આ વ્રત કરો અને ખોલો તમારી બંધ કિસ્મતના દરવાજા
જીવનમાં આવનારા દુઃખોથી બચવા ગ્રહોને આધારે તેના વ્રત કરવાથી વ્યક્તિની તકલિફો દૂર થાય છે અને તેની તમામ ઈચ્છાઓ પૂરીં થાય છે.
સુખ દુઃખ વ્યક્તિના જીવનમાં આવ્યા કરે છે. કેટલાક લોકો તેમના જીવનથી લડતા-લડતા હાર માનીને નિરાશ થઈ જતા હોય છે. જો કે ધ્યાન રાખજો કે જીવનમાં કશું જ સ્થાયી નથી પછી ભલે તે સુખ હોય કે દુઃખ. પરિણામે સુખમાં વધુ સુખી ન થવું અને દુઃખમાં વધુ દુઃખી ન થવું. વ્યક્તિના જીવનમાં જ્યારે દુઃખ આવે છે ત્યારે તેના નિરાકરણ માટે જ્યોતિષોની સલાહ લેવા લાગે છે. જ્યોતિષ તેની કુંડળી જોઈ જણાવે છે કે તે ક્યા ગ્રહને કારણે દુઃખી છે. અને તે પ્રમાણે પૂજા-પાઠ સૂચવે છે. આજે અમે તમને જણાવિશું આવા કેટલાક વ્રતો વિશે. જેના દ્વારા તમે તમારા જીવનને સુખમય બનાવી શકો છો.
સૂર્યનું વ્રત
જો તમે કે તમારા ઘરની કોઈ વ્યક્તિ વારંવાર બિમાર રહેતી હોય, કુટુંબમાં બિમારી ચાલ્યા કરતી હોય તેવા સમયે સૂર્યનું વ્રત કરવું જોઈએ. આ વ્રત એક વર્ષ કે 30 રવિવાર કરવું જોઈએ. વ્રતના દિવસે લાલ રંગના કપડા પહેરવા. ओम ह्रां ह्रीं ह्रौं सः सूर्याय नमः આ મંત્રની 12 કે 5 માળા કરવી. જાપ કર્યા બાદ શુધ્ધ જળ, લાલ ચંદન, ચોખા, લાલ ફૂલથી સૂર્યને અર્ધ્ય આપવું. એક ટાણું કરવું જેમાં ઘઉંની રોટલી, દલિયા, દહીં, ઘી અને ખાંડ ખાવી. મીઠુ ન લેવું.
ચંદ્રનું વ્રત
54 સોમવાર સુધી ચંદ્રનું વ્રત કરવું જોઈએ. વ્રતના દિવસે સફેદ કપડા પહેરવા. ओम श्रां श्रीं श्रौं सः चंद्राय नमः મંત્રની 11 કે 5 માળા કરવી. જમવામાં મીઠા વિનાનું ભોજન લેવું. જેમાં દહીં, દુધ, ચોખા, ખાંડ અને ઘીથી એક ટાણું કરવું. આ વ્રત કરવાથી વેપારમાં લાભ થાય છે. માનસિક પીડામાંથી મુક્તિ મળે છે. કામમાં આવનારી મુશ્કેલીઓ દૂર થાય છે. તમારી મનોકામના પૂરીં થાય છે.
મંગળનું વ્રત
મંગળ વ્રત 45 કે 21 દિવસ સુધી કરવામાં આવે છે. વ્રતના દિવસે લાલ વસ્ત્રો પહેરવા અને ओम क्रां क्रीं क्रौं संः भौमाय नमः મંત્રની 7 કે 5 માળા કરવી. જમવામાં ગોળથી બનેલો હલવો કે લાડવા ખાવા. મીઠું ખાવું નહિ. આ વ્રત કરવાથી દેવામાંથી છૂટકારો મળે છે. જે દંપતિને સંતાન થતું ન હોય તેમણે આ વ્રત કરવું જોઈએ. મંગળથી રોગોમાંથી મુક્તિ મળે છે અને ધનનો સંગ્રહ થાય છે.
