ગુજરાતના ઐતિહાસિક અને પુરાતત્વીય સ્થળોની એક મુલાકાત..
ગુજરાત તેના ભવ્ય સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાથી વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ ભવ્ય સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાની અનુભૂતિ કરવી જીવનનો લાહવો છે અને તેનો અનુભવ ચીરસ્મરણીય બની રહે છે. પ્રવાસીઓ ગુજરાતના પરંપરાગત નૃત્ય, કળા અને સંગીતને મનભરી માણે છે. સાથે સાથે તેના ઐતિહાસિક સ્થાનોની મુલાકાત લઇ દિવ્ય આનંદ પામે છે. ગુજરાતનો ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસો અને તેની સાથે સંકળાયેલ ઇતિહાસ વેદકાળ અને મહાભારતના સમયગાળાથી ચાલ્યો આવે છે. માટે આવા ગુજરાતના ઇતિહાસને જાણવો અને જોવો અનિવાર્ય બની જાય છે.
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના વીર સપૂતો મહાત્મા ગાંધી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મભૂમિ ગુજરાત પાસે સ્વાતંત્રના ઇતિહાસની સાથે સાથે વિવિધ ધર્મો અને સંસ્કૃતિના અમૂલ્ય ઐતિહાસિક સ્મારકો અગણિત સંખ્યામાં આવેલાં છે. જો આપ ગુજરાતમાં રહેતા હોવ અને આ સ્મારકોની મુલાકાત ના લીધી હોય તો જરૂર મુલાકાત લેવી જોઇએ.
ગુજરાતમાં પ્રાચીન અને અર્વાચીન સમયના સ્થાપત્યનો સંગમ જોવા મળે છે. ગુજરાતમાં વિશ્વફલક પર પ્રભાવ પાડી શકે તેવા સ્થાપત્યોનું નિર્માણ થયેલું છે. જે વિશ્વના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ગુજરાત પાસે સાંસ્કૃતિક વારસાનો બહુમૂલ્ય ખજાનો છે. જેના થકી તે દેશ-વિદેશમાં તેની ભવ્યતાના દર્શન કરાવે છે.
ગુજરાતમાં પણ ભૂમીગત જળસંગ્રહનો વિચાર સદીઓ પહેલાં અહીંના શાસકોને આવેલો. પાણીના સંગ્રહની આ વિશિષ્ટ પદ્ધતિ દુનિયાભરમાં અજોડ છે. ગુજરાતમાં આવેલી વિવિધ ‘વાવ' તેનું અદ્વિતીય ઉદાહરણ છે. વાસ્તુકલા, સ્થાપત્ય અને કળા કારીગરી એમ ત્રિવેણી સંગમના અદ્દભુત નમૂનામાં અલૌકીક અડાલજની વાવ અને દાદા હરિની વાવ જે અમદાવાદ જિલ્લામાં આવેલી છે. પાટણમાં ‘રાણકીવાવ' આવેલી છે. આ ઉપરાંત ગણાવી ના શકાય એટલા ઐતિહાસિક સ્થળો ગુજરાતમાં આવેલા છે, જેને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યા છે. જેની એક મુલાકાત લેવી જરૂરી છે. તો ચાલો એક નજર કરીએ ગુજરાતમાં આવેલા ઐતિહાસિક સ્થળો પર...
લોથલ
લોથલ એક પુરાતત્વીય સ્થળ છે. ભૂસ્તર ખોદકામ દરમિયાન લોથલ ખાતેથી જે અવશેષો મળી આવ્યા તે સિંધુ સભ્યતાની ઓળખ ઊભી કરે છે. ઇ.સ. પૂર્વે 1800-2000 ના સમયગાળા દરમિયાનની સિંધુ સંસ્કૃતિની સભ્યતા લોથલમાં જોવા મળે છે. અત્રે સિંધુની ખીણના અન્ય સ્થાપત્યો ઉપરાંત શ્રેષ્ઠ નગર રચના જોવા મળી છે. વિશ્વની સૌથી જૂની સંસ્કૃતિ લોથલની ગણી શકાય.
કિર્તિ મંદિર
પોરબંદર ખાતે આવેલું કિર્તિ મંદિર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું જન્મસ્થાન છે. રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કરાયેલ કિર્તિ મંદિરનું રાષ્ટ્રીય મહત્વ જેટલું છે તેટલું ધાર્મિક મહત્વ પણ છે. ભગવાન શ્રીકૃષ્ણના પરમ સખા સુદામાનું જન્મ સ્થાન તરીકે આ શહેરનું ધાર્મિક મહત્વ પણ છે.
