ધનતેરસે બની રહ્યો છે કલાનિધિ યોગ : શુભ મુહૂર્તમાં કરો ખરીદી
આ ધનતેરસ કરો ધનવંતરીના પૂજા. ધનતેરસના વાસણ ખરીદવાની પ્રથા પાછળનું કારણ તેમ જાણો છો?. તો આ અંગે વાંચો અહીં.
ધનતેરસથી દિવાળીના તહેવારની શરૂઆત થઈ જાય છે. આ દિવસે ઘરોમાં દીવા પ્રજવલિત કરવાની સાથે સાથે અનેક તૈયારીઓની શરૂઆત થઈ જાય છે. આ વર્ષે ધનતેરસ 17 ઓક્ટોબરે આવી રહી છે. ધનતેરસનું દિવાળીમાં ખૂબ મહત્વ છે. ધનતેરસનો તહેવાર ધન, સુખ અને સમૃદ્ધિના રૂપે મનાવાય છે. ધનતેરસના દિવસે કુબેરનીપૂજા થાય છે. કારતક કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ ભગવાન ધનવંતરીનો જન્મ થયો હતો, તેથી આ તિથિને 'ધનતેરસ' અથવા 'ધનત્રયોદશી'ના નામે ઓળખવામાં આવે છે.
ધનવંતરી
ધનવંતરી જ્યારે પ્રગટ થયા હતા ત્યારે તેમના હાથમાં એક અમૃતથી ભરેલો કળશ હતો. જેને પરિણામે આ દિવસે કોઈ વાસણ ખરીદવાની પ્રથા છે. એવું પણ કહેવાય છે કે, ધન એટલે વસ્તુની આ દિવસે ખરીદી કરવાથી તેમાં તેર ગણો વધારો થાય છે. આ દિવસે દુકાનદારોને લાભ જ લાભ થાય છે. ધનતેરસના દિવસે શુભ મુહૂર્તમાં ખરીદી કરવાથી લક્ષ્મી અને કુબેરની કૃપા આખુ વર્ષ તમારા પર વરસતી રહે છે. ધનતેરસ દિવાળીના બે દિવસ પહેલા ઉજવાય છે એટલે કે, કારતક માસની કૃષ્ણ પક્ષની તેરસની તિથિએ ધનતેરસ ઉજવાય છે. દિવાળી કાર્તિક માસની અમાસે આવે છે, ધનતેરસના તહેવારને સુખ-સમૃદ્ધિ, યશ અને વૈભવનો પર્વ કહેવાય છે. આ દિવસે ધનના દેવ કુબેર અને આયુર્વેદના દેવ ધનવંતરીની પૂજા કરવામાં આવે છે.
ખરીદીનું શુભ મુહૂર્ત
- ધનતેરસની સાંજે 7.19 વાગ્યા થી 8.17 વાગ્યા સુધી
- કાલ સવારે 7.33 સુધી દવા, ખાદ્ય પદાર્થો
- શુભ 9.13 સુધી વાહન, મશીન, કાપડ, શેયર, ઘરેલુ સામાન
- ચર 14.12 સુધી ગાડી, ગતિમાન વસ્તુ, ગેજેટ્સ
- લાભ 15.51 સુધી મશીન, ઓજાર, કોમ્પ્યુટર, શેયર
- અમૃત 17.31 સુધી આભૂષણો, વાસણ, રમકડા, કપડા, સ્ટેશનરી
- કાલ 19.11 સુધી ઘરનો સામાન, અન્ન-ખાદ્યપદાર્થો, દવા
ધનતેરસે બની રહ્યો છે કલાનિધિ યોગ
46 વર્ષ બાદ આ વર્ષે ધનતેરસે કલાનિધિ યોગ બની રહ્યો છે, ત્રણ યોગ એક સાથે બનવાથી કલાનિધિ યોગ બને છે. ધાતુના વાસણો, સોનુ અને ચાંદીના આભૂષણો, ઝાડુ, મીઠુ, ઈલેક્ટ્રોનિક્સ સામાન, કુબેરનો ફોટો, સાતમુખી રુદ્રાક્ષ ખરીદવાથી તમને લાભ થશે.
દીપદાનનું મહત્વ
ધનતેરસથી ઘરમાં દીપ પ્રજ્વલિત કરવાની શરૂઆત થઈ જાય છે. જે ભાઈબીજ સુધી ચાલે છે. કહેવાય છે કે ધનતેરસે યમરાજને દીપદાન કરવાથી ઘરમાં અકાળ મૃત્યુનો ભય ખતમ થઈ જાય છે. આ દિવસે ભગવાન કુબેરની સાથે મહાલક્ષ્મીની પૂજા કરવાનું વિધાન છે.