બુધનું વ્રત
45 કે 17 બુધવાર આ વ્રત કરવું. વ્રતના દિવસે લીલા રંગના કપડા પહેરી ओम ब्रां ब्रीं ब्रौं सः बुधाय नमः મંત્રની 17 કે 5 માળાનો જાપ કરવો. ભોજનમાં મીઠા વિનાની મગથી બનેલી વસ્તુ ખાવી. જમતા પહેલા તુલસીના પાન ચરણામૃત કે ગંગાજળ સાથે ખાવા. આ વ્રત કરવાથી વિદ્યા અને ધન લાભ થાય છે. વિદ્યાથિઓને પરીક્ષામાં સફળતા મળે છે. વેપારમાં ઉન્નતિ થાય છે.
ગુરુનું વ્રત
આ વ્રત 3 વર્ષ, 1 વર્ષ કે 16 ગુરુવાર કરવું જોઈએ. પીળા વસ્ત્રો ધારણ કરી ओम ग्रां ग्रीं ग्रौं सः गुरवे नमः મંત્રની 16 કે 5 માળા કરવી. આ વ્રતના દિવસે જમવામાં ચણા, બેસન, ઘી અને ખાંડથી બનેલી મીઠાઈ કે લાડવા ખાવા. આ વ્રત વિદ્યાર્થિઓને વિદ્યા અને બુધ્ધિ પ્રદાન કરે છે. ધનનું સંચય થાય છે. માન-પ્રતિષ્ઠામાં વધારો થાય છે. અવિવાહિતોના વિવાહ થાય છે. વ્યક્તિના સન્માનમાં વધારો થાય છે.
શુક્રનું વ્રત
શુક્રનું વ્રત 31 કે 21 શુક્રવાર સુધી કરવામાં આવે છે. વ્રતના દિવસે સફેદ કપડા પહેરવા અને ओम द्रां द्रीं द्रौं सः शुक्राय नमः મંત્રની 21 કે 11 માળાનો જાપ કરવો. એકટાણામાં ચોખા, ખાંડ, દૂધ, કે ઘીથી બનેલા પદાર્થ લેવા. આ વ્રત કરવાથી સુખ-સૌભાગ્યમાં વૃધ્ધિ થાય છે. ભૌતિક સુખોમાં વધારો થાય છે. લગ્નજીવન સુખમય બને છે. પ્રેમ સંબંધોમાં સફળતા મળે છે.
શનિ વ્રત
શનિ વ્રત 51 કે 21 શનિવાર સુધી કરવામાં આવે છે. વ્રતના દિવસે કાળા વસ્ત્રો પહેરવા. ओम प्रां प्रीं प्रौं सः शनये नमः મંત્રની 19 કે 11 માળાનો જાપ કરવો. જાપ કરતી વખતે એક વાસણમાં પાણી, કાળા તલ, દુધ, ખાંડ અને ગંગાજળ પોતાની પાસે રાખો. જાપ કર્યા બાદ પીપળાના વૃક્ષમાં પશ્ચિમ તરફ મુખ કરી તેને નાખી દેવું. જમવામાં કાળી અડદના લોટમાંથી બનેલી વસ્તુઓ ખાવી. તેલમાં તળેલી વસ્તુઓ ખાવી. ફળમાં કેળા ખાવા. આ વ્રત કરવાથી સંસારમાં ચાલતી મુશ્કેલીઓ દૂર થાય છે. કોર્ટ-કચેરીના કામમાં વિજય મળે છે. લોખંડનો વેપાર કરનારાને તેનાથી વિશેષ લાભ થાય છે.
વ્રતમાં ધ્યાન રાખવાની બાબતો
- દરેક ગ્રહનું વ્રત તેના નક્કી વારે જ કરવું જોઈએ.
- દરેક ગ્રહનું વ્રત શુક્લપક્ષમાં જ શરૂ કરવું.
- દરેક વ્રતમાં સવારે સ્નાન કર્યા બાદ સૂર્યને અર્ધ્ય આપવું.
- કોઈ ગુરુને માનતા હોય તો વ્રત શરૂ કરતા પહેલા ગુરુ મંત્રની એક માળા કરી લેવી.
- વ્રતના દિવસે એક ટાણું જ કરવું.
- વ્રતના દિવસે જે વસ્તુ ખાવ તેનું યથાશક્તિ દાન પણ કરવું.