પહેલી જાન્યુઆરીથી શરૂ થશે કેશ ટ્રાન્સફર સ્કીમ : ચિદમ્બરમ
કેન્દ્ર સરકારે સોમવારે ગરીબોની કલ્યાણ યોજનાઓ અને સબસિડીના નાણા સીધા તેમના આધાર કાર્ડ નંબર આધારિત બેંક એકાઉન્ટમાં જમા કરવાની યોજના 1 જાન્યુઆરી, 2013થી લાગુ કરવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ 1 ફેબ્રુઆરીથી આ યોજના અંતર્ગત બીજા 11 જિલ્લાઓને આવરી લેવામાં આવશે. સરકાર 1 માર્ચ, 2013થી બીજા 12 જિલ્લાઓમાં કેશ ફોર ટ્રાન્સફર યોજનાનું અમલીકરણ કરશે.
આ યોજના અંગે પી ચિદમ્બરમે જણાવ્યું કે અમે કેશ ટ્રાન્ફર યોજના પહેલી જાન્યુઆરી, 2013થી અમલી બનાવવા માટે દ્રઢ નિશ્ચયી હતા. પ્રથમ તબક્કામાં 43 જિલ્લાઓમાં તેનો અમલ કરાશે. આ યોજના અંગે માહિતી અને પ્રસારણ મંત્રી મનીષ તિવારીએ જણાવ્યું કે આ યોજનાથી લોકોને વાસ્તવમાં સીધો લાભ મળી શકશે.
કેન્દ્રની યુપીએ સરકાર એક વર્ષમાં સમગ્ર દેશમાં તેને અમલી બનાવવા માંગે છે. નાણા મંત્રાલયને વિશ્વાસ છે કે નાના મોટા વિલંબ સાથે આ યોજના વર્ષ 2013ના અંત સુધીમાં સમગ્ર દેશમાં અમલી બની જશે.