ચૈત્ર નવરાત્રી એટલે હિંદુ નવવર્ષની શરૂઆતનો સંકેત
નવી ઉર્જા સાથે કરો નવા વર્ષની શરૂઆત. જાણો ચૈત્રી નવરાત્રી વિષે આ વાતો
કર્ણાટકમાં ઉગાદિ, તેલગુમાં ઉગાદિ, મહારાષ્ટ્રમાં ગુડી પડવા, સિંધી સમાજમાં ચેટી ચાંદ, મણિપુરમાં સજીબુ નોંગમા વગેરે વગેરે. નામ કોઈ પણ હોય પણ તે એક જ છે ચૈત્ર માસની શુક્લ પ્રતિપદા, હિંદુ પંચાંગ અનુસાર સૃષ્ટિની ઉત્પત્તી નો દિવસ, નવ વર્ષનો પહેલો દિવસ, નવરાત્રીનો પહેલો દિવસ. આ નવવર્ષનું સ્વાગત માત્ર માણસો જ નહિં આખી પ્રકૃતિ કરે છે. ઋતુરાજ વસંત પ્રકૃતિને પોતાના ઓગાશમાં લઈ ચુકેલા હોય છે, ઝાડ પર નવી કુંપળો ફૂટી ગઈ હોય છે સાથે જ ઝાડ પર નવા ફૂલો આવવાના શરૂ થઈ ગયા હોય છે, ખેતરોમાં સરસવના પીળા ફૂલની ચાદર પથરાયેલી હોય છે. કોયલ વાતાવરણમાં કુકુના ગુંજનનું અમૃત રેડી રહી હોય અને નવરાત્રીમાં માતાના ધરતી પર આગમનની પ્રતિક્ષા થઈ રહી હોય તે નવા વર્ષનો પ્રારંભ થવાની શરૂઆત હોય છે.
પૃથ્વીના નવા સફરની શરૂઆત..
પૃથ્વીના નવા સફરની શરૂઆત માતાના નવ દિવસના આશિર્વાદ સાથે થાય છે. આ સમયે નવ રાત અને દસ દિવસ માટે માતા ધરતી પર આવે છે. માતા દુર્ગાની ઉપાસના એટલે કે શક્તિની ઉપાસના નવ દિવસ કરવાથી આખુ વર્ષ આપણામાં શક્તિનો સંચાર રહે છે. આ સૃષ્ટિમાં માત્ર માનવો જ નહિ પણ દેવો, ગંધર્વો, દાનવો પણ તમામ શક્તિ માટે માતા પર નિર્ભર છે
દૈવિય શક્તિનો વિકાસ
જે રીત એક કિલ્લો અંદર રહેતા લોકોને દુશ્મનો સામે રક્ષણ પૂરું પાડે છે તે જ રીતે માતા દુર્ગાની ઉપાસના આપણને આપણા શત્રુઓ સામે છત્રછાયા પ્રદાન કરે છે. મહત્વની વાત એ છે કે પહેલા આપણે આપણા શત્રુને ઓળખવો જરૂરી છે. અનાદિ કાળથી શાશ્વત સત્ય છે કે આપણો સૌથી મોટો શત્રુ આપણી અંદર જ છે. દરેક વ્યકિતની અંદર એક અસુરી અને બીજી દૈવીય પ્રવૃતિ હોય છે. નવરાત્રીના સમયે માતા શક્તિનું આહવાન કરી આપણા અંદરની દૈવીય શક્તિનો વિકાસ કરવાનો અને અસુરી શક્તિનો નાશ કરવાનો હોય છે.
અસુરોનો નાશ
માએ જે રીતે દુર્ગાનું સ્વરૂપ લઈ મહિસાસુર, ધુમ્રલોચન, ચંડ મુંડ, શુભ નિશુંભ, મઘુ કૈટભ, જેવા રાક્ષસોનો નાશ કર્યો તેવી જ રીતે આપણે પણ આપણી અંદરની આળસ, ક્રોધ, લાલચ, અહંકાર, મોહ, ઈર્ષા, દ્વેષ જેવા રાક્ષસોનો નાશ કરવો જોઈએ.
નવી ઉર્જા સાથે નવા વર્ષની શરૂઆત
નવરાત્રીના સમયે જ્યારે યજ્ઞની અગ્નિ જ્વાળા આપણી અંદરના અંધકારને ખતમ કરી તમામ દુષણો, રાક્ષસો અને શત્રુઓનો નાશ કરે છે. આ જ સમય હોય છે પોતાને નિર્મળ અને સ્વચ્છ કરી માતાનો આશિર્વાદ લેવાનો હોય છે. આ સમય છે નવવર્ષના આરંભ સાથે નવી ઉર્જા સાથે નવી શરૂઆત કરવાનો. આ સમય છે પોતાની જાત પર વિજય મેળવવાનો.