ભારતીય સ્ટેટ બેંક પછી આ બેંક પણ આપશે ગ્રાહકોને ઝટકો!
ભારતીય સ્ટેટ બેંક પછી પંજાબ નેશનલ બેંકે પણ નવા નિયમ અને નવા દર દાખલ કર્યા છે. ત્યારે આ નવા નિયમો શું છે, તે અંગેે વધુ જાણો અહીં.
ભારતીય સ્ટેટ બેંક પછી પંજાબ નેશનલ બેંક પણ તેના ગ્રાહકોને મોટો ઝટકો આપવા જઇ રહી છે. હવે પંજાબ નેશનલ બેં અને તેની બીજી શાખામાંથી 5000 રૂપિયાથી વધુ રોકડા પૈસા જમા કરવા પર તમારે વધારાની ફી આપવી પડશે. અને આ નિયમ 1 સપ્ટેમ્બર 2017થી લાગુ થશે. એટલું જ નહીં પંજાબ નેશનલ બેંકની બીજી કોઇ શાખામાં 5000 રૂપિયાથી વધુ પૈસા જમા કરવતી વખતે તમારે પ્રતિ હજાર રૂપિયે 1 રૂપિયો બેંકને ચૂકવવો પડશે. જો કે પ્રતિ ટ્રાંજેક્શન તમારે ઓછામાં ઓછા 25 રૂપિયા ચાર્જ આપવો પડશે. અને સાથે જ શાખા બહાર હોય તો પ્રતિ હજાર રૂપિયે 2 રૂપિયા અને ન્યૂનતમ 25 રૂપિયા આપવા પડશે. જો કે તે તમારી મુખ્ય શાખા હોય તો તેમા પૈસા જમા કરાવવા માટે તમારે કોઇ ચાર્જ નહીં આપવો પડે.
સાથે જ બેંકે ચેક પરત કરવાના પર પણ સર્વિસ ચાર્જ લગાવ્યો છે. એક કરોડથી વધુના ચેકને પરત કરવા પર 2000 રૂપિયા સુધી અને ચેક બાઉન્સ પર 2500 રૂપિયા સુધી ચાર્જ લેવામાં આવશે. સાથે જ લોકરનું ભાડું પણ વધાર્યું છે. આમ ભારતીય સ્ટેટ બેંક પછી એક પછી એક અન્ય બેંકો પણ તેમના ચાર્જ વધારી રહી છે. અને નવા નિયમો દાખલ કરી રહી છે. જેના કારણે ગ્રાહકોની મુશ્કેલીઓ વધી છે.