"તમામ ટીવી ચેનલો દૂરદર્શનના નિસ્તેજ સંસ્કરણ જેવી દેખાશે.."
પ્રસાર ભારતી બોર્ડના નવા ચીફ એક્ઝિક્યુટિવ બન્યા છે શશી શેખર વેમ્પતિ.વનઇન્ડિયા સાથેના ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું કે, વર્ષ 2022માં અન્ય ચેનલો ડીડી અને ઓલ ઇન્ડિયા રેડિયોના નિસ્તેજ સંસ્કરણ જેવી દેખાશે.
શુક્રવારે પ્રસાર ભારતી બોર્ડના નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે શશી શેખર વેમ્પતિની નિમણૂક કરવામાં આવી છે. આ સામચાર બહાર આવતાની સાથે જ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટ મિનિસ્ટર વૈંકેયા નાયડુએ ટ્વીટર પર લખ્યું હતું, પ્રસાર ભારતીના નવા સીઇઓ શશી શેખર વેમ્પતિને અભિનંદન. તમારી અગેવાની હેઠળ પ્રસાર ભારતી નવી ઉંચાઇઓ સર કરે એવી આશા રાખીએ છીએ.
શશી શેખરે પ્રસાર ભારતની સીઇઓ તરીકે ચૂંટાઇ સફળતા મેળવી છે, પરંતુ આઇઆઇટી મુંબઇના પૂર્વ વિદ્યાર્થી રહી ચૂકેલ શશી શેખર માટે આગળનો રસ્તો ખરેખર કપરો છે. આગલા 5 વર્ષના પોતાના કાર્યકાળમાં તેઓ દૂરદર્શન અને ઓલ ઇન્ડિયા રેડિયો બંન્નેની તસવીર બદલવાની આશા રાખી રહ્યાં છે. વનઇન્ડિયા સાથેના પોતાના ઇન્ટરવ્યૂમાં તેમણે અંગે ખુલીને વાત કરી હતી અને ઉમેર્યું હતું કે, વર્ષ 2022 સુધીમાં ડીડી અને ઓલ ઇન્ડિયા રેડિયોની જૂની ચમક પાછી આવશે અને આ કામ થઇ ગયાં બાદ અન્ય ચેનલો ડીડી અને ઓલ ઇન્ડિયા રેડિયોના નિસ્તેજ સંસ્કરણ જેવી દેખાશે.
તમે કહ્યું કે, પ્રસાર ભારતીમાં વિશ્વાસની ખામીને કારણે તે પાછું પડ્યું, શું તમે અંગે વધુ વિસ્તારપૂર્વક જણાવશો?
પ્રસાર ભારતીની ઇકોસિસ્ટમને ફરીથી સંતુલિત કરવાની જરૂર છે, ખાસ કરીને અમારા સ્ટેકહોલ્ડર્સ, એક્સટર્નલ પાર્ટનર્સ અને મોટી સંખ્યામાં આવેલ કર્મચારીઓ વચ્ચે.
હું જ્યારે પ્રસાર ભારતી કહું ત્યારે મારો અર્થ છે, ડીડી અને ઓલ ઇન્ડિયા રેડિયોને સમાવી લેતું સંપૂર્ણ સંગઠન.
કંઇ કેટલાયે વર્ષોથી આ સંગઠનને લગતી અને સંગઠનમાં રહેલ જટિલ સમસ્યાઓ તરફ ધ્યાન આપવામાં નથી આવ્યું, જે ખેદની વાત છે. જેની અસર આ સંગઠન પર રહેલ વિશ્વાસ પર પડે છે. સાથે જ પ્રસાર ભારતી સાથે અને પ્રસાર ભારતી હેઠળ 'કામ કરવાની સરળતા' પર પણ તેની અસર થાય છે.
