વસંત પંચમીએ પીળા રંગના વસ્ત્રો શા માટે પહેરવામાં આવે છે?
વસંત પંચમીએ શા માટે પીળા વસ્ત્રો પહેરી માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે?આ દિવસે સરસ્વતી માતાની પૂજાથી શું લાભ થાય છે?આ અંગે વધુ વાંચો અહીં...
22 જાન્યુઆરીએ વસંત પંચમી છે અને આ દિવસે કળા અને સંગીતની દેવી માતા સરસ્વતીનું પૂજન થાય છે. કહેવાય છે કે જ્યારે એક વ્યક્તિને માતા સરસ્વતીના આશીષ નથી મળતા, ત્યારે તે પ્રગતિના પંથે આગળ વધી શકતો નથી. આ દિવસે લોકો પોતાના ઘરમાં માતાની પ્રતિમાની પૂજા કરે છે, અનેક જગ્યાઓએ પૂજા સમિતિઓ અને શાળાઓમાં પણ સરસ્વતી પૂજાનું આયોજન કરવામાં આવે છે. માતા સરસ્વતીની પૂજા સમયે લોકો પીળા રંગના વસ્ત્રો પહેરે છે અને માતાને પીળા રંગની મીઠાઈનો ભોગ લગાવી માતાની સ્તુતિ કરે છે.
કેમ પહેરાય છે પીળા વસ્ત્રો?
વસંતનો રંગ પીળો હોય છે, તેને જોઈ લોકોને ખુશી અનુભવાય છે. પીળો રંગ સમૃદ્ધિ, ઉર્જા, પ્રકાશ અને આશાવાદનું પ્રતિક છે, જેથી વસંત પંચમીનું સ્વાગત કરવા માટે પીળા રંગના વસ્ત્રો પહેરી તેની ઉજવણી કરવામાં આવે છે.
પીળી વસ્તુનો ભોગ
આ દિવસે માતા સરસ્વતીની પૂજા કરતી વખતે માત્ર પીળા રંગના વસ્ત્રો નહીં, પીળા રંગની વસ્તુઓનો ભોગ ચડાવવાનું પણ આગવું મહત્વ છે. માતા સરસ્વતીની સ્તુતિ કરતી વખતે તેમને પીળી વસ્તુઓનો ભોગ લગાવવામાં આવે છે, જેમાં મીઠા ચોખા, પીળા લાડુ, કેસરિયા પેંડાનો સમાવેશ થાય છે.
કેમ થાય છે સરસ્વતીની પૂજા?
કહેવાય છે કે, ભગવાન શ્રી કૃષ્ણે સરસ્વતીથી ખુશ થઈ તેમને વરદાન આપ્યું હતું કે વસંત પંચમીના દિવસે તમારી આરાધના કરવામાં આવે છે. આ કારણથી હિંદુ ધર્મમાં વસંત પંચમીના દિવસે વિદ્યાની દેવી સરસ્વતીની પૂજા થાય છે.
તમારુ બાળક ભણવામાં નબળુ છે તો...
જો તમારુ બાળક ભણવામાં નબળુ હોય તો વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા કરો અને ત્યારબાદ એક પીળા રંગનો દોરો બાળકના હાથમાં બાંધો, બાળકની ભણવામાં રૂચી વધી જશે.
મન શાંત થાય છે
મા સરસ્વતીની પૂજા કરવાથી મન શાંત થાય છે અને વાણીમાં ગજબનું આકર્ષણ વધે છે. આ દિવસે ખાસ વિદ્યાર્થીઓની સાથે વક્તાઓ, કલાકારો, નૃત્યાંગનાઓ, ગાયકો અને શિક્ષકોએ પણ ખાસ માતા સરસ્વતીની પૂજા કરવી જોઈએ. તેનાથી જ્ઞાન અને બુદ્ધિમાં વધારો થાય છે.