EXIT POLLS: મોદીના વાયદા પર ઝારખંડે કર્યો વિશ્વાસ, બહુમતી સાથે સત્તામાં આવશે ભાજપ
નવી દિલ્હી, 20 ડિસેમ્બર: ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીને લઇને થઇ રહેલા મતદાનનો અંતિમ તબક્કો પુરો થઇ ગયો છે. કમિશન દ્વારા મળતી માહિતી અનુસાર અહીં ભારે મતદાન થયું છે. ચૂંટણી કમિશનનું માનીએ તો ઝારખંડમાં અંતિમ તબક્કામાં 70 ટકા મતદાન થયું છે. પરંતુ હવે સમય આવી ગયો છે એક્ઝિટ પોલનો. તો એબીપી-નીલ્સન સર્વેની વાત કરીએ તો તેના અનુસાર નરેન્દ્ર મોદીના 'અચ્છે દિન'નો નારો અહીંના લોકોને ગમી ગયો છે અને ઝારખંડમાં આગામી સરકાર ભાજપની બનતી જોવા મળી રહી છે.
એક્ઝિટ પોલના અનુસાર 81 સીટોવાળી ઝારખંડ વિધાનસભામાં 52 સીટો પર ભારતીય જનતા પાર્ટી કબજો કરી રહી છે. ભાજપ પોતાના દમ પર પણ બહુમતી પ્રાપ્ત કરી શકે એવું અનુમાન છે. નીલ્સન એક્ઝિટ પોલના અનુસાર ભાજપના ખાતામાં એકલા 46 સીટો જઇ શકે છે. તો બીજી તરફ એજેએસયૂ 5 અને એલજેપી એક સીટ જીતી શકે છે. ગત વિધાનસભામાં ભાજપ ગઠબંધનએ ફક્ત 24 સીટો મળી હતી જેમાં ભાજપની પાસે 18 સીટો હતી.
બીજી તરફ સત્તાધારી ઝારખંડ મુક્તિ મોરચા એટલે કે જેએમએમ ફક્ત 10 સીટો પર જ સમેટાઇ જશે. ગત વિધાનસભામાં જેએમએમને 18 સીટો મળી હતી. યૂપીએ ગઠબંધનની ખરાબ સ્થિતી થઇ છે. કોંગ્રેસ ગઠબંધન ફક્ત 9 સીટો પર સમેટાઇ જશે. કોંગ્રેસને 7, આરજેડી અને જેડીયૂને એક-એક સીટો મળવાનું અનુમાન છે. બાબૂ લાલ મરાંડીની પાર્ટી જેવીએમની પણ ખરાબ સ્થિતી છે. જેવીએમ 6 સીટો પર સમેટાઇ જશે. ગત વિધાનસભામાં જેવીએમને 11 સીટો મળી હતી. અન્યના ખાતામાં 4 સીટો જઇ શકે છે.