અમારે ખૂબ મહેનત સાથે અમારા સ્ટેકહોલ્ડર્સ સાથે કુશળતાપૂર્વક કામ લેવાની જરૂર છે, જેથી અમારી કામગીરી, નીતિઓ અને અમારા લેણદેણ પર વિશ્વાસ વધે, પ્રસાર ભારતી સાથે કામ કરવાની સરળતામાં વધારો થાય અને પ્રસાર ભારતી કામ કરવા માટે ઉત્તમ અને શ્રેષ્ઠ સ્થળ બની શકે.
માલગુડી ડેઇઝ જેવી સિરિયલો ફરીથી ટેલિકાસ્ટ થઇ રહી છે. દર્શકોને આકર્ષવા માટે શું આવી જૂની ક્લાસિક સિરિયલો પર જ આધાર રાખવામાં આવશે કે નવા ક્રિએટિવ કન્ટેન્ટનો ઉમેરો કરવામાં આવશે?
આવી જૂની સિરિયલો, જૂની યાદો એ ડીડીની તાકાત અને મહત્વપૂર્ણ મિલકત છે. બ્રાન્ડ લોયલ્ટીના નિર્માણ તરફ આ પહેલું પગલું છે. જો કે, વધુ ને વધુ દર્શકોને આકર્ષવા તથા જાળવી રાખવા માટે માત્ર આની પર આધાર ન રાખી શકાય. એ માટે અમારે યુવાનોની કલ્પનાને કેદ કરતી, સંમોહક સામગ્રી આગળ ધરવી પડશે, એવી સામગ્રી જે તેમની રોજબરોજની જિંદગીનો એક ભાગ બની જાય.
શું ડીડી અને ઓલ ઇન્ડિયા રેડિયો બીબીસી અને એલ-જઝીરાની માફક ગ્લોબલ વોઇસ બની શકશે?
આપણો દેશ એકમાત્ર એવો દેશ છે, જ્યાં અબજો લોકોનું લોકતંત્ર ચાલે છે. આથી ભારતીય મૂલ્યો, સિદ્ધાંતો અને અબજો લોકોની આશા અને મહત્વાકાંક્ષાનું પ્રતિબિંબ દુનિયા સામે રજૂ કરવાની આપણી પાસે એક તક છે અને જવાબદારી પણ છે.
આ વિશ્વને પણ ભારતની વાર્તા અંગે ખબર હોવી જઇએ, વર્ષ 2022માં અબજો લોકોનું આ એકમાત્ર લોકતંત્ર 75 પૂર્ણ કરશે. આ એક અદ્વિતીય અને અભૂતપૂર્વ ક્ષણ હશે.
વૈશ્વિક ઘટનાઓ, ભૂ-રાજનીતિના પરિવર્તનો અને આપણા ગ્રહ સાથે સંબંધિત ગંભીર બાબતો અંગે ભારતનો શું મંતવ્ય છે, એની જાણકારી દુનિયાને પણ મળવી જોઇએ.
આ માટે આપણે એક મજબૂત ગ્લોબલ પ્લેટફોર્મ ઊભું કરવાની જરૂર છે અને આ પડકાર ઝીલવા અને તેને શક્ય બનાવવા માટે પ્રસાર ભારતી તૈયાર છે.
શું તમને લાગે છે કે ડીડી અને ઓલ ઇન્ડિયા રેડિયો સોશિયલ મીડિયા પર પૂરતા સક્રિય છે?
સોશિયલ મીડિયા પર શરૂઆત થઇ ચૂકી છે, જેને હજુ વિસ્તૃત કરવાની છે અને તે ખૂબ જરૂરી છે. સોશિયલ મીડિયાના ઉપયોગમાં અમારે થોડા રચનાત્મક થવાની જરૂર છે, જેથી તેની અસરકારકતામાં વધારો થાય. આ મુદ્દાને અમે સૌથી વધુ પ્રાધાન્ય આપવાના છીએ.
ડીજિટલ યુગમાં ડીડી અને ઓલ ઇન્ડિયા રેડિયોને વધુ સ્પર્ધાત્મક બનાવવા માટે તમારી પાસે કઇ યોજનાઓ છે?
