Pokમાં આતંકી પ્રવૃત્તિઓના વિરોધમાં નારેબાજી, આઝાદીની માંગ
પાકિસ્તાનના કાશ્મીરને આતંકવાદીઓનું ગઢ બનતું રોકવા માટે નાગરિકો રસ્તા પર ઉતરી આવ્યા છે.
પાકિસ્તાન અધિકૃત કાશ્મીર(PoK)માં નવાઝ શરીફ અને પાકિસ્તાની સેના વિરુદ્ધ આઝાદીના નારા લાગ્યા હતા. પીઓકેના મોટા નેતા હયાત ખાને કહ્યું કે, તેઓ પાકિસ્તાની સેના અને વડાપ્રધાનને જણાવવા માંગે છે કે, તેઓ તેમના પ્રદેશમાં આતંકવાદીઓ મોકલવાનું બંધ કરે. તેમણે કહ્યું કે, હવે હદ્દ તઇ ગઇ છે, અમે હવે તેમને બહાર કાઢવામાં વધુ મોડું નહીં કરીએ.
ઉપલબ્ધ જાણકારી અનુસાર, પીઓકેના હજીરામાં આઝાદી માટે નારેબાજી થઇ હતી. પીઓકેને આતંકી પ્રવૃત્તિઓનું ગઢ બનતું રોકવા માટે નાગરિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. અહીંના નાગરિકો પાકિસ્તાન અને પાકિસ્તાની સેનાની સત્તામાંથી આઝાદી માંગી રહ્યા છે. લશ્કર-એ-તોયબા અને આઇએસઆઇએસ જેવા આંતકી સંગઠનોના લગભગ 50 જેટલા કેમ્પ પીઓકેમાં હોવાની શક્યતા છે, એવામાં આવનારા દિવસોમાં આ વિરોધ વધુ પ્રબળ બને એવી શક્યતા છે.
આ પહેલાં પણ નાગરિકો દ્વારા સરકારનો વિરોધ કરવામાં આવ્યો હતો અને ચેતવણી આપવામાં આવી હતી કે, હવે આતંકી હુમલાઓની ઘટના સહન કરવામાં નહીં આવે. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ પાકિસ્તાનના બલૂચિસ્તાનના ક્વેટામાં આતંકી હુમલાઓ થયા હતા, જેમાં અનેક લોકો મૃત્યુ પામ્યા હતા. ઇદના એક દિવસ પહેલા જ આ હુમલો થયો હતો. આશ્ચર્યજનક વાત તો એ છે કે, પોલીસની મોટી ઓફિસ પાસે જ આ બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો.
એએનઆઇના અહેવાલો અનુસાર, આ કેમ્પમાં ટ્રેનિંગ લીધેલ આતંકીઓને કાશ્મીર, અફઘાનિસ્તાન અને યુરોપ મોકલવામાં આવે છે. પાકિસ્તાની સેના દ્વારા જ કેમ્પનું ભરણ-પોષણ થાય છે. ઇન્ટરનેશનલ કોમ્યુનિટી દ્વારા પણ પાકિસ્તાન પર આરોપ મુકવામાં આવ્યો છે કે, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની બોર્ડર પર આવેલ આતંકી જૂથોને પાકિસ્તાન સુરક્ષા પૂરી પાડે છે.