાનિવૃત્ત થયા હતા. ત્યારે તેમની સાથે 31 મે, 2016 એટલે કે 18 મહિનાનો કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો હતો.
ચંદ્ર સાથે કોન્ટ્રાક્ટ કર્યા બાદ તેમની પદ પરથી હટાવી લેવાની સરકારના પગલા સામે અનેક પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. વિશ્લેષકોનું માનવું છે કે આ પગલું વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એ ટિપ્પણીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે, જેમાં તેમણે જણાવ્યું હતું કે ડીઆરડીઓના નિશ્ચિંતતાવાળા વલણને ચલાવી લેવામાં આવશે નહીં.
હાલ, અવિનાશ ચંદ્ર સાથે કોઇ સંપર્ક થઇ શક્યો નથી, કારણ કે તે ફોન ઉઠાવી રહ્યા નથી. દિલ્હીના આઇઆઇટીમાંથી ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએટ થયેલા ચંદ્રએ પછીથી 1972માં રક્ષા વિકાસ અને સંશોધન સંસ્થા (ડીઆરડીઓ - DRDO)માં સેવા શરૂ કરી હતી.