ધર્મશાળા ટેસ્ટઃ ભારતનો વિજય, વિરાટે જણાવ્યો જીતનો મંત્ર
ભારતીય ટીમે સતત 7મી ટેસ્ટ સીરિઝ પણ પોતાને નામે કરી લીધી છે. કપ્તાન વિરાટ કોહલીની ગેરહાજરીમાં પણ ભારત ટેસ્ટ સીરિઝ જીતવામાં સફળ થયું છે.
ભારતે હિમાચલ પ્રદેશ ક્રિકેટ સંઘ (એચપીસીએ) સ્ટેડિયમમાં રમાઇ રહેલી ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ ના ચોથા દિવસે સોમવારે ચોથી ઇનિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતે ઑસ્ટ્રેલિયા ને 8 વિકેટથી માત આપી છે.
આ સાથે જ ભારતીય ટીમે સતત 7મી ટેસ્ટ સીરિઝ પર કબજો જમાવ્યો છે. નિયમિત કપ્તાન વિરાટ કોહલી ની ગેરહાજરીમાં પણ ભારત સીરિઝ જીતવામાં સફળ રહ્યું છે. કપ્તાન તરીકેની પહેલી મેચમાં જ વિજય મેળવી અજિંક્ય રહાણેએ સૌને ચોંકાવી દીધા હતા.
મેન ઓફ ધ સીરિઝઃ રિવન્દ્ર જાડેજા
2-1થી વિજય મેળવી ભારતે આ સીરિઝ પોતાને નામ કરી છે. લોકેશ રાહુલે આ સીરિઝમાં છઠ્ઠી અર્ધ-સદી ફટકારી, તેઓ 51 રન સાથે નોટ આઉટ રહ્યાં. કપ્તાન અજિંક્ય રહાણે 38 રન સાથે નોટ આઉટ રહ્યાં. રિવન્દ્ર જાડેજાને મેન ઓફ ધ મેચ તથા મેન ઓફ ધ સીરિઝ જાહેર કરવામાં આવ્યા.
અત્યાર સુધીની શ્રેષ્ઠ ટીમ
આ વિજય બાદ કપ્તાન કોહલીએ ભારતીય ટીમના ખૂબ વખાણ કર્યા હતા. તેમણે આ અંગે કહ્યું કે, હાલની ભારતીય ટીમ અત્યાર સુધીની સૌથી સારી ટીમ છે, અમારી ટીમ સતત સારું પ્રદર્શન આપી રહી છે. અત્યાર સુધીની સિઝન ઘણી સારી રહી છે, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, દ.આફ્રિકા અને ઑસ્ટ્રેલિયાને હરાવવામાં અમને સફળતા મળી છે. પોતાની ટીમની સૌથી સારી ક્ષમતા અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, અમે પણ હવે બાઉન્સ બેક કરીએ છીએ, આ જ અમારી ક્ષમતા છે, જે અમને વધુ સારું પ્રદર્શન કરવા પ્રેરિત કરે છે. ઑસ્ટ્રેલિયા સામેની સીરિઝમાં દરેક ખેલાડીએ સારું પ્રદર્શન કર્યું છે, એને કારણે જ અમને વિજય પ્રાપ્ત થયો છે.
ત્રણ સીરિઝમાં મોટી વાપસી
કોહલીએ આ અંગે વાત કરતાં આગળ કહ્યું કે, શ્રીલંકા સામેની મેચમાં ફુલ ફોર્મમાં વાપસી કરવી એ મોટો પડકાર હતો. જે અમે સફળતાપૂર્વ સર કર્યો. ઇંગ્લેન્ડ સામેની મેચમાં પણ કંઇક એવી જ પરિસ્થિતિ હતી, પરંતુ અમે પ્રદર્શનના દમ પર વાપસી કરી. હાલની ઑસ્ટ્રેલિયા સીરિઝમાં પણ અમે વાપસી કરવામાં સફળ રહ્યાં. આ જ અમારી ટીમની ખૂબી છે, જે અમને વધુ શ્રેષ્ઠ બનાવે છે.