વર્ષ 2022ના પ્રસાર ભારતીના અમારા સપનાને પૂરું કરવા માટે અમે જલ્દી જ એક રોડમેપ રજૂ કરીશું.
શું ડીડી અને ઓલ ઇન્ડિયા રેડિયો સરકાર માટે મહત્વની ભૂમિકા ભજવશે?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિવિધ યોજનાઓ જેવી કે સ્વચ્છ ભારત, બેટી બચાઓ બેટી પઢાઓ વગેરેની જાણકારી લોકો સુધી પહોંચાડવા માટે અમે અનેક કેમ્પેન કર્યા છે, જે ચાલુ રહેશે.
શું પ્રસાર ભારતી બોર્ડ માટે કોઇ ગ્લેમર ફેસની જરૂર છે? જો હા, તો એનાથી શું મદદ મળશે?
હાલની પરિસ્થિતિમાં કોઇ ચહેરા અંગે ટિપ્પણી કરવી મારા માટે યોગ્ય નથી. પ્રસાર ભારતી બોર્ડ માટે સિલેક્શન કમિટિ દ્વારા નિમણુક કરવામાં આવે છે, જેના પ્રમુખ ભારતના વાઇસ પ્રેસિડન્ટ છે. આ સમિતિની સૂઝબૂઝ અને નિર્ણય પર આપણે વિશ્વાસ રાખવાનો છે.
બોર્ડના દરેક સભ્ય તરફથી જે વિવિધ અનુભવો અને જ્ઞાન અમને મળે છે, એની અમે કદર કરીએ છીએ.
અમે એક પરિવર્તનમાંથી પસાર થવાના છીએ, જેને માટે આ અનુભવો અને જ્ઞાન ખૂબ જરૂરી છે. અમને આશા છે કે, તેઓ આ કામગીરી માટે તથા અમને માર્ગદર્શિત કરવાના કાર્ય માટે પૂરતો સમય આપી શકશે.
પ્રાઇવેટ ટીવી ચેનલોએ ડીડીને માત આપી છે. ડીડીની પહોંચમાં ધ્યાનમાં રાખતાં શું સરકાર તરફથી તેને પ્રમોટ કરવાના પૂરતા પ્રયાસો થયા છે?
તમામ ચેનલોમાં આજે પણ ડીડીની પહોંચ સૌથી વધુ છે. આ પહોંચ જ અમારી શક્તિ છે, અમારે આ તાકાત વધારવાની દિશામાં કામ કરવાનું છે, ટેક્નોલોજીના નવીન ઉપયોગ અને રચનાત્મક વિષય વસ્તુના જોરે ડીડીની અસરકારકતા વધારવા પર અમારે કામ કરવાનું છે.
ડીડીને 21મી સદીનું મીડિયા ઓર્ગેનાઇઝેશન બનવામાં કેટલો સમય લાગશે?
અહીં અમારે લોકોની વિચારસરણીમાં પરિવર્તન લાવવાનું છે. એકવાર એ થઇ જાય પછી ટેક્નોલોજી અને સિસ્ટમના ફેરફારો આપોઆપ થવા લાગશે.
વર્ષ 2002 સુધીમાં ડીડી અને ઓલ ઇન્ડિયા રેડિયોની સુરત કેવી હશે?
હાલના દિવસોમાં ડીડી અને ઓલ ઇન્ડિયા રેડિયોનું ગ્લોરીફાઇડ સંસ્કરણ ચર્ચાનો વિષય છે. વર્ષ 2022 સુધીમાં જ્યારે અમે ડીડી અને ઓલ ઇન્ડિયા રેડિયોની ચમક પાછું લાવવાનું અમારું કામ પૂર્ણ કરી લેશું ત્યારે અન્ય ચેનલો ડીડી અને ઓલ ઇન્ડિયા રેડિયોના નિસ્તેજ સંસ્કરણ જેવી લાગશે.