વૈશ્વિક મંદી: મધ્યમ વર્ગ લક્ઝરી સામાનથી દૂર રહ્યો
એકવાર ફરી વૈશ્વિકમંદીના ભણકારાને પગલે ભારતીય અર્થવ્યવસ્થા પર પણ મંદીના વાદળો છવાઈ રહ્યા છે. ભારતમાં મંદીની અસરથી પ્રભાવિત થનારા 3 સેક્ટરમાં સૌથી પ્રમુખ આવે છે
એકવાર ફરી વૈશ્વિકમંદીના ભણકારાને પગલે ભારતીય અર્થવ્યવસ્થા પર પણ મંદીના વાદળો છવાઈ રહ્યા છે. ભારતમાં મંદીની અસરથી પ્રભાવિત થનારા 3 સેક્ટરમાં સૌથી પ્રમુખ આવે છે ઓટો સેક્ટર, જ્યારે બીજા નંબરે ટેક્સટાઈલ્સ ઈન્ડસ્ટ્રીઝ અને ત્રીજા નંબરે છે રિયલ એસ્ટેટ સેક્ટર. આ 3 સેક્ટર પર મંદીનો સૌથુ વધુ માર પડી રહ્યો છે. મંદીની અસર હેઠળના આ ત્રણે સેક્ટર લક્ઝરી પ્રોડક્ટ બનાવે છે. પેસેન્જર ગાડીઓ, બ્રાન્ડેડ કપડા અને હાઉસિંગ સોસાયટી જેવા મામલા હાલ ભારતીય ખરીદદારોની માનસિકતાની પ્રાથમિકતાથી ઘણા દૂર છે.
આવક વૃદ્ધિ દરમાં ઘટાડો
મંદીના અણસારથી લોહીલુહાણ થયેલા આ ત્રણે સેક્ટરના ઘડામ કરી પડવા પાછળ વિશ્લેષકો તર્ક આપતા જણાવે છે કે, લોકોની આવક વૃદ્ધિ દરમાં ઉત્તરોત્તર આવી રહેલો ઘટાડો આ માટે જવાબદાર છે, કારણ કે આવક વૃદ્ધિ દર ગગડવાથી આ ત્રણે સેક્ટર દ્વારા નિર્મિત પ્રોડક્ટ્સની ખરીદી ઓછી થઈ ગઈ છે. આવક વૃદ્ધિ દરમાં ઘટાડો થવાને કારણે લોકોની જરૂરિયાતો સમેટાઈ ગઈ છે અને તેઓ બચેલા પૈસાની બચત કરવા લાગ્યા છે. જેથી લક્ઝરી પ્રોડક્ટસમાં બહુસંખ્યક મધ્યમ વર્ગ તરફથી આવતો પૈસાનો પ્રવાહ ધટી ગયો છે.
આવકમાં વધારો થતા બજારમાં પાછો ફરશે મધ્યમવર્ગ
આપણે જાણીએ છીએ તે મુજબ મધ્યમ વર્ગ ભારતીય અર્થવ્યવસ્થાના કરોડરજ્જુ સમાન છે. મધ્યમવર્ગ બચતને પ્રાથમિકતા આપે છે. તેમના આ બચત કરવાને કારણે જ છેલ્લી ઘણી વૈશ્વિક મંદીમાં પણ ભારતીય અર્થવ્યવસ્થાનો વાળ પણ વાંકો થઈ ચૂક્યો નથી. વર્તમાન સમયમાં ભારતીય અર્થવ્યવસ્થાના પાયા સમાન મધ્યમવર્ગ ઉંટની સમાન પડખુ ફેરવી રહ્યુ છે અને આવક ઘટવાને કારણે તે પોતાની ખોલમાં પાછુ જતુ રહ્યુ છે. હાલ તેમનું તમામ ધ્યાન લક્ઝરી વસ્તુઓને છોડી જીવનજરૂરિયાતની સામાન્ય વસ્તુઓ પર કેન્દ્રિત છે. જો આવક વધશે, તો તેઓ ફરી લક્ઝરી બજારોમાં રોનક લાવી શકે છે.
