પ્રધાનમંત્રી જન ધન યોજનાની ટ્રાન્ઝેક્શન લિમિટ અંગે EPFOને મૂંઝવણ
પ્રધાનમંત્રી જન ધન યોજના અંતર્ગત ખોલવામાં આવેલા બેંક ખાતાઓમાં રકમ જમા કરાવવાની નાણાકીય મર્યાદા એક વર્ષમાં માત્ર એક લાખ રૂપિયા હોવાથી ઇપીએફઓની સામે મુશ્કેલીઓ આવી રહી છે. એવા શ્રમિકો જેમના બેંક ખાતા જન ધન યોજના હેઠળ આવે છે તેમના ખાતામાં વાર્ષિક એક લાખ રૂપિયા સુધીની રકમ જ જમા થઇ શકે એમ છે.
આ નાણાકીય મર્યાદાને કારણે ઇપીએફઓ તરફથી શ્રમિકોના ખાતામાં પીએફની વધારે રકમ જમા કરાવવાની સંભાવના નથી રહેતી. કારણ કે અનેક વર્ષો સુધી કામ કરનારા શ્રમિકોનું પીએફ ઘણીવાર લાખો રૂપિયામાં હોય છે.
નોંધનીય છે કે પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત જે બેંક ખાતા ખોલવામાં આવ્યા છે તેમને યુનિવર્સલ પીએફ એકાઉન્ટ નંબર (યુએએન) સાથે જોડવામાં આવ્યા છે.
ઇપીએફઓના કમિશનર કે કે જાલાને આ સંદર્ભમાં એક બેઠક યોજી હતી અને આવી અનેક સમસ્યાઓ અને તેના સંભવિત નિરાકરણ અંગે ચર્ચા કરી હતી. આ સમસ્યાના ઉકેલ માટે ઇપીએફઓ સરકારનો સંપર્ક સાધે તેવી સંભાવના છે.