સાવધાન! થાઈલેન્ડનું આ ડરામણું મંદિર નરકથી ઓછું નથી, ફોટા જોઈને રૂંવાડા ઉભા થઈ જશે
બૌદ્ધ મઠ હંમેશા શાંતિ અને સાદગી માટે જાણીતા છે. આ મઠ એક એવી જગ્યા હોય છે, જ્યાં જવા પર તમને હંમેશા શાંતિ મહેસૂસ થાય છે, પરંતુ થાઈલેન્ડમાં એક એવો બૌદ્ધ મઠ છે
બૌદ્ધ મઠ હંમેશા શાંતિ અને સાદગી માટે જાણીતા છે. આ મઠ એક એવી જગ્યા હોય છે, જ્યાં જવા પર તમને હંમેશા શાંતિ મહેસૂસ થાય છે, પરંતુ થાઈલેન્ડમાં એક એવો બૌદ્ધ મઠ છે, જે તમને જીવતેજીવ નર્કનો અહેસાસ કરાવશે. દક્ષિણ પૂર્વ એશિયામાં આવેલા દેશ થાઈલેન્ડના ચિયાંગ શહેરમાં 'વોટ માઈ કેટ નોઈ' નામના મંદિરમાં લોકો દેવી દેવતા નહીં પરંતુ નર્કના દર્શન કરવા માટે આવે છે.
આ મંદિરમાં કોઈ દેવતાની મૂર્તિ નથી પરંતુ અહીં મૃત્યુ બાદ આત્માને પાપ માટે મળતી સજાઓ દર્શાવાઈ છે. જેમાં જીવતેજીવ કરેલા પાપ બદલ નર્કમાં કેવી પીડા અપાય છે તેવી મૂર્તિઓ બનાવાયેલી છે. આ મૂર્તિઓ જોઈને ડરના માર્યા તમને કંપારી છૂટી જશે.
આ પણ વાંચો: ગુજરાતના આ મંદિરમાં થાય છે મુસ્લિમ મહિલાની પૂજા
થાઈલેન્ડની રાજધાની બેંગકોકથી લગભગ 700 કિલોમીટર દૂર ચિયાંગ માઈ શહેરમાં આવેલું આ નર્ક મંદિર આખી દુનિયાનું એકમાત્ર મંદિર છે.
બૌદ્ધ ભિક્ષુએ કરાવ્યું હતું નિર્માણ
આ મંદિર બનાવવાનો મૂળ વિચાર એક બૌદ્ધ ભિક્ષુ પ્રા કરુ વિશાનજલિકોનનો હતો. તેઓ આ મંદિર દ્વારા નર્કમાં પાપ માટે અપાતી સજા દર્શાવવા માગતા હતા, જેથી લોકો સજાથી બચવા માટે સારા કર્મ પર ધ્યાન આપે. હવે આ મંદિર ધીરે ધીરે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ચૂક્યુ છે.
મૂર્તિના માધ્યમથી દર્શાવી નર્કની સજા
ફક્ત નામથી જ નહીં, પરંતુ આ મંદિરમાં પ્રવેશ કર્યા બાદ તરત જ નર્ક જેવો અહેસાસ થવા લાગે છે. આ મંદિરની ખાસિયત છે કે તેમાં મોટી મોટી ભયાનક મૂર્તિઓ લાગેલી છે. જે આત્માને પાપના આધારે યાતના આપી રહેલી દેખાય છે. આ મૂર્તિઓ દ્વારા જુદા જુદા પ્રકારની ભયંકર પીડા દર્શાવાઈ છે. કેટલીક મૂર્તિઓ લોહીની જેમ લાલ રંગથી રંગાયેલી છે, જે તમને સાક્ષાત નર્કનો અહેસાસ કરાવશે. સૌથી મોટી વાત છે કે આ મંદિરમાં પર્યટકો કે શ્રદ્ધાળુઓ માટે પ્રવેશ નિશુલ્ક છે.
અલગ અલગ સજા વિશે માહિતી
આ મંદિરમાં વિશાળકાય મૂર્તિઓના માધ્યમથી જુદા જુદા પાપને આધારે અલગ અલગ પ્રકારની પીડા દર્શાવાઈ છે. જેમ કે ચોરી કરનાર ચોરના હાથ મૃત્યુ બાદ કાપી નાખવામાં આવે છે.
બળાત્કાર કરવા પર
આ મૂર્તિઓના માધ્યમથી દર્શાવાયું છે કે જો કોઈ વ્યક્તિ વ્યાભિચાર કે બળાત્કાર જેવું પાપ કરે છે તો તેના યૌન અંગો દ્વારા તેને સજા આપવામાં આવે છે.
ગર્ભપાત કરતી મહિલાઓની મૂર્તિ
આ મંદિરમાં જે મૂર્તિ સૌથી વધુ લોકો જુએ છે તે છે ગર્ભપાત કરતી મહિલાઓની મૂર્તિ. થાઈલેન્ડમાં ગર્ભપાત કરાવવો ગેરકાયદે છે. એટલે આ મંદિરમાં ગર્ભપાતને પણ પાપની યાદીમાં સમવાયું છે.
ચીનમાં પણ છે આવું મંદિર
એશિયામાં થાઈલેન્ડ ઉપરાંત સાઉથ કોરિયા, ચાઈના અને જાપાનમાં પણ નર્ક મંદિર બનાવાયા છે, જેમાંથી મોટા ભાગના બૌદ્ધ મઠ છે. ચીનના તાઓ મંદિરમાં પણ બિલકુલ આ જ થીમ પર નિર્માણ કરાયું છે.
ગરૂડ પુરાણમાં પણ કહેવાઈ છે પાપની સજા
થાઈલેન્ડમાં પ્રાચીન સમયમાં બૌદ્ધ અને હિન્દુ ધર્મનો પ્રભાવ રહ્યો છે. એટલે અહીંની સભ્યતા અને સંસ્કૃતિ પર ભારતીય સંસ્કૃતિની અસર જોઈ શકાય છે. આ મંદિરમાં એવા પાપ વિશે દર્શાવાયું છે, જેનો ઉલ્લેખ હિંદુ ધર્મગ્રંથ ગરૂડ પુરાણમાં પણ છે. ગરૂડ પુરાણમાં પાપના આધારે મૃત્યુ બાદ 28 પ્રકારની જુદી જુદી સજાનો ઉલ્લેખ છે, જે મૃત્યુ બાદ યમરાજ આપે છે.