દેવયાની કેસમાં અમેરિકાની આડોડાઇ: નહીં લે કેસ પાછો, નહી માંગે માફી
વોશિંગ્ટન, 20 ડિસેમ્બર: અમેરિકાએ ભારતીય મહિલા રાજદૂત દેવયાની ખોબરાગડેના મામલે આરોપ પાછા લેવા અને તેની સાથે થયેલા અવ્યવહાર બદલ માફી માગવાની બંને માગોનો સ્વીકાર કરવાનો ઇનકાર કરી દીધો છે. દેવયાનીને ગયા સપ્તાહે ન્યૂયોર્કમાં ધરપકડ કરવામાં આવી હતી.
વિદેશ વિભાગની પ્રવક્તા મેરી હર્ફે જણાવ્યું કે 'અમે આ આરોપોને ખૂબ જ ગંભીરતાથી લીધા છે. અમે આ આરોપોથી કોઇપણ સંજોગોમાં પાછા નહીં હટીએ. ફરીથી જણાવી દઉ કે આ કાયદાના પાલનનો મુદ્દો છે.' એવું પૂછાતા કે શું દેવયાનીને છોડી મૂકવામાં આવશે અને અમેરિકન કોર્ટમાંથી આરોપોને રદ કરી દેવાના આદેશ આપવામાં આવશે? હર્ફે જણાવ્યું કે નહીં. રાજદૂતની વિરુધ્ધ આરોપોને રદ કરવાનો ઇનકાર કરતા તેમણે જણાવ્યું કે મને ફરિયાદની વિગતવાર માહિતી નથી અને મને નથી લાગતું કે ફરિયાદ પાછી લેવા પર કોઇ વિચાર કરી રહ્યું છે.
મહારાષ્ટ્રના પૂર્વ વરિષ્ઠ અધિકારી અને ન્યૂયોર્કમાં નિયૂક્ત ભારતીય નાયબ કોન્સલ જનરલ દેવયાની ખોબરાગડેના પિતા ઉત્તમ ખોબરાગડેએ ગુરુવારે ચેતાવણી આપતા જણાવ્યું કે જો અમેરિકામાં તેમની પુત્રીને ન્યાય નહીં મળ્યો તો તેઓ ભૂખ હડતાળ કરશે. ઉત્તમ ખોબરાગડેએ જણાવ્યું કે હું હવેના ઘટનાક્રમની રાહ જોઇશ અને આવતા અઠવાડીએ દિલ્હી જઇશ. હું ત્યાં વડાપ્રધાન મનમોહન સિંહને મળીશ અને યુપીએની અધ્યક્ષા સોનિયા ગાંધીને મળવાની કોશિશ કરીશ. પરંતુ જો મારી પુત્રીને ન્યાય નહીં મળ્યો તો હું ભૂખ હડતાળ કરીશ.