કેન્દ્રીય કેબિનેટે વીમા ક્ષેત્રમાં 49 ટકા FDIને મંજુરી આપી
નવી દિલ્હી, 24 જુલાઇ : આજે કેન્દ્રીય કેબિનેટે વીમા ક્ષેત્રમાં FIPB મારફતે 49 ટકા FDIને મંજુરી આપી દીધી છે. સરકારે વીમા ક્ષેત્રમાં FDIને મંજુરી આપતા એ બાબતનું ખાસ ધ્યાન રાખ્યું છે કે તેનું સંચાલન ભારતીય હાથોમાં રહે. આ પહેલા વીમા ક્ષેત્રમાં 26 ટકા FDIને મંજુરી હતી. આ નિર્ણય આજે સવારે થયેલી બેઠકમાં લેવાયો છે.
કેબિનેટના નિર્ણય અનુસાર વીમા કંપનીઓ પરનો મેનેજમેન્ટ કન્ટ્રોલ ભારતીય પ્રમોટરોના હાથમાં જ રહેશે. સૂત્રો અનુસાર નરેન્દ્ર મોદીના વડપણમાં યોજાયેલી આ બેઠકમાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ વીમા ક્ષેત્રમાં 49 ટકા FDIના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.
આ સાથે લાંબા સમયથી પેન્ડીંગ ઇન્શ્યોરન્સ લો(સુધારા)બીલમાં સુધારા કરવાની પણ મંજૂરી મળી છે. આ બિલને હવે સંસદમાં રજૂ કરવામાં આવશે. ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી એક્ટ (IRDA), 1999ની રચના બાદ વર્ષ 2000માં વીમા ક્ષેત્ર ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લુ મૂકાયુ હતું. આ એક્ટ મુજબ વિદેશી રોકાણકારોને 26 ટાક સુધીના રોકાણની પરવાનગી આપવામાં આવી હતી જે હવે વધીને 49 ટકા થવાની છે.