પાકિસ્તાનના લાહોરમાં મૉલ રોડ પર બોમ્બ વિસ્ફોટ, 16નું મૃત્યુ
પાકિસ્તાનના લાહોરમાં પંજાબ વિધાનસભા પાસે થયેલા બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 16 લોકોનું મૃત્યુ થયું છે.
પાકિસ્તાન ના લાહોર માં પંજાબ વિધાનસભા પાસે થયેલા બોમ્બ વિસ્ફોટ માં ઓછામાં ઓછા 16 લોકોનું મૃત્યુ થયું છે અને 60 લોકો ઇજાગ્રસ્ત થયા છે. સોમવારના રોજ લોકો પંજાબ વિધાનસભાની બહાર પ્રદર્શન કરી રહ્યાં હતા ત્યારે આ વિસ્ફોટ થયો હતો. ઉપલબ્ધ જાણકારી અનુસાર કેમિસ્ટ અને ફૉર્માસ્યુટિકલ મેન્યુફેક્ચર્સ પંજાબ વિધાનસભાની બહાર પ્રદર્શન કરી રહ્યાં હતા.
પંજાબના આરોગ્ય મંત્રીએ આ વાતની પુષ્ટિ કરતાં કહ્યું કે, 60 લોકો આ બોમ્બ વિસ્ફોટમાં ઘાયલ થયા છે. આ બોમ્બ વિસ્ફોટમાં એસએસપી જાહિદ ગોંડલ અને ડીઇજી ટ્રાફિક લાહોર કેપ્ટન રિટાયર્ડ અહમદ મોબિનનું મૃત્યુ થયું છે. ટીવી ચેનલો પર આવેલા અહેવાલ અનુસાર બોમ્બ વિસ્ફોટ પહેલાં ડીઇજી રસ્તા પરનો ટ્રાફિક ક્લિયર કરવાનો પ્રયત્ન કરી રહ્યાં હતા.
અહીં વાંચો - કાશ્મીરમાં અમદાવાદના જવાન ગોપાલભાઇ સિંહ થયા શહીદ
ઉપલબ્ધ જાણકારી અનુસાર, 400થી વધુની સંખ્યામાં કેમિસ્ટ અને ફૉર્માસ્યુટિકલ મેન્યુફેક્ચર્સ પંજાબ વિધાનસભાની બહાર પ્રદર્શન કરી રહ્યાં હતા. ત્યારે વિધાનસભાની બહાર મૉલ રોડ પર આત્મઘાતી બોમ્બે પોતાની જાતને ઉડાવી દેતાં મોટો વિસ્ફોટ થયો હતો. બોમ્બ વિસ્ફોટ બાદ ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
આ બોમ્બ વિસ્ફોટ બાદ પાકિસ્તાની આર્મી અને રેજર્સ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને લાહોરની તમામ હોસ્પિટલોમાં કટોકટી જાહેર કરવામાં આવી હતી. ફોરેન્સિક વિભાગની ટીમે પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
અહીં વાંચો - કરુણાનિધિના ઘરમાં ઘુસી બુકાનીધારીએ પત્ની પર તાકી બંદૂક: DMK
ઉલ્લેખનીય છે કે, નેશનલ કાઉન્ટર ટેરેરિઝમ ઓથોરિટીએ 7 ફેબ્રુઆરીના રોજ જ પંજાબ હોમ સેક્રેટરી અને પ્રોવિશિયલ પોલીસ ઓફિસર અને ડીજી પાક રેજર્સને સૂચના આપી હતી કે, કોઇ આતંકી હુમલો થઇ શકે છે.