4 કારણોથી FIIએ નવા વર્ષના પ્રથમ 10 દિવસમાં સ્ટોક માર્કેટમાંથી 1700 કરોડ પાછા ખેંચ્યા
મુંબઇ, 12 જાન્યુઆરી : વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ - FII)એ નવા વર્ષના પ્રથમ 10 દિવસમાં એટલે કે જાન્યુઆરી 2015માં ભારતીય શેરબજારમાંથી 1700 કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે.
એફઆઇઆઇ દ્વારા માર્કેટમાંથી 1700 કરોડનું જંગી મૂડી રોકાણ પાછું ખેંચવાના કારણો આ મુજબ છે.
1. ક્રૂડ ઓઇલની કિંમતમાં તીવ્ર ધટાડો થયા બાદ એફઆઇઆઇએ રોકાણ પાછું ખેંચવાનો નિર્ણય કર્યો છે.
2. વૈશ્વિક વિકાસની ગતિ ધીમી પડી છે. જેના કારણે રોકાણની સલામતીને પ્રાથમિકતા આપવામાં આવી છે.
3. વિદેશી મૂડીરોકાણકારોએ પહેલી જાન્યુઆરીથી નવમી જાન્યુઆરી વચ્ચેના ગાળામાં 18,544 કરોડની ઇક્વિટીની ખરીદી કરી છે જ્યારે તેઓએ 20,216કરોડની કિંમતના શેર વેચી દીધા છે.
4. વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણકારો તરફથી મૂડીરોકાણ ડિસેમ્બર મહિનામાં 10 મહિનાની નીચી સપાટીએ રૂપિયા 2100 કરોડ રહ્યું છે.
નોંધનીય છે કે વિદેશી મૂડીરોકાણકારોને હવે એફપીઆઈ, ફોરેન પોર્ટફોલિયો રોકાણકારો તરીકે પણ ગણવામાં આવે છે. ભારતમાં નવી રેગ્યુલેટરી વ્યવસ્થા હેઠળ ભારતમાં રોકાણ માટેની પ્રક્રિયા વધુ સરળ કરી દેવામાં આવી છે.
વિદેશી મૂડીરોકાણકારોએ ભારતીય ડેબ્ટ માર્કેટમાં પરિસ્થિતિનો લાભ ઉઠાવ્યો છે અને આ ગાળા દરમિયાન 2,620 કરોડનું રોકાણ કર્યું છે. ક્રૂડ ઓઇલની કિંમતમાં ધટાડો થવાના પરિણામ સ્વરુપે એફઆઈઆઈ પ્રવાહમાં ધટાડો થયો છે. જાણકાર લોકોનું કહેવું છે કે આ સ્થિતિ આવનારા સમયમાં યથાવત રહી શકે છે.
વર્ષ 2014માં વિદેશી મૂડીરોકાણકારો દ્વારા નેટ મૂડીરોકાણનો આંકડો ઇક્વિટીમાં 98,150 કરોડ હતો, જ્યારે ડેબ્ટ માર્કેટમાં 1.6 લાખ કરોડ રહ્યો હતો. માર્કેટ ડેટા દર્શાવે છે કે એફઆઈઆઈ દ્વારા 2013 દરમિયાન ઇક્વિટીમાં 1.13 લાખ કરોડ ઠાલવવામાં આવ્યા હતા.