EPFO ત્રણ જ દિવસમાં દાવાઓનું નિરાકરણ લાવશે
દાવાઓનું ઝડપી નિરાકરણ લાવવાના પ્રસ્તાવને અમલી બનાવવા માટે ઇપીએફઓ દ્વારા 5 જુલાઇના રોજ તમામ ઝોનલ પ્રમુખોની એક બેઠક બોલાવવામાં આવીછે. આ બેઠકમાં સમગ્ર કાર્યયોજનાની રૂપરેખા તૈયાર કરવામાં આવશે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનને ચાલુ નાણાકીય વર્ષમાં 1.2 કરોડ દાવા કરવાની સંભાવના છે. આટલી સંખ્યામાંથી જો અંદાજે 70 ટકા દાવાઓનું ત્રણ દિવસમાં નિરાકરણ લાવી દેવામાં આવે તો પણ તેનાથી અંદાજે 84 લાખ દાવેદારોને લાભ મળશે.
દાવાઓના ત્વરિત નિકાલના સંદર્ભે ઇપીએફઓએ જણાવ્યું કે સંગઠનની છબી સુધારવા માટે એક સત્તાવાર આદેશ જાહેર કરવાની જરૂર છે. ઉલ્લેખનીય છે કે ઇપીએફઓએ આ વર્ષે 15 જૂન સુધી મેળેલા તમામ દાવાઓના નિરાકરણ માટેનું એક અભિયાન ચલાવ્યું છે. આ વર્ષે 11 જૂન સુધી 5,38,704 દાવાઓનું નિરાકરણ બાકી હતું.
ઇપીએફઓએ વર્ષ 2012-13માં 1.08 કરોડ દાવાઓની પતાવટ કરી છે. જેમાં 12.62 લાખ દાવેદારો એ બાબતથી અસંતુષ્ટ હતા કે તેમના દાવાઓનો નિકાલ 30 દિવસની અંદર કરવામાં આવ્યો નથી. એટલું જ નહીં 1.41 લાખ દાવાઓનો નિકાલ 90 દિવસ બાદ પણ કરવામાં આવ્યો ન હતો. જેના કારણે ઇપીએફઓની છબીને નુકસાન પહોંચ્યું છે.