ગુજરાત સરકારે વરસાદથી પાક નુકસાની માટે 947 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું
ગુજરાતના ખેડૂતો માટે દિવાળીના દિવસે એક સારા સમાચાર મળ્યા છે. રાજ્ય સરકારે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં થયેલા ભારે વરસાદને કારણે પાકને થયેલા નુકસાન માટે 947 કરોડનું જંગી રાહત પેકેજ જાહેર કર્યું છે.
આ નિર્ણયથી જૂનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ અને વાવ-થરાદ સહિતના જિલ્લાઓમાં અસરગ્રસ્ત ખેડૂતોને મોટી મદદ મળશે.

આ પેકેજ અંતર્ગત નાણાંની વહેંચણી બે ભાગમાં કરવામાં આવશે. રાજ્ય આપત્તિ પ્રતિભાવ ભંડોળ (SDRF) માંથી ખેડૂતોને 563 કરોડની રકમ ચૂકવવામાં આવશે. આ સિવાય રાજ્ય સરકારના બજેટમાંથી વધારાના 384 કરોડ ફાળવવામાં આવશે, જેનાથી કુલ રાહત રકમ 947 કરોડ થશે.
સત્તાવાર નિવેદન મુજબ, પાંચ જિલ્લાના 18 તાલુકાઓના લગભગ 800 ગામોમાં પાકના નુકસાનનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જ્યાં નોંધપાત્ર નુકસાન થયું છે. મુખ્યત્વે બાજરી, કપાસ, મગફળી, શાકભાજી, કઠોળ, પશુઓ માટેનો ઘાસચારો અને દાડમ જેવા બાગાયતી પાકોને વ્યાપક નુકસાન થયું હતું.
જે ખેડૂતોને 33% કે તેથી વધુ પાક નુકસાન થયું હશે તેમને બિન-પિયત (બિન-સિંચાઈ) પાકો માટે પ્રતિ હેક્ટર 12,000 અને પિયત પાકો માટે પ્રતિ હેક્ટર 22,000 તેમજ બારમાસી બાગાયતી પાકો માટે પ્રતિ હેક્ટર 27,500 વળતર ચુકવવામાં આવશે. આ સહાય પ્રતિ ખેડૂત ખાતા દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં જ મળશે.
આ ઉપરાંત, નીચાણવાળા વિસ્તારો જેવા કે વાવ-થરાદ અને પાટણ જિલ્લામાં જળબંબાકારની લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાને ઉકેલવા માટે સરકારે 2,500 કરોડનું અલગ ભંડોળ ફાળવ્યું છે.
આ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે મોટા પાયે પાક નષ્ટ થયો હતો અને આ જોગવાઈ ભવિષ્યમાં પાકને થતા નુકસાનને અટકાવવામાં મદદરૂપ થશે.












Click it and Unblock the Notifications
