Mahashivratri 2018:ભગવાન શિવને પ્રસન્ન કરવા રાશિ અનુસાર આ રીતે કરો પૂજા
તમામ દેવોમાં ભગવાન શિવ એકમાત્ર એવા દેવ છે, જે પોતાના ભક્તોની સામાન્ય પૂજાથી પણ પ્રસન્ન થઈ જાય છે. તેથી જ તેમને ભોળાનાથ કહેવાય છે. તમામ ગ્રહો-નક્ષત્રોનો જન્મ ભગવાન શિવથી જ થયો છે, જેથી તમામ ગ્રહો સાથે જોડાયેલી વ્યકિત પોતાની રાશિ પ્રમાણે શિવને પ્રસન્ન કરવાના ઉપાયો અજમાવી શકે છે. આ વર્ષે મહાશિવરાત્રી 13 ફેબ્રુઆરીએ ઉજવાશે. આ દિવસે પોતાની રાશિ પ્રમાણે આ ઉપાયો કરવાથી તમને લાભ થશે.
મેષ
આ રાશિનો સ્વામી મંગળ છે અને મંગળનું પૂજન શિવલિંગ રૂપમાં જ કરવામાં આવે છે. મેષ રાશિના સ્ત્રી-પુરુષ શિવલિંગ પર કાચુ દૂધ અને દહીં અર્પિત કરે. સાથે જ ધતૂરો પણ ચઢાવે. કપૂર જલાવી ભગવાન શિવની આરતી કરે.
વૃષભ
વૃષભ રાશિના જાતકો શિવરાત્રીના દિવસે કોઈ પણ શિવમંદિરે જાય અને ભગવાન શિવને શેરડીના રસથી અભિષેક કરે. ત્યારબાદ મોગરાનું ઈત્ર શિવલિંગ પર લગાવે. ભગવાનને દૂઘથી બનેલી મિઠાઈઓ ભોગ લગાવે અને કપૂરથી આરતી કરે.
મિથુન
આ રાશિના જાતક સ્ફટિકના શિવલિંગની પૂજા કરે તો તેમને ઈચ્છિત વરદાન મળશે. જો સ્ફટિકના શિવલિંગ ઉપલબ્ધ ન હોય તો કોઈ અન્ય શિવલિંગનુ પૂજન કરી શકાય છે.
કર્ક
આ રાશિના જાતકો અષ્ટગંધ અને ચંદનથી શિવજીને અભિષેક કરે. બોર અને લોટથી બનેલી રોટલીનો ભોગ લગાવી શિવનું પૂજન કરે. ત્યારબાદ શિવલિંગ પર પ્રતિદિન કાચુ દૂધ અર્પિત કરે અને સાથે જ જળ પણ ચઢાવે.
સિંહ
આ રાશિના લોકોને ફળોનો રસ અને પાણીમાં શાકર ઘોળી શિવલિંગનો અભિષેક કરવો જોઈએ. સાથે જ શિવજીને આંકડાના પુષ્પ અર્પિત કરો, મિઠાઈનો ભોગ લગાવો, પુષ્પની સાથે જ બિલી પત્ર પણ ચઢાવો.
કન્યા
આ રાશિના સ્ત્રી-પુરુષો મહાદેવને બોર, ધતૂરો, ભાંગ અને આંકડાના ફૂલો અર્પિત કરે. સાથે જ બિલીપત્ર રાખી નિવેધ અર્પિત કરે. અંતે કપૂર મિશ્રિત જળથી અભિષેક કરે. શિવજીના પૂજન બાદ અડધી પરિક્રમા જરૂર કરો. આમ કરવાથી જલ્દી જ તમને શુભ ફળ પ્રાપ્ત થશે.
તુલા
તુલા રાશિના જાતકો જળમાં વિભિન્ન સુગંધિત ફૂલો નાખી શીવજીને અભિષેક કરે. ત્યારબાદ બિલીપત્ર, મોગરો, ગુલાબ, ચોખા, ચંદન વગેરે ભોળાનાથને અર્પિત કરે. અંતે આરતી કરે.
વૃશ્ચિક
વૃશ્ચિક રાશિના જાતકો શુધ્ધ જળથી શિવલિંગનો અભિષેક કરે, મધ, ઘીથી સ્નાન કરાવ્યા બાદ જળથી સ્નાન કરાવે અને પૂજન કરી આરતી કરે. લાલ રંગના પુષ્પો અર્પિત કરે. પૂજન બાદ મસૂરની દાળ દાન કરે.
ધન
ધન રાશિના જાતકો ચોખાથી શિવલિંગનો શ્રૃંગાર કરે. પહેલા ચોખા પકવી લો, ત્યારબાદ તેને ઠંડા કરી શિવલિંગનો શ્રૃંગાર કરો. સુકો મેવો ભોગ લગાવો, બિલી પત્ર, ગુલાબ વગેરે અર્પિત કરી આરતી કરો.
મકર
મકર રાશિના જાતકો ઘંઉથી શિવલિંગને ઢાંકી વિધિવત તેનું પૂજન કરે. પૂજન-આરતી પૂર્ણ કર્યા બાદ ઘંઉનું ગરીબોમાં દાન કરી દેવું. આ ઉપાયથી તમારી તમામ મુશ્કેલીઓનો અંત આવી જશે.
કુંભ
આ રાશિના લોકો સફેદ-કાળા તલને ભેળવી કોઈ એવા શિવલિંગ પર ચઢાવે જે એકાંત સ્થાને સ્થિત હોય. જળમાં તલ નથી શિવલિંગને સ્નાન કરાવો. ત્યારબાદ કાળા-સફેદ તલ અર્પિત કરી, પૂજન બાદ આરતી કરે.
મીન
આ રાશિના લોકો રાત્રે પીપળાની નીચે બેસી શિવલિંગનું પૂજન કરવું. આ સમયે ઓમ નમઃ શિવાયને 35 વખત ઉચ્ચારણ કરી બિલીપત્ર ચઢાવો અને આરતી કરો. શિવલિંગ પર ચણાની દાળ ચઢાવો અને પૂજન બાદ તેનું દાન કરો.