WWC'17: ખેલાડીઓને મળ્યો સૌનો સહકાર,વિવાદમાં સપડાયા ઋષિ કપૂર
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આઇસીસી વિશ્વ કપ 2017 જીતી ન શકી, આમ છતાં પીએમ મોદીથી માંડીને તમામ બોલિવૂડ સેલિબ્રિટીઝે તેમનો ઉત્સાહ વધાર્યો હતો.
આઇસીસી મહિલા વિશ્વ કપ 2017 પર આ વર્ષે સૌની નજર હતી. ફાઈનલ મેચ સુધી પહોંચેલ ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડ સામે માત્ર 9 રનથી હારી ગઇ હતી. આમ છતાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને બીસીસીઆઇ અને બોલિવૂડના અનેક અભિનેતાઓએ મહિલા ક્રિકેટ ટીમની શાનદાર રમતના વખાણ કર્યા છે. ટીમ ઇન્ડિયા હારતાં કેટલાક ક્રિકેટ રસિયાઓ ઉદાસ ચોક્કસ થયા, પરંતુ તેમણે ટીમને પૂરો સાથ-સહકાર આપ્યો.
મહિલા વિશ્વ કપ 2017ની ફાઇનલ મેચ દરમિયાન બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર પણ લોર્ડ્સ મેદાન પર હાજર રહ્યાં હતા. તેમણે ત્યાં હાજર રહી ટીમનો ઉત્સાહ વધાર્યો હતો, તો બીજી બાજુ ઋષિ કપૂરના એક ટ્વીટને કારણે વિવાદ થયો હતો.
PM મોદીનું ટ્વીટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફાઇનલ મેચ બાદ ટ્વીટ કરી લખ્યું હતું કે, 'આપણી મહિલા ક્રિકેટ ખેલાડીઓએ પોતાના તરફથી શાનદાર રમતનું પ્રદર્શન કર્યું. તેમણે વિશ્વ કપના માધ્યમથી પોતાની દ્રઢતા અને કૌશલ્યની સાબિતી આપી છે, જે ઉલ્લેખનીય છે. મને ટીમ પર ગર્વ છે.' મેચ પહેલાં પણ નરેન્દ્ર મોદીએ ક્રિકેટ ટીમની દરેક મહિલા ખેલાડી માટે એક એમ કુલ 11 ટ્વીટ કરી તેમને શુભકામના પાઠવી હતી.
રાહુલ ગાંધીએ પણ કર્યું ટ્વીટ
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ મહિલા ક્રિકેટ ટીમનો ઉત્સાહ વધારતાં લખ્યું હતું કે, 'ટીમ ઇન્ડિયા સરસ રીતે રમી! આજે પરિણામ ભલે તમારા પક્ષે ન આવ્યું હોય, પરંતુ તમે અનેકના મન જીતી લીધાં છે.'
ખેલ મંત્રી અને BCCI અધ્યક્ષે પણ વધાર્યો ઉત્સાહ
ખેલ મંત્રી વિજય ગોયલે કહ્યું કે, 'આપણી મહિલા ટીમ ખૂબ સારી રીતે રમી. ટીમ પરત ફરતાં તેમનું શાનદાર સ્વાગત કરવામાં આવશે.' બીસીસીઆઇના અધ્યક્ષે કહ્યું હતું, 'ટીમને અભિનંદન. તેમણે એક સિદ્ધિ હાંસલ કરી છે અને હવે લોકો તેમને મહાન સન્માની નજરે જોશે.'
|
અક્ષય કુમાર
ભારત વિ. ઇંગ્લેન્ડની ફાઇનલ મેચ માટે અભિનેતા અક્ષય કુમાર લોર્ડ્સ મેદાનમાં પહોંચ્યા હતા, ત્યાં તેમણે મહિલા ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો અને ટીમ ઇન્ડિયા હાર્યા બાદ પણ તેમણે ખેલાડીઓને જુસ્સો ટકાવી રાખવાનું કહ્યું હતું. મેચ પહેલાં અને મેચ દરમિયાન પણ તેમણે ટ્વીટ કરી મહિલા ક્રિકેટ પ્રત્યે પોતાનો સહકાર દર્શાવ્યો હતો. મેચ હાર્યા બાદ તેમણે લખ્યું હતું, 'આ મહિલાઓએ એક ક્રાંતિની શરૂઆત કરી છે, મને ગર્વ છે!'
ઋષિ કપૂરનું વિવાદિત ટ્વીટ
ફાઇનલ મેચ દરમિયાન અભિનેતા ઋષિ કપૂરે ભારતીય ટીમના પૂર્વ કપ્તાન સૌરવ ગાંગુલીનો આ ફોટો ટ્વીટ કરતાં લખ્યું હતું કે, 'હું સૌરવ ગાંગુલીના આ એક્ટને ફરી એકવાર બાલ્કનીમાં જોવાની રાહ જોઇ રહ્યો છું, જે એમણે વર્ષ 2002માં ઇંગ્લેન્ડને હરાવ્યા બાદ કર્યું હતું.' તેમના આ ટ્વીટ માટે લોકો તેમની ખૂબ આલોચના કરી રહ્યાં છે. કેટલાક યુઝર્સે તો ઋષિ કપૂર માફી માંગે એવી માંગણી પણ કરી છે.
"મેં કશું ખોટું નથી કીધું"
યુઝર્સે ઋષિ કપૂરના આ ટ્વીટને વખોડ્યું છે. ટ્વીટર યુઝર ભાવેશ પાંડેએ રિપ્યાલ કરતાં લખ્યુ હતું કે, 'તમે લખ્યું છે, સૌરવનું કૃત્ય, જે તે વખતે કપ્તાન હતા. મારી વાતને ખોટી રીતે ન લેશો, પરંતુ કંઇ પણ ટ્વીટ કરતાં પહેલાં બે વાર વિચારી લો.' વિરેને લખ્યું હતું કે, 'ઋષિ કપૂરજી તમે ખૂબ સોફેસ્ટિકેટેડ છો. તમે તમારું ટ્વીટ બીજી વાર વાંચો અને તમને સમજાઇ જશે કે, તમે શું ખોટું લખ્યું છે.' અનેક આલોચના બાદ ઋષિ કપૂર્ લખ્યું હતું કે, 'મેં શું ખોટું કહ્યું છે? મેં કોઇ પણ મહિલા ખેલાડીને નહોતું કહ્યું! મેં માત્ર કહ્યું હતું કે, સૌરવ ગાંગુલી પોતાના શોનું પુનરાવર્તન કરે. તમારું મગજ ખરાબ છે.'
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો