વસંત પંચમી 2018: જાણો મંત્ર પૂજા વિધિ અને શુભ મુહૂર્ત
વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ વર્ષે વસંત પંચમી 21 જાન્યુઆરીને રવિવારે ઉજવાશે. જાણો આ દિવસની પુજા વિધી અને મુહૂર્ત
વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ વર્ષે વસંત પંચમી 21 જાન્યુઆરીને રવિવારે ઉજવાશે. આ દિવસે સફેદ, પીળા અને વાસંતી રંગના વસ્ત્રો પહેરી સરસ્વતીનું પૂજન કરવામાં આવે છે. માતા સરસ્વતી જ્ઞાનની દેવી છે અને જ્ઞાન વિના વ્યક્તિનો વિકાસ નથી. જેથી જેઓ પોતાના જીવનમાં સફળતાના ઉચ્ચ શિખરો પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેમણે જરૂર માતા સરસ્વતીની પૂજા કરવી જોઈએ.
બ્રહ્માજી સરસ્વતીના સર્જનહાર
વિષ્ણુની આજ્ઞાથી જ્યારે બ્રહ્માએ સૃષ્ટિની રચના કરી ત્યારે તેમણે સૌથી પહેલા મનુષ્યનું સર્જન કર્યુ. પણ સૃષ્ટિની રચના કર્યા બાદ બ્રહ્માજીને સંતુષ્ટિ મળી નહિં. વિષ્ણુની આજ્ઞા લઈ. બ્રહ્માજીએ પોતાના કમંડળમાંથી પાણીનો છંટકાવ કર્યો જેનાથી પૃથ્વીમાં કંપન પેદા થયુ. થોડી ક્ષણો બાદ એક અદ્ભૂત શક્તિ પ્રગટ થઈ. તે એક સુંદર ચતુર્ભુજ દેવી હતી જેના એક હાથમાં વિણા અને બીજો હાથ વર મુદ્રામાં હતો. તેમજ અન્ય હાથોમાં પુસ્તક અને માળા હતી. બ્રહ્માજીએ સૌદર્યની આ દેવીને વીણા વગાડવા કહ્યુ. જેમ દેવીએ વીણા વગાડવાની શરૂ કરી ત્યાં સમગ્ર સંસારમાં એક મધુર નાદ ગુંજી ઉઠ્યો, તેમ જળધારામાં કોલાહલ વ્યાપી ગયો, પવન સુસવાટા લઈ અવાજ કરવા લાગ્યો. તે જ સમયે બ્રહ્માજીએ આ દેવીને સરસ્વતીનું નામ આપ્યુ. ત્યારથી જ વસંત પંચમીના દિવસે તેમનો જન્મ દિવસ ઉજવાય છે.
શુભ મુહૂર્ત
- આ વર્ષે 21 જાન્યુઆરીને રવિવારે વસંત પંચમી ઉજવાશે.
- પૂજા શુભ મુહૂર્ત- સવારે 7:40 થી 12:16 સુધી
પૂજા વિધિ
દેવી ભાગવત અનુસાર માતા સરસ્વતીની પૂજા સૌ પહેલા ભગવાન કૃષ્ણે કરી હતી. સવારે તમામ દૈનિક કાર્યો પતાવી માતા સરસ્વતીની તસ્વીરને સ્થાપિત કરો. ત્યારબાદ કળશ સ્થાપિત ગણપતિની તથા નવગ્રહોની પૂજા કરો. સરસ્વતીનું પૂજન કરવા સૌ પહેલા તેમને સ્નાન કરાવો. ત્યારબાદ માતાને સિંદૂર અને શ્રૃંગારનો સામાન ચઢાવો પછી ફુલ હાર ચઢાવો. માતાને મિઠાઈનો ભોગ ધરાવી સરસ્વતી કવચનો પાઠ કરો. ‘‘श्रीं ह्रीं सरस्वत्यै स्वाहा'' આ મંત્રનો જાપ કરવાથી અસીમ પુણ્યની પ્રાપ્તિ થાય છે.
વસંત પંચમીએ કરો આ ઉપાય
જો તમારુ બાળક ભણવામાં નબળું છે તો વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા કરો અને ત્યારબાદ તે પૂજામાં ઉપયોગમાં લીધેલી હળદરને એક કપડામાં બાંધી તેને બાળકની ભુજામાં બાંધી દો. માતા સરસ્વતી વાણીની દેવી છે, જેથી મિડિયા, એંકર, વક્તા, અધ્યાપક અને સંગીત વગેરે ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની જરૂર પૂજા કરો. માતા ની પૂજા કરવાથી મન શાંત થાય છે અને વાણીમાં ગજબનો નિખાર આવે છે. જો તમે ઈચ્છો છો કે તમારા બાળકને પરીક્ષામાં સારા માક્સ આવે, તો તમારા બાળકના સ્ટડીરૂમમાં માતા સરસ્વતીનો ફોટો જરૂર લગાવો. જેમની વાણી તીખી છે, જેને કારણે તેમને હંમેશા નુકશાન ઉઠાવવું પડે છે. તેઓ માતા સરસ્વતીની પૂજા જરૂર કરે.