તમને ખબર છે? સોનાના ઘરેણાંમાં હોલમાર્કના સ્થાને પ્યોરિટી માર્ક આવશે?
નવી દિલ્હી, 8 ડિસેમ્બર : શું આપ જાણો છો કે આવનારા સમયાં સોના-ચાંદીના ઘરેણાની શુદ્ધતાની ખાતરી આપવા માટે હોલમાર્ક નહી પરંતુ શુધ્ધતા માર્ક લગાવવામાં આવશે? કેન્દ્ર સરકારે લોકોની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખતા હોલમાર્કનું નામ બદલવા વિચાર કર્યો છે. આનાથી લોકોને સોના-ચાંદીની શુધ્ધતાની ઓળખ કરવામાં સરળતા રહેશે.
આ અંગે કેન્દ્રીય માનક બ્યુરો ટુંક સમયમાં અમલ પણ શરૂ કરી દેશે. કેન્દ્રીય ઉપભોકતા મામલાના મંત્રી રામવિલાસ પાસવાને બીઆઇએસ અને મંત્રાલયના અધિકારીઓને ટુંક સમયમાં નામ બદલવાના નિર્દેશો આપી દીધા છે.
મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ છે કે મોટાભાગના લોકો હોલમાર્કનો અર્થ સમજી શકતા નથી તેથી તેનુ નામ સરળ બનાવવામાં આવશે. શુધ્ધતાની મહત્તાને લોકો જાણે છે અને તેના નિશાનને સરળતાથી ઓળખી શકે છે. સાથોસાથ પાસવાને રાષ્ટ્રીય ઉપભોકતા વિવાદ નિવારણ પંચનું નામ બદલવાના પણ નિર્દેશો આપ્યા છે.
પાસવાને કહ્યુ છે કે તેનુ નામ માત્ર રાષ્ટ્રીય ગ્રાહક પંચ હોવુ જોઇએ કે જેથી ગ્રાહકો સમજી શકે કે આ અમારા હિતોની રક્ષા માટે છે અને તેઓ તેનો ફાયદો ઉઠાવી શકે. આનાથી છેતરપીંડી પણ અટકશે.
કેન્દ્ર સરકાર ગ્રાહકોના હિતોની રક્ષા માટે ગ્રાહક સંરક્ષણ એકટમાં પણ ફેરફારો કરશે. ટુંક સમયમાં આ બાબતે સંસદમાં ખરડો પણ આવશે. પ્રસ્તાવિત ફેરફારમાં ગ્રાહક ફોરમ અને કમીશનને વધુ અધિકારો આપવામાં આવશે અને એ પણ નક્કી કરાશે કે કેટલા સમયમાં ગ્રાહકને ન્યાય મળે છે.