‘તોરણ’ વડનગર:
વડનગર તેના સ્થાપત્યો અને ઐતિહાસિક સ્થાનકો માટે જાણીતું છે. સ્થાપત્યોમાં વડનગરનું ‘તોરણ' અને ધાર્મિક સ્થાનકમાં હાટકેશ્વર મહાદેવ પ્રખ્યાત છે. વડનગરના શર્મિષ્ઠા તળાવના કિનારે શહેરની ઉત્તરે આવેલું ‘તોરણ' સ્થાપત્ય અંદાજે 12 મી સદીમાં નિર્માણ પામ્યું હતું. તેના નિર્માણમાં લાલ અને પીળા પત્થરોનો ઉપયોગ થયો હતો. 40 ફૂટ ઊંચુ અને કોતરણીમાં બેનમૂન એવું આ ‘તોરણ' સ્થાપત્ય શહેરના પ્રવેશદ્વારની ઇમારત છે. સોલંકી યુગના શાસન દરમિયાન ગુજરાતના પ્રવેશદ્વાર તરીકે આ સ્થાપત્ય પ્રચલિત હતું. 17મી સદીમાં શહેરના પ્રવેશની જગા પર હાટકેશ્વર મહાદેવનું સ્થાનક નિર્માણ પામ્યું હતું.
ધોળાવીરા
ભારતની પૌરાણિક સાત અજાયબીમાંની એક અજાયબી એટલે ધોળાવીરા. ગુજરાતનું પ્રાચીનતમ સમૃદ્ધ નગર એટલે ધોળાવીરા. ગુજરાતના કચ્છ જિલ્લામાં ધોળાવીરા આવેલું છે. સિંધુ સભ્યતાનું પ્રમુખ શહેર કે જેનું સ્થાપત્ય અને રચના બેનમૂન છે. તેનું નિર્માણ અંદાજે ઇ.સ. પૂર્વે 2900 ના સમયગાળામાં થયું હતું. નગર રચનામાં ઇંટોનો ઉપયોગ કરાયો હતો. ઉપરાંત માનવ જરૂરિયાતની તમામ સુવિધાઓની રરચના આયોજનપૂર્વક કરવામાં આવી હતી. પાણીના સંગ્રહ અને વિતરણની બેનમૂન ગોઠવણ તત્કાલિન સમયની દુનિયાની શ્રેષ્ઠ રચના-વ્યવસ્થા ગણાઇ છે.
ચાંપાનેર - પાવાગઢ
વિશ્વ વારસા કાર્યક્રમ અન્વયે ચાંપાનેર - પાવાગઢને વિશ્વના અજોડ પુરાતત્વીય ઇમારત-સ્મારક તરીકે યુનેસ્કોએ જાહેર કર્યું છે. રાજ્ય સરકારે ચાંપાનેર - પાવાગઢને પ્રવાસીઓના આકર્ષણના મુખ્ય કેન્દ્ર તરીકે વિકસીત કરવાના પ્રયાસો હાથ ધર્યા છે. પ્રવાસના અન્ય આકર્ષણોમાં નિમેટાબાગ, આજવા તળાવ, જાંબુઘોડા અભયારણ્ય અને ડભોઇ ને પણ વિકસીત કરવામાં આવ્યું છે. યુનેસ્કોના વિશ્વ વારસા કાર્યક્રમ હેઠળ પાવાગઢ સાથે ચાંપાનેર અને માંચીને પુરાતત્વીય શ્રેણીને સ્થળો-ઇમારતો તરીકે જાહેર કરી છે. આ સ્થળનું ઐતિહાસિક મહત્વ તે અંદાજે 1200 વર્ષનો ઇતિહાસ અને તેથી પણ વધુ સમયની સંસ્કૃતિ બેજોડ છે.
હૃદયકુંજ
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગાંધીજીની મુખ્ય કર્મભૂમિ અમદાવાદ રહી હતી. સાબરમતી આશ્રમ ખાતેના નાના ઓરડામાં ગાંધીજી તેમના વસવાટ દરમિયાન અહીંસાનું આંદોલન અને સ્વાતંત્ર્ય ચળવળની પ્રવૃત્તિઓ ચલાવતા હતાં. હૃદયકુંજ તરીકે પ્રચલિત સાબરમતી આશ્રમના આ સ્મારકો તેનાં મૂળ બાંધણી મુજબ સચવાયેલું છે. જેમાં ગાંધીજીના દૈનિક કાર્યોની ચીજવસ્તુઓ તેમજ તેમની અંગત જીવનોપયોગી વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે જે તેની મૂળ સ્થિતિમાં આજની તારીખે પણ સચવાયેલાં છે.