ટીમના બેટ્સમેનના કર્યા વખાણ
વિરાટ કોહલીએ ટીમના બેટ્સમેનના પણ ખૂબ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, બેટ્સમેન જે રીતે નાની-નાની ભાગીદારીમાં રન ફટકારે છે એને કારણે ટીમ સામે જીતનો રસ્તો વધુ સ્પષ્ટ થતો જાય છે. જ્યારે તમે પાંચ બોલરો સામે રમતા હોવ ત્યારે બેટ્સમેનની જવાબદારી વધી જાય છે.
કપ્તાન ખેલાડીઓને કરે છે પ્રેરિત
'સફળ થવા માટે તમારે સતત સારું પ્રદર્શન કરવું પડે છે, ત્યારે જ તમે વિશ્વની નં.1 ટીમનું સ્થાન મેળવી શકો છો. હું હંમેશા ખેલાડીઓને કહું છું કે, જ્યારે દબાણમાં આવી તમે સારું પ્રદર્શન કરો ત્યારે તમારું ખરું ચરિત્ર બહાર આવે છે, તમામ ખેલાડીઓએ મુશ્કેલ પરિસ્થિતિમાં સારું પ્રદર્શન કર્યું છે. તમારી ફિટનેસ પણ ખૂબ મહત્વની છે, અમે ફિટનેસ પર ખૂબ મહેનત કરીએ છીએ.' ભુવનેશ્વર કુમાર અને ઉમેશ યાદવના વખાણ કરતાં તેમણે કહ્યું કે, આ બંન્નેએ શાનદાર બોલિંગ કરી હતી.
ઇજા થઇ હોવા છતાં વિરાટ રહેતાં હાજર
ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલીને ખભામાં ઇજા થઇ હોવાથી તેઓ છેલ્લી મેચ નહોતા રમી શક્યાં. આમ છતાં તેઓ સ્ટેડિયમમાં હાજર રહ્યા હતા. તેઓ જાતે મેદાનમાં ખેલાડીઓને ડ્રિંક્સ આપવા જતા. તેમણે આ અંગે કહ્યું કે, મારા પર ખૂબ મોટી જવાબદારી છે, જેને હું આગળ પણ સારી રીતે નિભાવવા માંગુ છું. મને રમતમાં હાજર રહેવું પસંદ છે, હું મેચ ન રમી રહ્યો હોઉં તો પણ રમત સાથે જોડાયેલા રહેવું મને પસંદ છે.
રહાણેની કપ્તાનીના કર્યા વખાણ
પોતાના ખભાની ઇજા અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, આ ઇજાના સારી થતાં હજુ થોડા અઠવાડિયા લાગશે. ખભામાં ઇજા થયા બાદ તેમણે કહ્યું હતું કે, તેઓ જ્યાં સુધી 100 ટકા સાજા નહીં થાય ત્યાં સુધી મેદાનમાં રમવા નહીં જાય. આથી છેલ્લી મેચમાં અજિંક્ય રહાણેએ કપ્તાનની ભૂમિકા નિભાવી હતી. કોહલીએ રહાણેના વખાણ કરતાં કહ્યું કે, તેમણે ખૂબ સરસ રીતે આ કપ્તાની સંભાળી અને મેદાનમાં ટીમને સાથે રાખવાનું કામ કર્યું.
સાત ટેસ્ટ સીરિઝ પર ભારતનો કબજો
- 2015 - શ્રીલંકાને 2-1થી હરાવ્યું, 3 મેચની સીરિઝ
- 2015-16 - દ.આફ્રિકાને 3-0થી હરાવ્યું, 4 મેચની સીરિઝ
- 2016 - વેસ્ટઇન્ડિઝને 2-0થી હરાવ્યું, 4 મેચની સીરિઝ
- 2016-17 - ન્યૂઝીલેન્ડને 3-0થી હરાવ્યું, 3 મેચની સીરિઝ
- 2016-17 - ઇંગ્લેન્ડને 4-0થી હરાવ્યું, 5 મેચની સીરિઝ
- 2016-17 - બાંગ્લાદેશને 1-0થી હરાવ્યું, 1 મેચની સીરિઝ
- 2016-17 - ઑસ્ટ્રેલિયાને 2-1થી હરાવ્યું, 4 મેચની સીરિઝ
અહીં વાંચો
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો