સર્વસુખ પ્રદાન કરનારી સંતોષી માતાની વ્રત કથા અને વિધિ જાણો
શુક્રવારે થાય છેય માં સંતોષીનું પૂજન.માં સંતોષીના પૂજન અને વ્રતની કથા જાણો અહીં.માં સંતોષીના વ્રતની કથા વાંયો અહીં...
આપણા ધાર્મિક ગ્રંથોમાં અનેક દેવી-દેવતાઓના પૂજનની વાત કરવામાં આવી છે. જેમ કે, શ્રાવણ માસમાં ભગવાન શંકરનુ પૂજન, નવરાત્રીમાં માં અંબાનું પૂજન હોય છે. આપણા સાત દિવસોમા પણ અલગ-અલગ ભગવાનની પૂજા કરવાની વાત ગ્રંથોમાં છે. તો આજે આપણે શુક્રવારના દિવસે થતી સંતોષી માતાની પૂજા વિશે વાત કરીશું. સરળતાથી પ્રસન્ન થનારી સંતોષી માતા ઘરની ગૃહસ્થીને ધન-ધાન્ય, પુત્ર, અન્ન-વસ્ત્રથી પરિપૂર્ણ રાખે છે અને માતા પોતાના ભક્તોને દરેક મુશ્કેલીઓમાંથી બચાવે છે. આજે અમે તમને સર્વસુખ પ્રદાન કરનારી માતા સંતોષીની વ્રત કથા જણાવીશું.
વ્રત કથા
ઘણા સમય પહેલાની વાત છે. એક વૃદ્ધ સ્ત્રીના સાત પુત્રો હતા. તેમાનાં 6 કમાતા હતા અને એક નકામો હતો. આ ડોસી પોતાના 6 એ દિકરાઓને પ્રેમથી જમાડતી હતી અને સાતમાં દિકરાને છેલ્લે એઠી થાળીમાં બચેલો એઠુ ભોજન ખાવા આપતી હતી. સાતમા દિકરાની પત્નીને આ ગમતુ નહિં. કારણ કે તે ખૂબ જ ભોળો હતો અને આ વાતને ધ્યાન આપતો નહિં. એક દિવસ વહુ એ પોતાના પતિને એઠુ ખવડાવાની વાત કહી તો પતિએ છુપાઈ પોતાની આંખે વાસ્તવિક્તા જોઈ. તેણે તે જ સમયે બીજા રાજ્યમાં જવાનો નિર્ણય કર્યો. બીજા રાજ્યમાં પહોંચતા જ તેને એક શેઠની દુકાન પર કામ મળી ગયુ અને જલ્દી જ તેણે મહેનત કરી પોતાનું સ્થાન જમાવી લીધું.
સંતોષી માતાનું વ્રત કરવાનું શરૂ કર્યુ
આ બાજુ દિકરાના ઘરેથી જતા રહેતા સાસુ-સસરા વહુ પર અત્યાચાર કરવા લાગ્યા. ઘરનું દરેક કામ તેના પાસે કરાવતા, લાકડા લાવા જંગલ મોકલતા અને ભુસાની રોટલી અને નારિયળના ખોલામાં પાણી મુકી દેતા. આ રીતે મુશ્કેલીઓ સાથે દિવસો વીતવા લાગ્યા. એક દિવસ લાકડા લાવતી વખતે તેણે રસ્તામાં કેટલીક સ્ત્રીઓને સંતોષી માતાનું વ્રત કરતા જોઈ અને પૂજા વિધિ પૂછી. તેણે પણ કેટલાક લાકડા વહેંચી સવા રૂપિયાના ગોળ-ચણા લઈ સંતોષી માતાના મંદિરે જઈ સંકલ્પ કર્યો. બે શુક્રવાર વીતતા તેના પતિની ખબર અને પૈસા બંને આવ્યા. વહુએ મંદિર જઈ માતાને ફરિયાદ કરી કે તેને પતિ પાછો આવી જાય.
