ભારતીય ઓલિમ્પિક સંઘને રમતગમત મંત્રાલયે કર્યુ સસ્પેંડ
કલંકિત સુરેશ કલમાડી અને અભય ચૌટાલાને આજીવન અધ્યક્ષ નિયુક્ત કરાતા રમતગમત મંત્રાલયે જ્યાં સુધી આ નિયુક્તિઓ રદ કરવામાં ન આવી ત્યાં સુધી ભારતીય ઓલિમ્પિક સંઘને સસ્પેંડ કરી દીધુ છે...
ભારતીય ઓલિમ્પિક સંઘ(આઇઓએ) એ કલંકિત સુરેશ કલમાડી અને અભય ચૌટાલાને આજીવન અધ્યક્ષ બનાવ્યા છે જેના પર રમતગમત મંત્રાલય દ્વારા આઇઓએને એક કારણદર્શક નોટિસ જારી કરવામાં આવી હતી. આઇઓએ આ નોટિસનો કોઇ ઠોસ જવાબ આપવામાં નિષ્ફળ રહ્યુ હતુ. જેના કારણે રમતગમત મંત્રાલયે કડક પગલા ભરતા જ્યાં સુધી સુરેશ કલમાડી અને અભય ચૌટાલાની નિયુક્તિનો નિર્ણય પાછો ખેંચવામાં ન આવે ત્યાં સુધી આઇઓએને સસ્પેંડ કરી દીધુ છે.
વાસ્તવમાં, આઇઓએના અધ્યક્ષ એન રામચંદ્રન હાલમાં દેશની બહાર છે જેના કારણે આઇઓએ એ જવાબ આપવા માટે 15 દિવસનો સમય માગ્યો હતો. રમતગમત મંત્રી વિજય ગોયેલે કહ્યુ કે સરકાર કોઇ પણ ખોટા કામને મંજૂરી ન આપી શકે. આઇઓએ દ્વારા જવાબ આપવાના બદલે 15 દિવસનો સમય માંગવાને કારણે સરકારે કડક પગલા ભરીને આઇઓએને ત્યાં સુધી સસ્પેંડ કર્યુ છે જ્યાં સુધી તે આ નિયુક્તિઓ રદ ન કરે. ગોયેલના જણાવ્યા મુજબ જ્યાં સુધી આઇઓએ સસ્પેંડ છે ત્યાં સુધી તે સરકાર દ્વારા મળેલ કોઇ પણ વિશેષાધિકારનો ઉપયોગ નહિ કરી શકે અને તેને સરકાર તરફથી મળતી નાણાકીય અને અન્ય દરેક પ્રકારની મદદ રોકી દેવામાં આવશે.
રમતગમત મંત્રી વિજય ગોયેલે કહ્યુ કે કલમાડી અને ચૌટાલાને આજીવન અધ્યક્ષ બનાવવા એ સુશાસનની શરતોનું ગંભીર ઉલ્લંઘન છે જેના માટે તરત જ સુધારાત્મક પગલા ઉઠાવવાની જરુર છે. કલમાડી અને ચૌટાલાને 27 ડિસેમ્બરે ચેન્નઇમાં આઇઓએની વાર્ષિક બેઠકમાં આજીવન અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા હતા જેનાથી ખેલ સમુદાય હેરાન છે. વળી બીજી તરફ રમતગમત મંત્રાલય પણ નારાજ છે. વિવાદ વધ્યા બાદ કલમાડીએ રજૂઆત નામંજૂર કરી દીધી પરંતુ ચૌટાલા હજુ પણ જીદ પર છે. હાલમાં બંનેની નિયુક્તિ અંગે આઇઓએની અંદર પણ ઘણા બધા લોકો વિરોધ કરી રહ્યા છે.