આ 6 નક્ષત્રોમાં જન્મેલા બાળકો હોય છે કંઇક ખાસ
આ છ નક્ષત્રમાં જન્મેલા બાળકો હોય છે અદ્ભૂત ક્ષમતાવાન. આ નક્ષત્રમાં જન્મેલા બાળકોની અસર તેમના માતા પિતાને પણ થાય છે. આ અંગે વધુ વાંચો અહીં.
વૈદિક જ્યોતિષમાં 27 નક્ષત્રોનું વર્ણન કરવામાં આવ્યું છે અને દરેક નક્ષત્રની પોતાની પ્રકૃતિ, સ્વભાવ, ગુણધર્મ અને વિશેષતા હોય છે. આ 27 નક્ષત્રોમાં 6 નક્ષત્ર ગંડમૂળ નક્ષત્ર કહેવાય છે. એવું મનાય છે કે આ 6 નક્ષત્રોમાં જો કોઈ બાળકનો જન્મ થાય તો તે 27 દિવસ બાદ જ્યારે ફરી તે નક્ષત્ર આવે છે ત્યારે તેની શાંતિ કરાવવી પડે છે. જો આ શાંતિ ન કરાવવામાં આવે તો તે બાળક માટે જ ઘાતક નથી પણ તેના માતા-પિતા માટે પણ મુશ્કેલી ઊભી કરે છે. જો કે જ્યોતિષના કેટલાક વિદ્વાનોનું માનવું છે કે આ 6 નક્ષત્ર ગંડમૂળ હોય છે પણ તેમાં જન્મ લેનારા બાળકોમાં અદ્ભૂત ક્ષમતા હોય છે. તેઓ મહેનતુ અને સંઘર્ષો બાદ અતુલનીય સંપતિના સ્વામી બને છે. આવો જાણો આ 6 નક્ષત્રો કયા છે જેને ગંડમૂળ નક્ષત્ર કહે છે.
અશ્વિની, અશ્લેષા, મઘા, જયેષ્ઠા, મૂળ અને રેવતી
અશ્વિની, અશ્લેષા, મઘા, જયેષ્ઠા, મૂળ અને રેવતી આ છ નક્ષત્રો ગંડમૂળ નક્ષત્રો છે. આ નક્ષત્રમાં કોઈ બાળક જન્મ લે તો તેના પિતાએ 27 દિવસ સુધી તેનું મુખ જોવું નહિં. 27 દિવસ પછી ફરી તે નક્ષત્ર આવતા તેની મૂળ શાંતિ કરાવવામાં આવે છે. એવું મનાવામાં આવે છે કે, શાંતિ કરાવ્યા બાદ શિશુ અને તેના પરિવાર પર આવનારા અનિષ્ટોનો ભય દૂર થાય છે. મૂળ શાંતિમાં 27 અલગ અલગ જગ્યાના જળ અને 27 ઝાડના પાન વગેરેથી મંત્રોચ્ચાર સહિત બાળકને સ્નાન કરાવામાં આવે છે. ગ્રહોની શાંતિ માટે હવન-પૂજા કરવામાં આવે છે.
અશ્વિની નક્ષત્ર
તેના પ્રથમ ચરણમાં બાળક જન્મ લે તો પિતા માટે કષ્ટભર્યુ, દ્રિતિય ચરણમાં ધનનો નકામો ખર્ચ અને ત્રીજા ચરણમાં ભ્રમણશીલ અને ચતુર્થ ચરણમાં જન્મ લે તો બાળક શારીરિક દુઃખો ભોગવે છે.
અશ્લેષા નક્ષત્ર
પ્રથમ ચરણમાં કોઈ દોષ નથી, દ્રિતિય ચરણમાં પૈતૃક ધનની હાની, તૃતિય ચરણમાં કુટુંબને કષ્ટ, ચતુર્થ ચરણમાં પિતાને કષ્ટ આવે છે. આ નક્ષત્રમાં જન્મેલા બાળકોથી પિતાના લાભ અને હાનિ બંન્ને થવાની સંભાવના રહેલી છે.
મઘા નક્ષત્ર
પ્રથમ ચરણમાં માતૃ પક્ષને હાની, દ્રિતિય ચરણમાં પિતાને હાની, તૃતિય ચરણમાં શુભફળ, ચતુર્થ ચરણમાં વિદ્વાન અને સમૃદ્ધ. આ બાળક માતાથી વધારે નજીક રહે છે. તેને માતૃ પક્ષ તરફથી વધારે લાભ રહેલા છે.
જયેષ્ઠા નક્ષત્ર
પ્રથમ ચરણમાં મોટા ભાઈ-બહેનને કષ્ટ, દ્રિતિય ચરણમાં નાના ભાઈ-બહેનને કષ્ટ, તૃતિય ચરણમાં પિતાને કષ્ટ અને ચતુર્થ ચરણમાં સ્વયં કષ્ટ ભોગવવા પડે છે. આ નક્ષત્રમાં જન્મેલા બાળકોનું તેના ભાઇ બહેનો સાથે સતત સંઘર્ષ રહેશે.
મૂલ નક્ષત્ર
પ્રથમ ચરણમાં પિતાને હાની, દ્રિતિય ચરણમાં માતાને હાની, તૃતિય ચરણમાં ધનનો નાશ, ચતુર્થ ચરણમાં શુભફળ. આ નક્ષત્રના બાળકોની યાદશક્તિ બહુ તેજ હોય છે. તેમના જીવનમાં ઘણા સંઘર્ષના તબ્બકાઓ પણ આવે છે. આ ઉપરાંત રેવતી નક્ષત્રમાં જન્મેલા બાળકને માત્ર ચતુર્થ ચરણ અનિષ્ટકારી રહેશે. બાકી તેનું જીવન મંગલમય રહેશે.
અદ્ભૂત ક્ષમતાવાન હોય છે આવા બાળકો
ઉપરોક્ત 6 નક્ષત્રોમાં જો કોઈ બાળકનો જન્મ થાય તો, તે ખૂબ જ મહેનતુ હોય છે. તેઓ કોઈ પણ કામ પૂર્ણ કરવાની ક્ષમતા ધરાવે છે. તેઓ મહેનતના દમે ઉચ્ચ ધની બને છે. જીવનમં સંઘર્ષ આવે છે પણ તે પોતાની ક્ષમતાથી તેને પાર કરી લે છે અને પોતાના પરિવાર માટે શક્ય તમામ સાધનો એકત્રિત કરી જ લે છે.
નવરત્ન વીંટી
રત્ન શાસ્ત્રોના અનેક ગ્રંથોમાં ગ્રહ-નક્ષત્રોની પીડા દૂર કરવા માટે નવરત્ન ધારણ કરવાનું કહેવામાં આવ્યુ છે. જે લોકોના જન્મ ગંડમૂળ નક્ષત્રોમાં થયો છે તેમને પણ નવરત્નની વીંટી કે પેંડન્ટ પહેરવું જોઈએ. તેનાથી ગ્રહોની પીડામાંથી છૂટકારો મળે છે.