સંતોષીમાં આવ્યા સ્વપ્નમાં
માતા સંતોષીએ દિકરાના સ્વપ્નમાં આવી દર્શન આપ્યા અને વહુનું દુઃખ જણાવ્યુ. તેની સાથે જ તેણે પાછા ઘરે જવાનુ નક્કી કર્યુ. માતાના આશિર્વાદથી તમામ કામ પૂરાં કરી તે બીજા જ દિવસે કપડા-ઘરેણાં લઈ ઘરે જવા નીકળ્યો. એ જ દિવસ માતાએ તેને જ્ઞાન આપ્યુ કે, આજે તારો પતિ પાછો ફરશે, તુ નદીને કિનારે થોડા લાકડા મુકી દે અને મોડેથી ઘરે જઈ આંગણાંમાંથી જ અવાજ આપજે કે, સાસુમાં, લાકડા લઈ લો અને ભૂસાની રોટલી આપી દો, નારિયળના ખોલામાં પાણી આપી દો. વહુ એ આમ જ કર્યુ. તેણે નદી કિનારે જે લાકડા મુક્યા હતા તેને જોઈ દિકરાને ભુખ લાગી અને ત્યાં જ તે રોટલી બનાવી ખાઈ આગળ વધ્યો. ઘરે પહોંચતા માતાને ભોજન વિશે પૂછતા તેણે ના પાડી દીધી અને પત્ની વિશે પૂછ્યુ. ત્યાં બહારથી અવાજ આવ્યો. દિકરાની સામે સાસુ જુઠ્ઠુ બોલવા લાગી કે રોજ ચાર વાર ખાય છે, આજે તને જોઈને નાટક કરે છે. આ આખુ દ્રશ્ય જોઈ દિકરો પોતાની પત્નીને લઈ બીજા ઘરે ઠાઠથી રહેવા લાગ્યો.
ખાટુ ખાવાની મનાઈ
શુક્રવાર આવતા પત્નીએ વ્રતના ઉજવણાની ઈચ્છા દર્શાવી ત્યારે પતિએ આજ્ઞા આપી અને તેણે પોતાના જેઠના દિકરાઓને આમંત્રણ આપ્યુ. જેઠાણીને ખબર હતી કે શુક્રવારના વ્રતમાં ખાટુ ખાવાની મનાઈ છે. તેણે પોતાના દિકરાઓને શીખવાડીને મોકલ્યા કે ખાટુ જરૂર માંગજો અને આમલી ખરીદીને ખાઈ લેજો. જેના કારણે સંતોષી માતા નારાજ થઈ ગયા અને વહુના પતિને રાજાના સૈનિક પકડી ગયા. વહુ એ મંદિર જઈ માફી માંગી અને ફરી ઉજવણાનો સંકલ્પ કર્યો. આ સાથે જ તેનો પતિ છૂટીને ઘરે આવ્યો. આગલા શુક્રવારે વહુએ બ્રાહ્મણના બાળકોને ભોજન માટે બોલાવ્યા અને દક્ષિણામાં પૈસા અને ફળ આપ્યા. તેનાથી સંતોષી માતા પ્રસન્ન થયા અને જલ્દી જ વહુને એક સુંદર પુત્રની પ્રાપ્તિ થઈ. વહુને જોઈ આખા કુટુબીંજનો સંતોષી માતાનું પૂજન કરવા લાગ્યા.
વ્રતની વિધિ
આ વ્રતમાં સવારે સ્નાન કરી સંતોષી માતાનું સ્મરણ કરી પ્રણામ કરો. પૂજા કરતી વખતે પાણી ભરેલો કળશ મુકી તેના ઉપર ગોળ અને ચણાથી ભરેલી વાટકી રાખો. કથા વાંચનાર અને સાંભળનાર પોતાના હાથમાં ગોળ-ચણા રાખે અને મનમાં સંતોષી માતાની જય બોલે, પૂજા માટે ગોળ-ચણા પોતાના સામર્થ્ય પ્રમાણે સાવ રૂપિયો, સવા પાંચ કે સવા અગિયાર રૂપિયા પ્રમાણે લો. કથા પુર્ણ થયા પછી હાથના ગોળ-ચણા ગાય માતાને ખવડાવો અને કળશ પર મુકેલો ચણા-ગોળને પ્રસાદ તરીકે વહેંચી પોતે પણ ગ્રહણ કરો. મનોકામના પૂરી થતા વ્રતનું ઉજવણું કરો. આ વ્રત ત્યાં સુધી ચાલુ રાખવું જ્યાં સુધી તમારી ઈચ્છા પૂરી ન થાય.
વ્રતનું ઉજવણું
વ્રતનું ઉજવણું કરવા માટે અઢી શેર ખાજા, પૂરીં, ખીર, ચણાનું શાક અને નિવેધ મુકો. ઘી નો દિવો કરી સંતોષી માતાની કથા વાંચી જયકાર કરો. આ દિવસે ઘરમાં કોઈ ખાટુ ન ખાય, ન બીજાને ખાટુ આપે. આ દિવસે 8 છોકરાઓને ભોજન કરાવો. છોકરા આપણા કુટુંબના હોય તો સારુ, નહિં તો બ્રાહ્મણના બાળકો, પાડોશીઓના બાળકોને બોલાવી શકો છો. તેમને જમાડી દક્ષિણા આપો. આ રીતે વિધિ પ્રમાણે પૂજા-ઉજવણું કરવાથી સંતોષી માતાની કૃપા હંમેશા તમારા પર રહે છે.