ટ્રંપ સામે શ્રીનિવાસની હત્યાનો મુદ્દો ઉઠાવશે ભારત
અમેરિકામાં ભારતીય દૂતાવાસ દ્વારા ભારતીય એન્જિનિયરની હત્યા પર પહેલ કરવામાં આવી છે. વિદેશ વિભાગને આ હત્યાની તપાસ જલ્દી કરવા કહેવામાં આવ્યું છે.
22 ફેબ્રુઆરીના રોજ કેન્સાસ શહેરના બારમાં ગોળીબારમાં મૃત્યુ પામેલા હૈદ્રાબાદ ના શ્રીનિવાસ કુચિભોટલાની હત્યાની તપાસ માટે અમેરિકા સ્થિત ભારતીય દૂતાવાસ તરફથી પહેલ કરવામાં આવી છે. અમેરિકન વિદેશ વિભાગ તરફથી નિવેદન આપવામાં આવ્યું છે કે, ભારતે તેમને આ હત્યાની તપાસ બને એટલી ઝડપથી કરવા કહ્યું છે. ગુરૂવારના રોજ શ્રીનિવાસનું શબ તેમના વતન હૈદ્રાબાદ પહોંચડાવામાં આવ્યું હતું.
વ્હાઇટ હાઉસનું નિવેદન
શ્રીનિવાસના ભાઇ માધવે કહ્યું કે, તેમને જરૂરી દરેક પ્રકારનું સમર્થન મળી રહ્યું છે. તેમણે સરકારને અનુરોધ કર્યો છે કે, તેઓ એ વાત સુનિશ્ચિત કરે કે ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને. વ્હાઇટ હાઉસ ના પ્રેસ સેક્રેટરી સીન સ્પીયરે કહ્યું છે કે, શ્રીનિવાસની હત્યા સાથે જોડાયેલી જે પ્રારંભિક રિપોર્ટ સામે આવી છે, તે ઘણી આઘાતજનક છે.
ટ્રંપને જવાબદાર નથી માનતા
આ પહેલાં શુક્રવારના રોજ પણ વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી સીન સ્પીયરનું નિવેદન આવ્યું હતું. તેમણે મીડિયા બ્રિફિંગમાં કહ્યું કે, કોઇ પણ જીવનનું નુકસાન ખૂબ દુઃખદ છે, પરંતુ કેન્સાસની ઘટનાને ટ્રંપના ઇમિગ્રેશન માટે લીધેલા એક્શન સાથે જોડવી ખોટી છે. સ્પીયરના કહેવા અનુસાર આ ઘટના પાછળના હેતુ અંગે આટલો જલ્દી નિર્ણય લઇ શકાય નહીં. બારમાં ગોળીબાર કરનાર એડમે પોલીસને જણાવ્યું કે, તેને લાગેલું કે ત્રણેય મિડલ ઇસ્ટના રહેવાસી છે અને એટલે તેણે હુમલો કર્યો હતો.