અમેરિકામાં ભારતીય શીખ પર થેયલા હુમલા અંગે સુષ્મા સ્વરાજે કર્યું ટ્વીટ
સુષ્મા સ્વરાજે ટ્વીટ કરીને કહ્યું કે, મને ભારતીય મૂળના અમેરિકન નાગરિક દીપ રાય પર થયેલા હુમલા અંગે જાણીને દુઃખ થયું છે.
વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે રવિવારે કહ્યું કે, તેમણે અમેરિકાના વૉશિંગ્ટનમાં શુક્રવારે જાતિવાદ થી પ્રેરાઇને થયેલા હુમલામાં ઘાયલ શીખ નાગરિકના પિતા સાથે ફોન પર વાત કરી હતી. સુષ્મા સ્વરાજે ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી હતી. તેમણે લખ્યું હતું કે, મને ભારતીય મૂળના અમેરિકન નાગરિક દીપ રાય પર થેયલા હુમલા અંગે જાણીને દુઃખ થયું છે. મેં તેમના પિતા હરપાલ સિંહ સાથે વાત કરી. તેમણે મને જણાવ્યું કે, તેમના પુત્રને હાથમાં ગોળી વાગી છે. તે હવે પ્રમાણમાં સ્વસ્થ છે તથા હાલ પ્રાઇવેટ હોસ્પિટલમાં તેનો ઇલાજ થઇ રહ્યો છે.
અહીં વાંચો - USમાં ભારતીય શીખ પર હુમલો, હુમલાખોરે કહ્યું-પોતાના દેશ પાછા ફરો
ઉલ્લેખનીય છે કે, ભારતીય મૂળના 39 વર્ષીય શીખ નાગરિકને વૉશિંગ્ટનના કેન્ટ શહેરમાં એક અજ્ઞાત વ્યક્તિએ ગોળી મારી હતી. ગોળી માર્યા બાદ તેણે કહ્યું હતું, મારા દેશમાંથી બહાર નીકળી જાઓ. છેલ્લા 2 અઠવાડિયામાં અમેરિકા સ્થિત ભારતીયો પર થયેલો આ ત્રીજો હુમલો છે. એક દિવસ પહેલાં જ અમેરિકાના દક્ષિણ કેરોલિનામાં પણ જાતિવાદથી પ્રેરાઇને કરવામાં આવેલા એક હુમલામાં હરનિશ પટેલ નામના વ્યક્તિનું મૃત્યુ થયું હતું. આ પહેલાં 22 ફેબ્રુઆરીના રોજ કેન્સાસમાં પણ એક ભારતીય એન્જિનિયરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
અહીં વાંચો - હરનિશ પટેલ: ભારતીય મૂળના વધુ એક નાગરિકની અમેરિકામાં થઇ હત્યા
I am sorry to know about the attack on Deep Rai a US national of Indian origin. I have spoken to Sardar Harpal Singh father of the victim./1
— Sushma Swaraj (@SushmaSwaraj) March 5, 2017
જો કે, અમેરિકાના કેન્સાસ રાજ્યના ગવર્નર સેમ બ્રાઉનબેકે રાજ્યમાં એક ભારતીયની હત્યા અંગે મોટું નિવેદન આપતાં કહ્યું કે, ભારતીયો કેન્સાસ માટે તથા અમારે માટે મહત્વપૂર્ણ છે. અમે રાજ્યમાં ભારતીયોનું હંમેશા સ્વાગત કર્યું છે અને આગળ પણ કરીશું. કોઇ એક વ્યક્તિના ઘૃણાસ્પદ કાર્યને આધારે અમારું મૂલ્યાંકન ન થવું જોઇએ.