રક્ષા વિભાગમાં FDI વધારવાથી ઘરેલુ ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે : અરૂણ જેટલી
નવી દિલ્હી, 18 જુલાઇ : રક્ષા ક્ષેત્રમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણ (ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ - FDI)ની મર્યાદા વધારીને 49 ટકા કરવાની વિપક્ષ દ્વારા કરવામાં આવેલી ટીકાનો જવાબ આપતા નાણા અને રક્ષા મંત્રી અરૂણ જેટલીએ આજે સંસદમાં જણાવ્યું કે દેશના સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે આમ કરવું જરૂરી છે. કારણ કે સેના માટે આજે પણ 70 ટકા માલ સામાન આયાત કરવામાં આવે છે.
નાણા પ્રધાને રક્ષા ક્ષેત્રમાં એફડીઆઇની સીમા 26 ટકાથી વધારીની 49 ટકા કરવાના નિર્ણયને યોગ્ય ઠેરવતા જણાવ્યું કે દેશની રક્ષા જરૂરિયાતો માટે આપણે વિદેશો પર નિર્ભર રહેવું પડે છે. આવી સ્થિતિમાં લડાઇ થતા આ દેશો ગમે ત્યારે પુરવઠો રોકી શકે છે. જો આપણા દેશમાં આપણે આ વસ્તુઓ બનાવતા થઇશું તો અન્ય દેશો પર નિર્ભરતા ઘટવાની સાથે આપણા ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે.
સંસદમાં એક સભ્યના સૂચનનો જવાબ આપતા રક્ષા મંત્રીએ જણાવ્યું કે રક્ષા ક્ષેત્રમાં એફડીઆઇની સીમા વધારીને 49 ટકા કરી શકાય છે તો તેને 51 ટકા પણ કરી શકાય છે. તેને 49 ટકા એટલા માટે રાખવામાં આવી છે કે નિયંત્રણ ભારતીય હાથોમાં રહે.
જેટલીએ જણાવ્યું કે રક્ષા ક્ષેત્રને એફડીઆઇ માટે સૌ પ્રથમ વાજપેયી સરકારના શાસનમાં ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. ત્યારે આ ક્ષેત્રમાં 26 ટકા એફડીઆઇને અનુમતિ આપવામાં આવી હતી. ત્યાર બાદ જ તેમાં ટાટા, મહિન્દ્રા અને અન્ય સમૂહોએ પ્રવેશ કર્યો છે. તેમણે જણાવ્યું કે એનડીએ સરકારની ઓફસેટ પોલિસી મુજબ વિદેશી કંપનીઓએ તેમને મળેલા 300 કરોડ રૂપિયાથી વધારે રકમના કોન્ટ્રાક્ટમાં ઓછામાં ઓછી 30 ટકા રકમ ભારતીય બજારમાં રોકવી પડે છે. જેના કારણે ભારતીય ઉદ્યોગ ક્ષેત્રને પ્રોત્સાહન મળે છે.
નાણા મંત્રીએ જણાવ્યું કે છેલ્લા 3-4 વર્ષથી દેશની આર્થિક સ્થિતિ અને અર્થતંત્ર અંગે નિરાશા છે. દેશમાં અસ્થિર નીતિઓને પગલે રોકાણકીરોનો ભરોસો ઘટી ગયો છે. યૂપીએના કાર્યકાળમાં કરવામાં આવેલા કાર્યો અંગે નાણા મંત્રીએ નિરાશા સાધી અને કહ્યુ કે કોઈપણ સરકારમાં પ્રધાનમંત્રીનું જ ચાલવું જોઈએ.
નાણા મંત્રીએ સંસદમાં જણાવ્યું કે છેલ્લી તારીખથી ટેક્સના ચાલતા બિઝનેસનો માહોલ ખરાબ થયો છે. સાથે જ તેમણે જોર આપ્યુ કે સબ્સિડી ખાલી જરૂરિયાતમંદોને જ મળવી જોઈએ. નાણા મંત્રીએ કહ્યુ કે મોંધવારી કાબૂમાં કરવા માટે બજેટ ઉપરાંતના પગલા પણ ઉઠાવામાં આવશે. આ ઉપરાંત જીએસટી માટે સહમતિ બનાવાની કોશિશ થઈ રહી છે.
નાણા મંત્રીએ અર્થતંત્રની મજબૂતી માટે પાવર અને રિયલ એસ્ટેટ સેક્ટર પર ફોક્સ વધારવાના પણ સંકેત આપ્યા. કર છૂટના દાયરા વધારવાના મામલા પર તેમણે કહ્યુ કે તેના માટે સરકારની પાસે વધારે પૈસા નથી.