ફ્લિપકાર્ટની વેચાણ ઓફર્સ અંગે ફરિયાદો મળી : નિર્મલા સીતારમણ
નવી દિલ્હી, 8 ઓક્ટોબર : ઓનલાઇન શોપિંગ સાઇટ ફ્લિપકાર્ટ દ્વારા સોમવારે સવારે 8 વાગ્યાથી વિવિધ પ્રોડક્ટ્સ પર આપવામાં આવેલી ભારેખમ છૂટછાટને પગલે છુટક વેપારીઓએ આ અંગેની ફરિયાદ કરી છે કે ઓનલાઇન સાઇટ્સ તેમનો ધંધો છીનવી રહી છે.
આ ફરિયાદ બાદ આજે બુધવારે સરકારે જણાવ્યું છે કે તે રિટેલ વેપારીઓ દ્વારા કરવામાં આવેલી ફરિયાદ અંગે ગંભીરતાથી વિચારશે અને એ પણ જોશે કે શું ઇ-કોમર્સના છુટક વેપાર અંગે વધારે સ્પષ્ટતા કરવાની જરૂર છે?
નોંધનીય છે કે ફ્લિપકાર્ટ તરફથી સોમવારે 'બિગ બિલિયન ડે' સેલ દરમિયાન વિવિધ ઉત્પાદનો પર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું. આ કારણે નાના મોટા છુટક વેપારીઓએ ચિંતા વ્યક્ત કરી હતી કે આ પ્રકારના અભિયાનથી પરંપરાગત છુટક બજારને ખરાબ રીતે અસર થઇ રહી છે.
આ અંગે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે અમને આ અંગે ઘણી ફરિયાદો મળી છે. અનેક લોકોએ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. અમે આ અંગે વિચાર કરીશું.
આ ફરિયાદોને પગલે શું સરકાર ઇ-કોમર્સ રિટેલ ક્ષેત્ર માટે કોઇ ખાસ નીતિની રચના કરવા અંગે વિચારી રહી છે તેવા પ્રશ્નના જવાબમાં સીતારમણે જણાવ્યું કે અમે આ બાબતને જોઇ રહ્યા છીએ. આ અંગે અમને ઘણી ફરિયાદો મળી રહી છે. અમે આ મુદ્દાનો અભ્યાસ કરીશું. આ માટે કોઇ અલગ નીતિની જરૂર છે કે નહીં તે અંગે પણ વિચાર કરવામાં આવશે.
નોંધનીય છે કે હાલના સમયમાં અનેક ઇ-કોમર્સ પોર્ટલ્સ પર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ફ્લિપકાર્ટે એક નિવેદનમાં જણાવ્યું છે કે બિગ બિલિયન ડે' સેલના દિવસે તેમની સાઇટ પર અંદાજે 15 લાખ લોકોએ ખરીદી કરી છે. આ કારણે તેણે માત્ર 10 કલાકમાં જ રૂપિયા 600 કરોડનો માલ વેચ્યો છે.
આ પહેલા આ સપ્તાહમાં જ વેપારીઓના અગ્રણી સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (કેંટ) દ્વારા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીને ઓનલાઇન વેપાર પર નજર રાખવા અને નિયંત્રણ રાખવા માટે પગલાં લેવાની માંગ કરી હતી.