શ્રીગણેશ વિશેની કેટલીક રસપ્રદ વાતો, વાંચો અહી
હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે. આપણા પુરાણોમાં ભગવાન ગણેશને લઈ અનેક કથાઓ જોવા મળે છે. ગણેશ ભગવાન વિશેની કેટલીક એવી વાતો જે તમે પણ જાણતા નહી હોવ. તે માટે વાંચો અહીં..
ગણેશ ચતુર્થી આવી ગઈ અને આપણા ઘરમાં વિઘ્નહરતા બાપ્પા ગણેશ ઉત્સવ પણ ચાલી રહ્યો છે. વિઘ્નહર્તા, મંગલમૂર્તિ, લંબોદર, વક્રતુંડ, આ બધા નામો ગણેશના છે. જેટલા વિચિત્ર નામો છે, તેટલી જ તેની સાથે જોડાયેલી વિચિત્ર કથાઓ છે. આપણા અનેક ધર્મગ્રંથોમાં ભગવાન શ્રી ગણેશની કથાઓનું વર્ણન જાણવા મળે છે. આ કથાઓમાં ભગવાન શ્રી ગણેશ સાથે જોડાયેલી અનેક એવી વાતો છે, જે ઘણા ઓછા લોકો જાણે છે. તો આજે અમે તમને ભગવાન ગણેશ સાથે જોડાયેલી કેટલીક આવી રસપ્રદ વાતો જણાવીશું જે તમે પણ ભાગ્યેજ જાણતા હશો..
ગણેશ જન્મ
શિવપુરાણ પ્રમાણે માતા પાર્વતીએ શ્રી ગણેશનું નિર્માણ કરવાનો વિચાર તેમની સખી જયા અને વિજ્યાએ આપ્યો હતો. જયા-વિજ્યાએ પાર્વતીને કહ્યુ હતુ કે નંદી અને અન્ય તમામ ગણ માત્ર મહાદેવની આજ્ઞાનું પાલન કરે છે. પરિણામે તમારે પણ એક ગણની રચના કરવી જોઈએ જે માત્ર તમારી આજ્ઞાનું પાલન કરે. આ પ્રકારે વિચાર આવતા માતા પાર્વતીએ શ્રીગણેશની રચના પોતાના શરીરના મેલથી કરી.
દુર્વા ચઢે છે
શિવમહાપુરાણ પ્રમાણે શ્રીગણેશના શરીરનો રંગ લાલ અને લીલો છે. શ્રીગણેશને દુર્વા ચઢાવામાં આવે છે. તે મુળ રહિત, બાર આંગળી લાંબી અને ત્રણ ગાંઠો વાળી હોવી જોઈએ. આવી 101 કે 121 દુર્વાથી શ્રી ગણેશની પૂજા કરવી જોઈએ.
શિવે કર્યુ હતુ ગણેશ પૂજન
શિવમહાપુરાણ પ્રમાણે જ્યારે ભગવાન શિવ ત્રિપુરનો નાશ કરવા જઈ રહ્યા હતા ત્યારે આકાશવાણી થઈ કે જ્યાં સુધી તમે શ્રીગણેશનું પૂજન નહિં કરો ત્યાં સુધી ત્રણે પુરોંનો સંહાર કરી શકશો નહિં. ત્યારે ભગવાન શિવે ભદ્રકાળીને બોલાવી ગજાનનનું પૂજન કર્યુ અને યુધ્ધમાં વિજય પ્રાપ્ત કરી.
તુલસીને આપ્યો હતો શ્રાપ
પુરાણો પ્રમાણે એક વાર તુલસીદેવી ગંગા તટથી ગુજરી રહી હતી, તે સમયે ત્યાં ગણેશજી પણ તપ કરી રહ્યા હતા. શ્રી ગણેશને જોઈ તુલસીનું મન તેમના પ્રત્યે આકર્ષાયું. જ્યારે તુલસીએ ગણેશજીને કહ્યુ કે તમે મારા સ્વામી બની જાવ, પણ ગણેશે વિવાહ કરવાની ના પાડી. તો ગુસ્સામાં આવી તુલસીએ ગણેશને વિવાહ કરવાનો શ્રાપ આપ્યો, તો ભગવાન ગણેશે પણ તુલસીને વૃક્ષ બનવાનો શ્રાપ આપ્યો હતો.
શનિની નજરથી કપાયું હતુ માથુ
બ્રહ્મવૈવર્ત પુરાણ પ્રમાણે જ્યારે દરેક દેવો ગણેશને આશિર્વાદ આપી રહ્યા હતા ત્યારે શનિદેવ માથુ નીચુ કરીને ઊભા હતા. પાર્વતી દ્વારા પુછતા શનિદેવે કહ્યુ કે મારા જોવાથી પુત્રનું અહિત થઈ શકે છે પરંતુ જ્યારે માતા પાર્વતીના કહેવાથી શનિદેવે બાળકને જોયો ત્યારે સાચે તેનું માથુ ધડથી અલગ થઈ ગયુ હતુ.
ગણેશે લખી મહાભારત
મહાભારતનું લેખન શ્રીગણેશે કર્યુ હતુ. આ વાત તમામ લોકો જાણે છે. પણ મહાભારત લેખન પહેલા તેમણે મહર્ષિ વેદવ્યાસની સામે એક શર્ત મુકી હતી, જેના વિશે ઘણા ઓછા લોકો જાણે છે. શર્ત આ પ્રકારની હતી કે, શ્રીગણેશે મહર્ષિ વેદવ્યાસને કહ્યુ હતુ કે જો લખતી વખતે હુ લખતા ક્ષણવાર રોકાવુ નહી તો હું આ ગ્રંથનો લેખક બની શકુ છું. ત્યારે મહર્ષિ વેદવ્યાસજીએ આ શર્ત માની લીધી અને શ્રીગણેશને કહ્યુ કે હું જે પણ બોલું તમે તેને સમજયા વગર ન લખતા. ત્યારે વેદવ્યાસજી વચ્ચે વચ્ચે કેટલાક એવા શ્લોક બોલતા કે તેને સમજવામાં ગણેશજીને થોડો સમય લાગતો. આ વચ્ચેના સમયમાં મહર્ષિ વેદવ્યાસ પોતાના અન્ય કામો કરી લેતા હતા.
બુદ્ધિના દાતા ગણેશ
શિવમહાપુરાણ અનુસાર શ્રીગણેશના લગ્ન પ્રજાપતિ વિશ્વરૂપની પુત્રીઓ સિદ્ધિ અને બુદ્ધિથી થયા છે. ગણેશના બે પુત્રો છે જેમના નામ ક્ષેત્ર અને લાભ છે.પુરાણ પ્રમાણે છન્દશાસ્ત્રમાં 8 ગણ હોય છે, મગણ, નગણ, ભગણ, યગણ, જગણ, રગણ, સગણ, તગણ. તેમના અધિષ્ઠાતા દેવ રહેવા છતાં તેમને ગણેશની સંજ્ઞા આપવામાં આવી છે. અક્ષરોને ગણ પણ કહેવાય છે. તેમના ઈશ હોવાને કારણે તેમને ગણેશ કહેવાય છે, પરિણામે આ વિદ્યા-બુદ્ધિ દેવ પણ કહેવાય છે.