શ્રીલંકા સામેની બીજી ટેસ્ટમાં કે.એલ.રાહુલ કરશે ઓપનિંગ
ભારત વિ. શ્રીલંકાની બીજી મેચમાં ભારતની ટીમમાં ફેરફાર. મુકુંદની જગ્યાએ કે.એલ. રાહુલ ઓપનિંગ બેટ્સમેન.
શ્રીલંકા સાથેની બીજી ટેસ્ટ મેચમાં ભારતની ઓપનિંગ જોડી વિશે ઘણા સમયથી અફવાઓ ચાલી રહી હતી. આ વાતની ઉત્સુક્તા પર પુર્ણવિરામ મુક્તા કપ્તાન વિરાટ કોહલીએ મેચ પહેલા બુધવારે યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતુ કે, કોલંબોમાં યોજાનાર બીજી ટેસ્ટ મેચમાં અભિનવ મુકુંદના સ્થાને કે.એલ.રાહુલ ઓપનિંગ કરશે.
ટીમમાંથી કોણ જશે બહાર?
બીજી ટેસ્ટ મેચમાં કે.એલ.રાહુલ અને શિખર ધવન સાથે મળીને ઓપનિંગ કરશે. જ્યારે કપ્તાનને પુછવામાં આવ્યું કે, રાહુલની વાપસી સાથે ટીમમાંથી કયા ખેલાડીને બહાર કાઢવામાં આવશે? તો આના જવાબમાં વિરાટ કોહલીએ કોઇપણ ખેલાડીનું નામ નહોતું આપ્યું, પરંતુ તેમણે કહ્યું કે, આ નિર્ણય ટીમના હિતમાં છે.
ખેલાડીઓ પર નહીં પડે કોઈ ખરાબ અસર
ટીમ પર આ નિર્ણયની અસર વિશે જણાવતાં વિરાટ કોહલીએ કહ્યું કે, જેને પણ આ તક આપવામાં આવી છે તેના કારણે બીજા ખેલાડીઓ પર તેની કોઈ ખરાબ અસર નહીં થાય. ટીમના બધા ખેલાડી પ્રોફેશનલ છે. તેઓ જોણે છે કે ટીમ માટે કઈ વસ્તુ વધારે સારી સાબિત થઈ શકે છે. અગાઉની મેચમાં તમે જોયું જ હશે કે ઓપનિંગ સારી રહેવાથી ટીમને ઘણો ફાયદો થયો હતો.
શું અભિનવ મુકુંદ જશે બહાર?
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત વિ. શ્રીલંકાની પહેલી મેચમાં મુકુંદ સારુ પ્રદર્શન કરી શક્યો ન હતો. પહેલી મેચમાં અભિનવે 12 રન કર્યા હતા અને ત્યાર બાદની બીજી પારીમાં તેણે વિરાટ સાથે મળીને 81 રન બનાવ્યા હતા. આ નબળા પ્રદર્શન બાદ તેનુ બહાર નીકળવું નક્કી છે. તો બીજી તરફ રાહુલ તેની બિમારીના કારણે પહેલી મેચમાં જોડાઈ શક્યો ન હતો. પરંતુ હવે તેની તબિયત સારી છે અને આવનારી મેચમાં તે ઓપનિંગ બેટ્સમેન તરીકે જોવા મળશે.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો