ચોથું નોરતું : રોગોનો નાશ કરવા માં કૂષ્માન્ડાની કરો પૂજા
માં દુર્ગાના ચોથા સ્વરૂપને માં કૂષ્માન્ડા તરીકે પૂજાય છે. માં કૂષ્માન્ડાની આરાધનાથી તમામ રોગોના નાશ થાય છે. આ અંગે વધુ વાંચો અહીં.
21 સપ્ટેમ્બરથી શારદીય નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. જેમાં નવરાત્રીના નવે દિવસ માતા અંબાના વિવિધ રૂપોની પૂજા કરવામાં આવે છે. જેમાં માતાનું પહેલુ રૂપ એટલે શૈલપુત્રી, બીજુ રૂપ એટલે બ્રહ્મચારિણી, ત્રીજુ રૂપ એટલે ચંદ્ર ઘંટા, ચોથુ રૂપ એટલે કૂષ્માન્ડા, પાંચમું રૂપ એટલે સ્કંદમાતા, છઠ્ઠુ રૂપ એટલે કાત્યાયની, સાતમુ રૂપ એટલે કાલરાત્રી, આઠમું રૂપ એટલે મહાગૌરી, નવમું રૂપ એટલે સિદ્ધિદાત્રી. આજે આપણે વાત કરીશું માતાના ચોથા રૂપ "કૂષ્માન્ડા" વિશે.
નવરાત્રીનો ચોથો દિવસ- માતા કૂષ્માન્ડાનો
રૂપ-સરળ, સૌમ્ય અને મોહક
ભુજા-આઠ
વાહન-સિંહ
પૂજા-સમસ્ત રોગોના નાશ માટે
કૂષ્માન્ડાનું સ્વરૂપ
નવરાત્રીના ચોથા દિવસે દેવી કૂષ્માન્ડાના રૂપની પૂજા કરવામાં આવે છે. માતાનું આ સ્વરૂપ અત્યંત શાંત, સૌમ્ય અને મોહક છે. તેમને આઠ ભુજાઓ છે, પરિણામે તેમને અષ્ટભુજા કહે છે. તેમના સાત હાથોમાં ક્રમશઃ કમંડળ, ધનુષ, બાણ, કમળ-પુષ્પ, અમૃત કળશ, ચક્ર તથા ગદા છે. આઠમાં હાથમાં તમામ સિદ્ધિ ઓ અને નિધિઓને દેનારી જપ માળા છે. આ દેવીનું વાહન સિંહ છે.
સૂર્યમંડળમાં રહેવાની શક્તિ
આ દેવીનો વાસ સૂર્યમંડળના અંદરના લોકમાં છે. સૂર્યલોકમાં રહેવાની શક્તિ ક્ષમતા માત્ર તેમનામાં જ છે. પરિણામે તેમના શરીરની ક્રાંતિ અને પ્રભા સૂર્યની જેમ દૈદિપ્યમાન છે. તેમના જ તેજથી દશે દિશાઓ આલોકિત છે. બ્રહ્માંડની દરેક વસ્તુઓ અને પ્રાણીઓમાં તેમનું જ તેજ વ્યાપેલું છે.
આ શ્લોકથી કરો માતાની પૂજા
માતા કૂષ્માન્ડાને પ્રસન્ન કરવા અને શુભફળ મેળવવા તેમની પૂજા નિમ્ન લિખિત મંત્ર દ્વારા કરવી જોઈએ.
या देवी सर्वभूतेषु मां कूष्माण्डा रूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।।
રોગોનો નાશ
કહેવાય છે કે, જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ ન્હોતુ, ત્યારે આ જ દેવીએ બ્રાહ્માંડની રચના કરી હતી. પરિણામે તેઓ જ સૃષ્ટિની આદિ-સ્વરૂપા, આદિશક્તિ છે. માતા કૂષ્માન્ડાની ઉપાસનાથી ભક્તોન તમામ રોગ-શોક મટી જાય છે. તેમની ભક્તિથી આયુ, યશ, બળ અને આરોગ્યમાં વૃદ્ધિ થાય છે.