ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પ્રદાન કરનારી મા કાત્યાયની
21 સપ્ટેમ્બરથી શારદીય નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. જેમાં નવરાત્રીના નવે દિવસ માતા અંબાના વિવિધ રૂપોની પૂજા કરવામાં આવે છે. જેમાં માતાનું પહેલુ રૂપ એટલે શૈલપુત્રી, બીજુ રૂપ એટલે બ્રહ્મચારિણી, ત્રીજુ રૂપ એટલે ચંદ્રઘંટા, ચોથુ રૂપ એટલે કૂષ્માન્ડા, પાંચમું રૂપ એટલે સ્કંદમાતા, છઠ્ઠુ રૂપ એટલે કાત્યાયની, સાતમુ રૂપ એટલે કાલરાત્રી, આઠમું રૂપ એટલે મહાગૌરી, નવમું રૂપ એટલે સિદ્ધિ દાત્રી. આજે આપણે વાત કરીશુ માતાના છઠ્ઠા રૂપ 'કાત્યાયની' વિશે.
માનુ છઠ્ઠુ રૂપ- માતા કાત્યાયનીનો
રૂપ-સુંદર, સૌમ્ય અને મોહક
ભુજાઓ-ચાર
વાહન-સિંહ
પૂજા-અર્થ, ધર્મ, કામ અને મોક્ષ ચારે ફળોની પ્રાપ્તિ

કાત્યાયનીનું સ્વરૂપ
માતાનું સ્વરૂપ અત્યંત સુંદર, સૌમ્ય અને મોહક છે. નવરાત્રીના દિવસોમાં સાચા મનથી માતાની પૂજા કરવી જોઈએ. લોકો ઘટની સ્થાપના કરી માતાની ઉપાસના કરે છે, જેથી ખુશ થઈ માતા પોતાના બાળકોને ખુશીઓથી ભરી દે છે. મા કાત્યાયનીનું ધ્યાન સવારે વહેલા કરવું જોઈએ. માતાની શક્તિ મેળવવા માટે જાતકો એ નિમ્ન લિખિત જાપથી પૂજા શરૂ કરવી જોઈએ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ અપાવનાર માતા કાત્યાયની પૂજા આ શ્લોક દ્વારા કરવી જોઈએ.
या देवी सर्वभूतेषु माँ कात्यायनी रूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।।

કથા
એવું કહેવાય છે કે, કત નામના એક પ્રસિદ્ધ મહર્ષિ હતા. તેમના પુત્ર ઋષિ કાત્ય હતા. આ કાત્યના ગોત્રમાં વિશ્વપ્રસિદ્ધ મહર્ષિ કાત્યાયન ઉત્પન્ન થયા હતા. તેમણે ભગવતીની ઉપાસના કરવા ઘણા વર્ષો સુધી તપસ્યા કરી હતી. તેમની ઈચ્છા હતી કે, માતા ભગવતી તેમના ઘરે પુત્રી રૂપે જન્મ લે. માતા ભગવતીએ તેમની આ પ્રાર્થના સ્વીકારી લીધી. ત્યારથી માતાનું નામ કાત્યાયની પડ્યુ. એવું કહેવાય છે કે ભગવાન કૃષ્ણને પતિ રૂપે મેળવવા માટે વ્રજની ગોપીઓએ તેમની જ પૂજા કરી હતી. આ પૂજા કાલિંદી યમુનાના તટે કરવામાં આવી હતી.

અધિષ્ઠાત્રી દેવીના રૂપે
જેને કારણે તે વ્રજમંડળની અધિષ્ઠાત્રી દેવીના રૂપે પ્રતિષ્ઠિત છે. તેમનું રૂપ અત્યંત ભવ્ય અને દિવ્ય છે. તે સ્વર્ણની સમાન ચમકે છે. તેમની ચાર ભુજા છે. જમણી તરફ ઉપરનો હાથ અભયમુદ્રામાં છે તથા નીચે વાળો હાથ વર મુદ્રામાં છે. માતાની ડાબી તરફના ઉપરના હાથમાં તલવાર છે અને નીચેના હાથમાં કમળનું ફૂલ શોભે છે. તેમનું વાહન સિંહ છે.

ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે ફળોની પ્રાપ્તિ
તેમની ઉપાસના અને આરાધનાથી ભક્તોને ઘણી સરળતાથી અર્થ, ધર્મ, કામ અને મોક્ષ ચારે ફળોની પ્રાપ્તિ થાય છે. તેનાથી રોગ, શોક, સંતાપ અને ભય નષ્ટ થઈ જાય છે. જન્મોના તમામ પાપ ખતમ થઈ જાય છે. પરિણામે કહેવાય છે કે આ દેવીની ઉપાસના કરવાથી ઉચ્ચ પદની પ્રાપ્તિ થાય છે.