દિલ્હીને પ્રદૂષણથી બચાવવા માટે કેજરીવાલની ફોર્મ્યુલા- શાળા, ફેક્ટરી, નિર્માણ કાર્ય બંધ
કેજરીવાલે કહ્યુ કે દિલ્હી પર આવી પડેલ મુશ્કેલી નિવારવા માટે દિલ્હી સરકારે ઘણા નિર્ણયા કર્યા છે. આ નિર્ણયો અંતર્ગત 5 દિવસ સુધી દરેક પ્રકારના ડિમોલીશન અને નિર્માણ કાર્ય બંધ રહેશે...
ભારે પ્રદૂષણે દિલ્હીને પોતાની લપેટમાં લઇ લીધુ છે. ઝેરી હવા અને રેકોર્ડતોડ પ્રદૂષણની ચિંતા વ્યક્ત કરતા કેન્દ્ર સરકારે ઇમરજંસી ઘોષિત કરી છે. સોમવારે દિલ્હી અને તેના પડોશી રાજ્યો (યુપી, હરિયાણા અને પંજાબ) ના પર્યાવરણ મંત્રીઓની મીટિંગ બોલાવી છે. જ્યારે દિલ્હીમાં પ્રદૂષણ માટે સીએમ કેજરીવાલે પોતાના ઘરે કેબિનેટની ઇમરજંસી મીટિંગ બોલાવી હતી.
કેજરીવાલના નિર્ણયો
આ મીટિંગ બાદ કેજરીવાલે કહ્યું કે આ મુશ્કેલી નિવારવા માટે દિલ્હી સરકારે ઘણા મહત્વના નિર્ણયો કર્યા છે. આ નિર્ણયો અંતર્ગત 5 દિવસની અંદર દરેક પ્રકારનું ડિમોલીશન અને નિર્માણ કાર્ય બંધ રહેશે. રસ્તાઓ પર કાલથી મોટા સ્તર પર પાણીનો છંટકાવ કરવામાં આવશે. આ ઉપરાંત બદરપુરા પ્લાંટ આગામી 10 દિવસ સુધી બંધ રહેશે. વળી, બધી શાળાઓ 3 દિવસ સુધી બંધ રહેશે. જરુર પડી તો ઓડ-ઇવન ફોર્મ્યુલા ફરીથી શરુ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે ખેતરોનો પાક બાળવાથી આટલો ધૂમાડો થશે તેવી કલ્પના નહોતી.
વધુમાં તેમણે કહ્યું કે શાળાઓ થોડા દિવસ માટે બંધ રહેશે જેથી બાળકોના સ્વાસ્થ્યની સમસ્યાઓથી બચી શકાય. સ્થિતિ એટલી ઇમરજંસીવાળી છે કે બધુ જ રોકી દેવાની જરુર છે. જો કોઇ પણ જગ્યાએ પત્તા બાળવામાં આવ્યા તો એરિયા ઇંસ્પેક્ટર જવાબદાર રહેશે.
કેન્દ્રીય પર્યાવરણ મંત્રી અનિલ માધવ દવેની અપીલ
કેન્દ્રીય પર્યાવરણ મંત્રી અનિલ માધવ દવે એ જણાવ્યુ કે, પ્રદૂષણથી દિલ્હીમાં ઇમરજંસીની સ્થિતિ છે, આ સ્થિતિ ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને દર્દીઓ માટે ખતરનાક છે. આનાથી બચવા માટે વહેલામાં વહેલી તકે પગલા લેવા પડશે. તેમણે અપીલ કરી કે દિલ્હીના રાજકીય પક્ષો આરોપ-પ્રત્યારોપના કોઇ ખેલ ના ખેલે અને આ સમસ્યા ઉકેલવામાં સહયોગ કરે. તેમણે વધુમાં જણાવ્યુ કે સ્થિતિ 'બહુ જ ખરાબ' છે અને આના ઉકેલ માટે તાત્કાલિક અલ્પકાલિન ઉપાય કરવાની જરુર છે. દવે એ કહ્યું કે તેમણે કેજરીવાલ સાથે 'ઇમરજંસી ઉપાયો' પર ચર્ચા કરી છે જેમાં ધૂળ, પ્રદૂષણ અને પાક બાળવા પર નિયંત્રણની રીતો પણ શામેલ હતા.
તૂટ્યો 17 વર્ષનો રેકોર્ડ
દિલ્હી અને એનસીઆરના ઘણા વિસ્તારોમાં સ્મોગ ફેલાયેલુ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ દિવાળી બાદ વધેલા પ્રદૂષણને કારણે આ સ્મોગ વધુ ખતરનાક બની ગયુ છે. વાતાવરણમાં ફેલાયેલુ આ પ્રદૂષણ છેલ્લા 17 વર્ષોમાં સૌથી વધારે બતાવવામાં આવી રહ્યું છે.
શું છે કારણો
દિવાળી બાદ દિલ્હીની આબોહવાને લઇને સૌથી વધારે ચર્ચા અને વિરોધ ફટાકડાનો થઇ રહ્યો છે. કેટલાક લોકોનું કહેવુ છે કે દિલ્હી એનસીઆરમાં એટલા ફટાકડા ફૂટ્યા કે બધી બાજુ ધૂમાડો ફેલાઇ ગયો. જો કે સાચુ કારણ શું છે તે કોઇને ખબર નથી. કેટલાક લોકો કહે છે કે પંજાબ અને હરિયાણામાં ખેડૂતોએ ખેતરોમાં પૂળા અને પાકના અવશેષો બાળ્યા તેનાથી અચાનક સ્મોગ છવાઇ ગયુ. ફેક્ટરી અને ડિઝલ ગાડીઓમાંથી નીકળતો ધૂમાડો પણ મુસીબત બની રહ્યો છે.