કોચ કુંબલે અને કપ્તાન કોહલીના સંબંધો અંગે ચોંકાવનારો ખુલાસો!
અનિલ કુંબલે અને કપ્તાન વિરાટ કોહલીના સંબંધો અંગેની ચોંકાવનારી હકીકત સામે આવી છે.
મંગળવારે ટીમ ઇન્ડિયાના હેડ કોચ અનિલ કુંબલેના રાજીનામા બાદ ક્રિકેટ વિશ્વમાં સોપો પડ્યો છે. રાજીનામા બાદ અનિલ કુંબલેએ લખેલ થેંક્યૂ નોટમાં તેમણે પોતાની અને વિરાટ કોહલી વચ્ચે મતભેદ હોવાની વાત સ્વીકારી હતી. ત્યારથી આ બંન્નેનો સંબંધ ચર્ચાનો વિષય બન્યો છે. કહેવાઇ રહ્યું છે કે, છેલ્લા 6 મહિનાથી વિરાટ કોહલી અને અનિલ કુબંલેની વાતચીત બંધ હતી.
સીએસીની શરત
બીસીસીઆઇના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, વિરાટ કોહલી અને અનિલ કુંબલે વચ્ચેના મતભેદો દૂર કરવાની કોશિશ બીસીસીઆઇ દ્વારા કરવામાં આવી હતી. પરંતુ એ પ્રયત્ન સફળ ન થયો અને અનિલ કુંબલેએ રાજીનામું આપવાનો નિર્ણય લઇ લીધો. ચીફ એડવાઇઝરી કમિટિ(સીએસી)ના સભ્યો સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી અને વીવીએસ લક્ષ્મણ ઇચ્છતા હતા કે અનિલ કુંબલે જ હેડ કોચની કામગીરી સંભાળે, પરંતુ તેમની શરત હતી કે, પહેલા વિરાટ અને અનિલ વચ્ચેના વિવાદોનો ઉકેલ લાવવામાં આવે.
ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ બાદ થઇ હતી બેઠક
આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2017ની ફાઇનલ મેચ બાદ અનિલ કુંબલે સાથે બીસીસીઆઇના વરિષ્ઠ અધિકારીઓ અને સીએસીની બેઠક યોજાઇ હતી. ત્યાર બાદ બીસીસીઆઇ અને સીએસીના અધિકારીઓ સાથે કપ્તાન વિરાટ કોહલી સાથે બેઠક કરી હતી. પરંતુ ત્યાર બાદ જે થયું, એ સૌને માટે આઘાતજનક હતું.
બંન્ને વાતચીત કરવા તૈયાર નહોતા
બંન્ને બેઠકો બાદ વિવાદનો ઉકેલ માટે વિરાટ કોહલી અને અનિલ કુંબલેને સામ-સામે બેસાડવામાં આવ્યા, આમ છતાં બંન્નેએ એકબીજા સાથે કોઇ વાત ન કરી. આ મામલે બીસીસીઆઇના અધિકારીએ જણાવ્યું કે, ડિસેમ્બર, 2016ની ઇંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝ પછીથી બંન્નેની વાતચીત બંધ હતી. અમને ખબર હતી કે, બંન્ને વચ્ચે સમસ્યાઓ છે, પરંતુ બંન્ને એકબીજા સાથે વાત સુદ્ધાં નથી કરતાં એ ખબર આશ્ચર્યજનક હતી.
કુંબલેએ કરી કોહલીની આપત્તિઓની અવગણના
આ મામલે અનિલ કુંબલે સાથે જ્યારે બીસીસીઆઇના અધિકારીઓએ વાત કરી તો અનિલ કુંબલેએ કહ્યું કે, તેમને વિરાટથી કોઇ સમસ્યા નથી. વિરાટ કોહલીની આપત્તિઓ અંગે અનિલ કુંબલેનું કહેવું હતું કે, આ કોઇ મોટી વાત નથી. બીસીસીઆઇના અધિકારીઓને સમજાઇ નહોતું રહ્યું કે, મામલો કઇ રીતે થાળે પાડવો.
વિરાટ કોહલીની સમસ્યા
બીસીસીઆઇના અધિકારીએ જણાવ્યું કે, વિરાટ કોહલીને લાગી રહ્યું હતું કે, અનિલ કુંબલે તેમના ક્ષેત્રમાં દખલઅંદાજી કરી રહ્યાં છે. અનિલના પોતાના વિચારો અને નિયમો હતો અને તેઓ તેનું અમલીકરણ કરવા માંગતા હતા. છેલ્લે આખરી નિર્ણય કપ્તાન વિરાટ કોહલીના પક્ષમાં આવ્યો અને અનિલ કુંબલેએ રાજીનામું આપ્યું. ક્રિકેટના દિગ્ગજોએ અનિલ કુંબલેના રાજીનામા અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. બીસીસીઆઇના વરિષ્ઠ અધિકારીએ આશ્વાસન આપ્યું છે કે, ટીમ ઇન્ડિયાની શ્રીલંકાની મુલાકાત પહેલાં તેમને નવા કોચ મળી જશે.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો