CM યોગીનો આદેશઃ 20 કલાક કામ રહો, નહીં તો ચાલતી પકડો
યોગી આદિત્યનાથે અધિકારીઓને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે, તેઓ 20 કલાક કામ કરવા માટે તૈયાર રહે અને નહીં તો ચાલતી પકડે.
ઉત્તર પ્રદેશ ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સત્તામાં આવ્યા બાદ એક પછી એક ઠોસ નિર્ણયો લીધા છે. આ જ શ્રેણીમાં તેમણે પોતાના કર્મચારીઓને સ્પષ્ટ સૂચના આપી છે. તેમણે કહ્યું છે કે, જો તમે 18થી 20 કલાક કામ ન કરી શકો, તો વિદાય માટે તૈયાર રહો. તેમણે કહ્યું છે કે, જો તમે યુપીની કાયાપલટ માટે 18થી 20 કલાક કામ કરવા તૈયાર ન હોવ તો તમે જઇ શકો છો.
10 વાગ્યા સુધીમાં ઓફિસ પહોંચો
સરકારમાં આવતા જ મુખ્યમંત્રીએ ગેરકાયદેસર કતલખાનાઓ પર હુમલો કર્યો હતો, ત્યાર બાદ તેમણે મહિલાઓની સુરક્ષા માટે એન્ટિ રોમિયો દળની રચના કરી હતી. આ કારણે તેઓ સતત ચર્ચામાં રહ્યા હતા. તેમનો હવેનો નિર્ણય જોતાં સ્પષ્ટ છે કે, યોગી આદિત્યનાથને હવે રોકી શકાય એમ નથી. તેમણે મંત્રીઓ અને અધિકારીઓને સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે, તેઓ 10 વાગ્યા સુધીમાં ઓફિસ પહોંચી જાય. સાથે જ કાર્યાલયોમાં બને એટલી જલ્દી બાયોમેટ્રિક મશીનો પણ લગાવવામાં આવશે.
હું નહીં, BJPનો દરેક કાર્યકર્તા છે CM
ગોરખપુરમાં યોગી આદિત્યનાથે કહ્યું કે, પ્રદેશની જનતાએ અમારી પર વિશ્વાસ કર્યો છે, અમારી પર ખૂબ મોટી જવાબદારી છે. પાર્ટીના કાર્યકર્તાઓએ ઉત્તર પ્રદેશને નવી ઓળખાણ આપવા માટે ખૂબ મહેનત કરવી પડશે. અમારી સામે મોટો પડકાર છે, જે લોકો 18થી 20 કલાક કામ કરી શકતા હોય તે અમારી સાથે રહી શકે છે, બાકીનાને પોતાના રસ્તે જવાની પૂરી છૂટ છે. આગળના બે મહિનાઓમાં અમે એવું કામ કરીશું કે, લોકોને પરિવર્તન દેખાવા લાગશે. હું એકલો ઉત્તર પ્રદેશનો મુખ્યમંત્રી નથી, ભાજપના તમામ કાર્યકર્તાઓ મુખ્યમંત્રી છે. આપણે યુપીને નવી ઓળખાણ આપવાની છે. યુપીને ભ્રષ્ટાચાર મુક્ત બનાવી અહીં કાયદાકીય રાજ સ્થાપિત કરવાનું છે.
ગુંડાઓને થશે જેલ
યોગી આદિત્યનાથે કહ્યું કે, મેં પીડબ્લ્યૂડીને સ્પષ્ટ જણાવી દીધું છે કે, તેઓ યુપીના રસ્તાઓને 15 જૂન સુધીમાં ખાડા-મુક્ત કરશે. યુપીમાં વીજળીની સેવા માટે પણ વિભાગને આદેશ આપવામાં આવ્યા છે. પહેલાની સરકારે જે ગુંડાઓને આશ્રય આપ્યો હતો, તેઓ પ્રદેશ છોડીને જતા રહે, નહીં તો તેમને જેલ જવાનો વારો આવશે. અમારી સરકાર કોઇને ભૂખ્યા નહીં રહેવા દે, કોઇ યુવતી પૈસાના અભાવે અવિવાહિત નહીં રહે.
મનસરોવની યાત્રા માટે મળશે ગ્રાન્ટ
મુખ્યમંત્રીએ આ સાથે જ કહ્યું હતું કે, માનસરોવરના યાત્રીઓને 50 હજાર રૂપિયાથી લઇને એક લાખ રૂપિયા સુધીની ગ્રાન્ટ મળશે. તેમણે પોલીસને નિર્દેશ આપ્યો છે કે, પોલીસ મથકો ખાતે પીવાના સ્વચ્છ પાણીની વ્યવસ્થા કરવામાં આવે. આ સિવાય તેમણે દરેક સરકારી વિભાગમાં સીસીટીવી કેમેરા લગાવવાનો પણ નિર્દેશ આપ્યો છે.
અહીં વાંચો