Diwali2017:અકાળ મૃત્યુનો ભય ટાળવા નરક ચતુર્દશીએ કરો દીપદાન
પાંચ દિવસની દિવાળીમાં બીજો દિવસ નર્ક ચતુર્દશી કે રૂપ ચતુર્દશીના નામથી ઓળખવામાં આવે છે. આ દિવસે મૃત્યુના દેવ યમરાજની પૂજા કરવામાં આવે છે અને તેમના માટે 14 દીવાનું દાન કરવામાં આવે છે.
પાંચ દિવસના દીપોત્સવનો બીજો દિવસ 'નરક ચતુર્દશી' અથવા 'રૂપ ચતુર્દશી'ના નામે ઓળખાય છે. આ દિવસે મૃત્યુના દેવ યમરાજની પૂજા કરવામાં આવે છે અને તેમના માટે 14 દીવાનું દાન કરવામાં આવે છે. આ દિવસે કોઈ પવિત્ર નદી કે તળાવમાં દીપ વહેવડાવવામાં આવે છે. શાસ્ત્રોનો મત છે કે, નરક ચતુર્દશીના દિવસે દીપ દાન કરવાથી વ્યક્તિના અકાળ મૃત્યુનો ભય ટળે છે અને તેના કુટુંબને આયુષ્ય અને આરોગ્ય પ્રાપ્ત થાય છે.
શ્રી કૃષ્ણે કર્યો હતો નરકાસુરનો વધ
કાર્તિક કૃષ્ણ ચતુર્દશીએ ભગવાન શ્રી કૃષ્ણે નરકાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. પરિણામે આ દિવસ નરક ચતુર્દશીના નામે ઓળખાય છે. નરકાસુરે દેવોની માતા અદિતિને અપમાનિત કરી તેમના આભુષણો છીનવી લીધા હતા. વરુણ દેવને તેમની છત્રછાયાથી વંચિત કરી દીધા હતા અને તેમણે જ 16100 કન્યાઓનું અપહરણ કરી તેમને બંદી બનાવ્યા હતા. નરકાસુરનો વધ કર્યા બાદ શ્રી કૃષ્ણે આ 16100 કન્યાઓને મુક્ત કરાવી હતી, જે તેમની પત્નીઓના રૂપે ઓળખાય છે. નરકાસુરના આતંકથી મુક્તિની ખુશીમાં દ્વારકા અને અન્ય જગ્યાએ દિવાળી મનાવવામાં આવી. ત્યારથી જ આ દિવસે નાની દિવાળી ઉજવાવા લાગી.
ત્રણ દિવસ રાજા બલીનું રાજ્ય
નરક ચતુર્દશીને લઈ એક બીજી કથા પ્રચલિત છે. ભગવાન વામને ત્રયોદશીથી અમાસ આ ત્રણ દિવસની વચ્ચે દૈત્યરાજ બલીના રાજ્યને ત્રણ પગમાં માપી લીધો એટલે તે બલીની દાન ભાવનાથી અત્યંત ખુશ થયા. વામને બલીથી વરદાન માંગવા કહ્યું. બલીએ કહ્યું, પ્રભુ હું તો મારું બધું જ તમને આપી ચુક્યો છું. મારી પાસે માંગવા માટે કંઈ જ નથી. તો પણ તમે કંઈ આપવા ઈચ્છો છો તો સંસારના કલ્યાણ માટે મને એક વરદાન આપો. ત્રયોદશીથી અમાસના ત્રણ દિવસ સુધીમાં તમે સંપૂર્ણ રાજ્ય અને પૃથ્વી માપી લીધી. મારી કામના છે કે, આ ત્રણ દિવસ દરેક વર્ષે મારું રાજ્ય રહે અને આ ત્રણ દિવસમાં જે વ્યક્તિ મારા રાજ્યમાં દીપ દાન કરે તેના ઘરમાં સ્થાયી લક્ષ્મીનો નિવાસ થાય અને યમની યાતનાનો સામનો ન કરવો પડે. રાજા બલીની આ પ્રાર્થના ભગવાને સ્વીકારી. ત્યારથી જ નરક ચતુર્દશીના દિવસે દીપદાન કરવામાં આવે છે.
રૂપ ચૌદશ
નરક ચતુર્દશીને રૂપ ચતુર્દશી પણ કહેવામાં આવે છે. આ દિવસે સૂર્યોદય પહેલા તલના તેલથી શરીરની માલિશ કરવાનું વિધાન છે. આ દિવસે ચણાનો લોટ, હળદળ, ચંદનનું ઉબટન લગાવવામાં આવે છે, ત્યારબાદ સ્નાન કરવામાં આવે છે. તેની પાછળનું તર્ક છે કે, આ ઋતુ વરસાદની વિદાઈ અને ઠંડીની શરૂઆતની વચ્ચેનો છે. આ દિવસે અનેક બિમારીઓ ફેલાય છે. તલના તેલના માલિશથી શરીર પરના જંતુઓ, બેક્ટેરિયાની અસર થતી નથી અને શરીરમાં રક્તનો સંચાર વ્યવસ્થિત થાય છે. ચણાંનો લોટ, ચંદન, હળદર શરીરને આરોગ્ય પ્રદાન કરે છે અને સૌંદર્યમાં વધારો કરે છે. પદ્મ પુરાણ અનુસાર જે વ્યક્તિ નરક ચતુર્દશીના દિવસે સૂર્યોદય પહેલા સ્નાન કરે છે તે યમલોક જવાથી બચે છે.
14 દીપોનું દાન
નરક ચતુર્દશીના દિવસે સંધ્યાના સમયે 14 દીવાનું દાન કરવામાં આવે છે. તેને કોઈ નદી કે તળાવમાં પ્રવાહિત કરવામાં આવે છે અથવા ઘરની બહાર લગાવવામાં આવે છે. ચતુર્દશીના દિવસે સવારે ચાર બત્તીવાળો દીવો કોઈ ચાર રસ્તા પર મુકવો. આમ કરવાથી અકાળે મૃત્યુનો ભય રહેતો નથી. અકસ્માત અને રોગની શક્યતા સમાપ્ત થઈ જાય છે. દીવામાં કેટલાક તલના દાણા પણ નાંખવા.