કેજરીવાલે જણાવ્યું નજીબ જંગના રાજીનામા પાછળનું કારણ
કોંગ્રેસ લીડર અજય માકને કહ્યું કે, ઉપરાજ્યપાલ નજીબ જંગે કોઇ દબાણ હેઠળ આવીને રાજીનામું આપ્યું છે અને અમે કેન્દ્ર સરકાર પાસેથી આનું કારણ જાણવા માંગીએ છીએ.
દિલ્હીના ઉપરાજ્યપાલ નજીબ જંગે ગઇકાલે રાજીનામું આપ્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમને રાજ નિવાસ ખાતે મળ્યા હતા. ત્યાર બાદ કેજરીવાલે દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું હતું કે, નજીબ જંગે વ્યક્તિગત કારણોસર રાજીનામું આપ્યું છે. તો બીજી બાજુ, કોંગ્રેસ લીડર અજય માકનનું કહેવું છે કે, ઉપરાજ્યપાલ નજીબ જંગે કોઇ દબાણ હેઠળ આવીને રાજીનામું આપ્યું છે અને અમે કેન્દ્ર સરકાર પાસેથી આનું કારણ જાણવા માંગીએ છીએ.
નજીબ જંગે રાજીનામું આપ્યાની ખબરો બાદ ગુરૂવારે કેજરીવાલે સોશિયલ મીડિયા સાઇટ ટ્વીટર પર ટ્વીટ કરી જણાવ્યું હતું કે, નજીબ જંગે અચાનક રાજીનામું આપતા તેમને પણ આંચકો લાગ્યો છે. સાથે જ તેમણે પોતાના ટ્વીટમાં નજીબ જંગને ભવિષ્ય માટે શુભકામનાઓ પણ પાઠવી હતી. તો બીજી બાજુ નાયબ મુખ્ય પ્રધાન મનિષ સિસોડિયા કહ્યું કે, 'આપ' પાર્ટી અને નજીબ જંગ વચ્ચેના કડવા મીઠા અનુભવો છતાં, આ બંન્નેએ સાથે મળીને દિલ્હીમાં ઘણું સારું કામ કર્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગઇ કાલે નજીબ જંગે દિલ્હીના ઉપરાજ્યપાલ તરીકે રાજીનામું આપતા ઘણાને આંચકો લાગ્યો હતો. તેમની અને અરવિંદ કેજરીવાલ વચ્ચે ઘણા મુદ્દે મતભેદ હતા, એ વાત જગજાહેર છે અને આ કારણે જ નજીબ જંગે રાજીનામું આપ્યુ હોવાની અટકળો લગવવામાં આવી રહી હતી.
એવામાં આજે સવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પત્રકારોને સંબોધતા કહ્યું હતું કે, 'હું તેમને બ્રેકફાસ્ટ માટે મળવા આવ્યો હતો. તેમણે વ્યક્તિગત કારણોસર રાજીનામું આપ્યું છે.' કેજરીવાલે રાજ નિવાસ ખાતે નજીબ જંગ સાથે મુલાકાત કરી હતી.
ભૂતપૂર્વ આઇએએસ નજીબ જંગે 9 જુલાઇ, 2013ના રોજથી દિલ્હીના ઉપરાજ્યપાલ તરીકેની પદવી સંભાળી હતી અને તેમના કાર્યકાળમાં હજુ દોઢ વર્ષ બાકી હતું. 2015માં દિલ્હીમાં કેજરીવાલની સરકાર આવ્યા બાદ આપની દિલ્હી સરકાર અને ઉપરાજ્યપાલ નજીબ જંગ વચ્ચે ઘણા મુદ્દે મતભેદ રહેતા હતા.
નજીબ જંગના રાજીનામા બાદ હવે આ પદ કોણ સંભાળશે એ અંગે પણ અટકળો શરૂ થઇ ગઇ છે અને આ માટે ભૂતપૂર્વ કેન્દ્રિય ગૃહ સચિવ અનિલ બેજલનું નામ સૌથી વધુ ચર્ચામાં છે.