દિવ્ય દ્રષ્ટિનું પ્રતિક સમી શિવની ત્રીજી આંખ શું શીખવે છે માનવ પ્રકૃતિને?
જ્યારે પણ આપણે શિવનું નામ લઈએ છીએ ત્યારે તેમનું એક સ્વરૂપ આપણી આંખોની સામે આવી જાય છે.
જ્યારે પણ આપણે શિવનું નામ લઈએ છીએ ત્યારે તેમનું એક સ્વરૂપ આપણી આંખોની સામે આવી જાય છે. જેમાં તેમની જટા દ્વારા નીકળતી ગંગા, માથા પર ચંદ્ર. ત્રીજી આંખ, હાથમાં ત્રિશુળ અને ડમરૂ. જો કે શું તમે જાણો છો કે શિવની ત્રીજી આંખ કેમ છે, આ આંખ પાછળ શું છે રહસ્ય?
પુરાણોમાં આ વાતનો ઉલ્લેખ જોવા મળે છે કે આપણા તમામ દેવોને માત્ર 2 આંખ છે, પણ માત્ર શિવને જ ત્રણ આંખ છે. આમ તો મહાદેવની ત્રીજી આંખને લઈ અનેક કથાઓ પ્રચલિત છે, જેમાં એક કથા અનુસાર જ્યારે કામદેવે ભોળાનાથી તપસ્યાને ભંગ કરવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે શિવજીની ત્રીજી આંખ ઉત્પન્ન થઈ હતી અને તેમણે કામદેવને ભસ્મ કર્યો હતો.
સંસારમાં અંધકારી છવાઈ ગયો
એક અન્ય કથા અનુસાર એક વખત પાર્વતી જ્યારે પાછળથી આવીને ભગવાન ભોળાની બંને આંખોને બંધ કરી દે છે ત્યારે સમસ્ત સંસારમાં અંધકારી છવાઈ ગયો હતો. ત્યારે સંસારને ફરી પ્રકાશમય કરવા માટે શિવની ત્રીજી આંખ જાતે જ ખુલી ગઈ હતી અને ફરી ચારે બાજુ પ્રકાશ છવાઈ ગયો હતો. કહેવાય છે કે શિવની એક આંખ સૂર્ય છે તો બીજી ચંદ્ર. જેથી જ્યારે પાર્વતીએ તેમના નેત્રો બંધ કર્યા ત્યારે ચારેબાજુ અંધકાર છવાઈ ગયો હતો.
દિવ્ય દ્રષ્ટિનું પ્રતિક
એવું મનાય છે કે શિવની ત્રીજી આંખ તેમનું કોઈ વધારાનું અંગ નથી પણ તેમની દિવ્ય દ્રષ્ટિનું પ્રતિક છે, જે આત્મજ્ઞાન માટે ખૂબ જ જરૂરી છે. શિવને સંસારના સંહારક કહેવાય છે, જ્યારે જ્યારે મુશ્કેલીના વાદળ છવાય ત્યારે ત્યારે ભોળાનાથ આખા સંસારને મુશ્કેલીમાંથી બચાવે છે.
એવું પણ કહેવાય છે કે મહાદેવની ત્રીજી આંખથી કોઈ બચી શકતુ નથી. તેમની આંખ ત્યાં સુધી બંધ રહે છે જ્યાં સુધી તેમનું મન શાંત રહે છે. પણ જ્યારે તેમને ગુસ્સો આવે છે ત્યારે તેમની આ ત્રીજી આંખની અગ્નિથી કોઈ બચી શકતુ નથી.
શિવની ત્રીજી આંખ શું જણાવે છે?
શિવની ત્રીજી આંખ આપણને સંદેશો આપે છે કે, દરેક મનુષ્ય પાસે ત્રીજી આંખ હોય છે. જરૂર છે યોગ્ય સમયે તેનો ઉપયોગ કરવાની. આ ત્રીજી આંખ આપણને મુશ્કેલીમાંથી બચાવે છે. સાચા ખોટાનો ફર્ક સમજાવે છે અને સાથે આપણને સાચો માર્ગ બતાવે છે. જીવનમાં ઘણી વાર એવી મુશ્કેલીઓ આવે છે જેને આપણે સમજી શકતા નથી. આવી પરિસ્થિતિમાં તે આપણું માર્ગદર્શન કરે છે. ધૈર્ય અને સંયમ જાળવી રાખવામાં પણ આ આપણી મદદ કરે છે.
નશ્વર શરીરનો મોહ ન કરો
ભગવાન શંકર શવને બળ્યા બાદ આ ભસ્મને પોતાના શરીરે લગાવે છે. તેનો અર્થ એ છે કે આપણું શરીર નશ્વર છે. એક ને એક દિવસે આ શરીરને રાખ થવાનું જ છે. જેથી તેનો ઘમંડ ન કરવો જોઈએ. સાથે જ સુખ અને દુઃખ બંને જીવનનો ભાગ છે. જે વ્યકિત પોતાને પરિસ્થિતિ અનુસાર ઢાળી દે છે તેનું જીવન સફળ થઈ જાય છે, અને આ તેનો સૌથી મોટો ગુણ છે.