પાકિસ્તાનમાં આવેલા પંચમુખી હનુમાન મંદિરનું જાણો માહત્મ્ય
મિત્રો આજે અમે આપના માટે એક નવા લેખની શ્રેણી લઇને આવ્યા છીએ. અમે અમારા આ લેખ શ્રેણીમાં આપને પાકિસ્તાનમાં આવેલા પૌરાણિક મંદિરો અને તેના માહત્મય વિશે પરિચય કરાવીશું. પાકિસ્તાન અને ભારત ભલે ભૌગોલિક રીતે અલગ પડી ગયા હોય પરંતુ ત્યાંની ધરતીમાં હજી પણ હિન્દુ સંસ્કૃતિનો અમીટ વારસો સંગરાયેલો છે. હજારો-લાખો વર્ષથી અહીં હિન્દુ દેવી-દેવતાઓના મંદિરો હેમખેમ અવસ્થામાં ઊભા છે, અને તેની માવજત પાકિસ્તાનમાં વસતા હિન્દુઓ કરી રહ્યા છે. આ ઉપરાંત અહીંના મંદિરોનું એટલું સત્ય છે કે ભારતથી પણ લોકો ત્યાં દર્શન કરવા જાય છે.
આ શ્રેણીને પગલે આજે અમે આપને આજે લઇ જઇ રહ્યા છીએ પાકિસ્તાનના કરાચીમાં આવેલા પંચમુખી હનુમાન મંદિરમાં. તો આવો જાણીએ પાકિસ્તાનમાં આવેલા આ મંદિરનું શું છે માહત્મ્ય.
પાકિસ્તાનના સિંધ પ્રાંતના કરાંચીમાં સ્થિત આવેલા આ મંદિરનું પુન:નિર્માણ 1882માં કરવામાં આવ્યું હતું, ત્યારે તો ભારત અને પાકિસ્તાન એક હતા. મંદિરમાં પંચમુખી હનુમાનની મનમોહક પ્રતિમા સ્થાપિત કરવામાં આવેલી છે, જેના દર્શન કરતા જ ભક્તોના દરેક દુ:ખો દૂર થઇ જાય છે.
કહેવામાં આવે છે કે હનુમાનજીની આ મૂર્તિ દોઢ હજાર વર્ષ પહેલા પ્રકટ થઇ હતી. જ્યાંથી મૂર્તિ પ્રકટ થઇ હતી ત્યાંથી માત્ર 11 મુઠ્ઠી માટી હટાવવામાં આવી અને મૂર્તિ સામે આવી ગઇ હતી. જોકે આ રહસ્યમયી મૂર્તિનો સંબંધ ત્રેતા યુગથી છે.
મંદિરના પૂજારીનું કહેવું છે કે અત્રે માત્ર 11-12 પરિક્રમા લગાવવાથી મનોકામના પૂરી થઇ જાય છે. હનુમાનજી ઉપરાંત અત્રે ઘણા હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત કરી છે. અત્રે નોંધનીય છે કે આ મંદિરના દર્શન ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી, જસવંત સિંહ પણ કરી ચૂક્યા છે.