'બોલિંગ કોચ ઝહીર, બેટિંગ કન્સલટંટ દ્રવિડ, તો કોચ શું કરશે?'
ટીમ ઇન્ડિયાના હેડ કોચની નિમણૂક અંગેની તમામ વિગતો વાંચો અહીં અને સાથે જ જુઓ આ અંગે ટ્વીટર પર લોકો કેવા અભિપ્રાયો આપી રહ્યાં છે.
અનિલ કુંબલેના રાજીનામા બાદ ટીમ ઇન્ડિયાના હેડ કોચ ચર્ચાનો વિષય હતો. ક્રિકેટ એડવાઇઝરી કમિટિ(સીએસી)ને નવા હેડ કોચની પસંદગીની જવાબદારી સોંપવામાં આવી હતી. સીસએસીના સભ્યો સચિન તેંડુલકર, વીવીએસ લક્ષ્મણ અને સૌરવ ગાંગુલી માટે આ નિર્ણય લેવો સરળ નહોતો. આ પદ માટે વીરેન્દ્ર સહેવાગ અને રવિ શાસ્ત્રીનું નામ રેસમાં સૌથી આગળ માનવામાં આવી રહ્યું હતું.
કપ્તાન વિરાટ કોહલીની પહેલી પસંદ હતા રવિ શાસ્ત્રી અને આ કારણે જ આખરે ધાર્યા મુજબ રવિ શાસ્ત્રીને જ ટીમ ઇન્ડિયાના હેડ કોચ નિમવામાં આવ્યા. સાથે ઝહીર ખાનને બોલિંગ કોચ અને રાહુલ દ્રવિડને ફોરેન ટૂર માટે બેટિંગ કન્સલ્ટંટ નિમવામાં આવ્યા. સીએસી દ્વારા કરવામાં આવેલી આ ત્રણ નિમણૂકે ટીમ ઇન્ડિયા અને બીસીસીઆઇના ઘણા સમીકરણો ખુલ્લા કર્યા છે. રવિ શાસ્ત્રીની નિમણૂક અંગે તો ટ્વીટર પર અનેક જાતની વાતો થઇ રહી છે.
ક્રિકેટ દિગ્ગજોના બોલ
ક્રિકેટ કમેન્ટેટર હર્ષા ભોગલેએ આ અંગે ટ્વીટ કરતાં લખ્યું છે, 'ફોરેન ટૂરમાં જ ખરો પડકાર છે, જ્યાં રાહુલ દ્રવિડ બેટિંગ કન્સલ્ટંટ છે અને ઝહીર બોલિંગ કોચ છે, તો પછી રવિ શાસ્ત્રી ફરી એકવાર ટીમ ડાયરેક્ટર બનશે?' કહેવાઇ રહ્યું છે કે, રવિ શાસ્ત્રીનો દબદબો ઓછો કરવા માટે જ સૌરવ ગાંગુલી દ્વારા રાહુલ દ્રવિડ અને ઝહીર ખાનની નિમણુક કરવામાં આવી છે.
રવિ શાસ્ત્રી આવેદન માટે નહોતા તૈયાર
આ આખી વાત શરૂ થાય છે, ટીમ ઇન્ડિયાના હેડ કોચ માટેના આવેદન પત્રથી. હેડ કોચના પદ માટે જ્યારે આવોદનો મંગાવવામાં આવ્યા ત્યારે પ્રથમ તો રવિ શાસ્ત્રીએ આવેદન કરવાની સ્પષ્ટ ના પાડતાં કહ્યું હતું કે, જો તેમને ખાતરી આપવામાં આવે કે કોચ તરીકે તેમની જ પસંદગી થશે, તો જ તેઓ આવેદન કરશે. અહેવાલો અનુસાર, સિચન તેંડુલકરે તેમને આવેદન કરવા સમજાવ્યા હતા, ત્યાર બાદ તેમણે પોતાની અરજી મોકલી હતી.
પસંદગી સરળ નહોતી
સોમવારે યોજાયેલી પત્રકાર પરિષદ પહેલાં હેડ કોચ તરીકે રવિ શાસ્ત્રીનું નામ ફાઇનલ માનવામાં આવી રહ્યું હતું. પરંતુ પત્રકાર પરિષદમાં સૌરવ ગાંગુલીએ જણાવ્યું હતું કે, તેમને હેડ કોચની પસંદગી માટે હજુ થોડો સમય જોઇએ છે. આ સાથે જ રવિ શાસ્ત્રીને હેડ કોચ બનાવવા અંગે સૌરવ ગાંગુલીનું વલણ પણ સ્પષ્ટ થઇ ગયું હતું. રવિ શાસ્ત્રી અને સૌરવ ગાંગુલી વચ્ચેના મતભેદો જગજાહેર છે. આથી સોમવાર બાદ વીરેન્દ્ર સહેવાગને કોચ પદના પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યાં હતા.
વિરાટ કોહલી સાથે ચર્ચા કરી લીધો નિર્ણય
મંગળવારે મોડી રાત્રે 11 વાગ્યે હેડ કોચ, બોલિંગ કોચ અને બેટિંગ કન્સલટંટના નામની જાહેરાત કરવામાં આવી હતી. ઉપલબ્ધ જાણકારી અનુસાર, સીએસીના સભ્યોએ વિરાટ કોહલી સાથે કોન્ફરન્સ કોલ થકી ચર્ચા કરી આ નિમણૂક અંગે આખરી નિર્ણય લીધો હતો. કોચ પદ પર રવિ શાસ્ત્રીને નિમવા અંગે પણ સચિન તેંડુલકરે જ સૌરવ ગાંગુલીને મનાવ્યા હોવાનું કહેવાય છે. સચિનનું કહેવું હતું કે, ટીમની ઇચ્છાને માન આપતાં રવિ શાસ્ત્રીને કોચ બનાવવા જોઇએ.
સૌરવ ગાંગુલીની શરત
સૌરવ ગાંગુલીએ સચિનની વાત માની તો લીધી, પરંતુ તેમની શરત હતી કે ઝહીર ખાનને બોલિંગ કોચ બનાવવામાં આવે. જ્યારે રવિ શાસ્ત્રી ભરત અરુણને બોલિંગ કોચ બનાવવા માંગતા હતા. પરંતુ સૌરવ ગાંગુલી પોતાના નિર્ણય પર અડગ હતા અને ઝહીર ખાનના નામ પર સંમતિ મળ્યા બાદ જ તેમણે રવિ શાસ્ત્રીને નામ અંગે સમર્થન આપ્યું હતું.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો