માન્ચેસ્ટરમાં થયેલ હુમલા અંગે PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
સોમવારે રાત્રે ઇંગ્લેન્ડના માન્ચેસ્ટર અરેનામાં એક પૉપ કોન્સર્ટમાં અનેક વિસ્ફોટ થયા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માન્ચેસ્ટરની ઘટના પર ઊંડુ દુઃખ વ્યક્ત કરતાં હુમલાની નિંદા કરી છે. તેમણે ટ્વીટ કરી આ ઘટનાથી અસરગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. સોમવારે રાત્રે લગભગ 10.35 કલાકે ઇંગ્લેન્ડના માન્ચેસ્ટર અરેનામાં એક પૉપ કોન્સર્ટમાં એક પછી એક અનેક વિસ્ફોટ થયા હતા. આ વિસ્ફોટમાં 19 લોકો મૃત્યુ પામ્યા હોવાની પુષ્ટિ બ્રિટિશ પોલીસ દ્વારા કરવામાં આવી હતી, 50થી વધુ લોકો આ હુમલામાં ઇજાગ્રસ્ત થયા છે. પોલીસ અનુસાર આ આતંકી હુમલો હતો. હાલ આ વિસ્તારમાં રાહત-બચાવનું કાર્ય શરૂ છે.
Pained by the attack in Manchester. We strongly condemn it. Our thoughts are with the families of the deceased & prayers with the injured.
— Narendra Modi (@narendramodi) May 23, 2017
આત્મઘાતી હુમલાખોર પર શંકા
હાલ પોલીસે આ હુમલાને આતંકવાદી હુમલાનું નામ આપ્યું છે. પોલીસને શંકા છે કે કોઇ આત્મઘાતી હુમલાખોર દ્વારા આ વિસ્ફોટ કરવામાં આવ્યા હતા. જ્યારે આ વિસ્ફોટ થયો, એ સમયે એરિયાના ગ્રાંડે પરફોર્મ કરી રહી હતી, તેઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે. તેમણે પણ આ હુમલામાં મૃત્યુ પામેલા લોકો અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. પોલીસ અનુસાર મૃતકોની સંખ્યામાં વધારો થઇ શકે છે. પૉપ કોન્સર્ટના સ્થળના મુખ્ય કૉરિડોર, બેસવાની જગ્યા તથા સ્ટેજ પાસે વિસ્ફોટ થયા હોવાની જાણકારી મળી છે. આ ખૂબ શક્તિશાળી વિસ્ફોટ હતા.
આપાતકાલીન સેવાઓ સક્રિય
વિસ્ફોટ બાદ માન્ચેસ્ટર વિક્ટોરિયા સ્ટેશનથી ગાડીઓ રોકી દેવામાં આવી હતી, કહેવાઇ રહ્યું છે કે વિસ્ફોટ અરેનાની ટિકિટ વિન્ડો પાસે થયો હતો. પોલીસ તરફથી નિવેદન જાહેર કરાયું છે કે, માન્ચેસ્ટર અરેનામાં વિસ્ફોટની ખબરો બાદ આપાતકાલીન સેવાઓ સક્રિય છે.