તંગીથી ત્રસ્ત પાકિસ્તાને ભારતીય ફિલ્મો પરથી પ્રતિબંધ હટાવ્યો, દંગલની આતુરતાથી રાહ
મીડિયામાં આવી રહેલા સમાચારો મુજબ પાકિસ્તાને જ્યારથી ત્યાં હિંદી ફિલ્મો પર પ્રતિબંધ લગાવ્યો છે ત્યારથી તેને ઘણુ નુકશાન થઇ રહ્યુ છે...
પાકિસ્તાનમાંથી એક મોટા સમાચાર એ આવી રહ્યા છે કે ત્યાંના ફિલ્મ એક્ઝીબિટર્સ એસોસિએશને ભારતીય ફિલ્મો પર લગાવેલો પ્રતિબંધ હટાવી લીધો છે. હવે અહીં સોમવારથી પહેલાની જેમ જ ભારતીય ફિલ્મો બતાવવામાં આવશે.
મીડિયામાં આવી રહેલા સમાચાર મુજબ પાકિસ્તાને જ્યારથી હિંદી ફિલ્મો પર પ્રતિબંધ લાદ્યો છે ત્યારથી તેને ઘણુ આર્થિક નુકશાન થઇ રહ્યુ છે. તમને જણાવી દઇએ કે પાકિસ્તાન સિનેપ્લેક્સની 75% રેવન્યૂ ભારતીય ફિલ્મો થકી જ મળે છે અને ભારતીય ફિલ્મો માટે પણ પાકિસ્તાન ત્રીજુ મોટુ બજાર છે.
તંગીથી ત્રસ્ત પાકિસ્તાનમાં ભારતીય ફિલ્મો પરથી પ્રતિબંધ હટાવી લેવાયો છે. જો કે પાકિસ્તાન તરફથી પ્રતિબંધ હટાવવાની વાત પર કોઇ અધિકૃત નિવેદન આપવામાં આવ્યુ નથી પરંતુ થિયેટર માલિકોનું કહેવુ છે કે ભારતીય ફિલ્મો પર માત્ર કામચલાઉ ધોરણે પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો અને હવે અમે પાકિસ્તાની દર્શકોને એ ફિલ્મો બતાવશુ કે જે તેઓ પ્રતિબંધને કારણે જોઇ શક્યા નથી.
ફિલ્મ 'દંગલ' ની આતુરતાથી રાહ
હાલમાં ભારતીય દર્શકો અને થિયેટરોની જેમ પાકિસ્તાનના દર્શકો અને થિયેટરો પણ આમિર ખાનની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ 'દંગલ' ની રાહ જોઇ રહ્યા છે.
ફિલ્મ 'દંગલ' 23 ડિસેમ્બરે રિલીઝ થશે
તમને જણાવી દઇએ કે 'દંગલ' 23 ડિસેમ્બરે રિલીઝ થઇ રહી છે. ફિલ્મનું નિર્માણ આમિર ખાન, કિરણ રાવ અને સિદ્ધાર્થ રોય કપૂરે કર્યુ છે તેમજ તેનું નિર્દેશન નિતેશ તિવારીએ કર્યુ છે. ફિલ્મની વાર્તા હરિયાણાના પહેલવાન મહાવીર સિંહ ફાગેટની રિયલ સ્ટોરી છે, જેણે કોઇ દીકરો ન હોવા પર પોતાની દીકરીઓને પહેલવાની માટે તૈયારી કરી અને બાદમાં તેમની દીકરીઓએ ઘણા મેડલ જીત્યા હતા.