મંદી-મંદીની બુમાબુમ
બજાર વ્યવહારને સમજનારા જાણે છે કે માંગ અને પુરવઠો કંપનીઓના પ્રોડક્શનનું લક્ષ્ય વધારવા અને ઘટાડવાનો પ્રમુખ કારક છે. મહત્વની વાત તો એ છે કે વધતી માંગને પૂરીં કરવા માટે કંપનીઓ પ્રોડક્શન લક્ષ્યને મહિને દર મહિને ઉંચુ કરવાનું એકવાર પણ વિચારતી નથી, જો કે ડિમાંડ ઘટતાની સાથે આ કંપનીઓ મંદી-મંદીની બુમાબુમ કરી મુકે છે. વાસ્તવમાં ડિમાંડ ઘટતાની સાથે કંપનીએ પોતાના પ્રોડક્શન લક્ષ્યમાં ફેરફાર કરવાનું વિચારવું જોઈએ.
લક્ષ્ય ઘટાડવાને બદલે કામદારોને ઘટાડે છે કંપની
ડિમાંડ વધતા તેની સપ્લાયને પૂરીં કરવા માટે કંપનીઓ પોતાનું પ્રોડક્શન લક્ષ્ય વારંવાર વધારે છે, પણ ડિમાંડ ઘટતા જ પ્રોડક્શન લક્ષ્ય ઘટાડવાને બદલે તેઓ સ્લો ડાઉન, મંદી અને કાસ્ટ કટિંગની બુમાબુમ કરી મુકે છે. કંપનીઓ વધતી ડિમાંડની સપ્લાઈ પૂરીં કરવા માટે કામદારોની સંખ્યા વધારે છે અને અંધાધુંધ નફો મેળવે છે, પણ જો ડિંમાંડ ઘટી જાય ત્યારે તેઓ આ કામદારોને દુધમાં માખીની જેમ કાઢીને ફેકી દે છે. જે નૈતિક અને વ્યવસાયિક બંને રીતે ખોટુ છે.
કામદારોની નોકરી છીનવાથી ખચકાતી નથી કંપનીઓ
વાસ્તવમાં કંપનીઓ મંદીનું રોદણું રડી ટ્રેડિંગ પ્રોફેશનલિઝમથી પીછો છોડાવી રહી છે અને પોતાની જવાબદારીથી ભાગી રહી છે. એટલું જ નહિં કાસ્ટ કટિંગને નામે કામદારોની નોકરી છીનવાથી જરાય ખચકાતી નથી. સ્લો ડાઉન અને મંદીનું રોદણું રડી પોતાની અમાનવિય હરકતોને છૂપાવનારી કંપનીઓ પ્રોડક્શન લક્ષ્ય વધારતી વખતે ભારતીય અર્થવ્યવસ્થાને શ્રેય આપવાનું ભૂલી જાય છે, પણ પ્રોડક્ટ્સની ડિમાંડ ઘટતાની સાથે જ ભારતીય અર્થવ્યવસ્થાના માથે ઠીકરું ફોડવા તૈયાર રહે છે.
સ્લો ડાઉન અને મંદીની આડમાં મનમાની કરતી કંપનીઓ
એક કંપની બમણો અને ચાર ગણો નફો કમાવવા માટે વઘતી ડિમાંડની સપ્લાઈ પૂરીં કરવા માટે હજારો લોકોને નોકરી પર રાખે છે. જો કે ડિમાંડ ઘટતા પ્રોડક્શન લક્ષ્ય ઘટાડવાને બદલે કામદારોની બલી લે છે. જે કંપનીઓની મનમાની દર્શાવે છે, જેના પર કોઈ સરકારી અંકુશ પણ નથી. અફસોસની વાત છે કે કંપની પોલીસી અને શ્રમ કાયદો પણ કંપનીઓને આમ કરવાથી રોકવામાં સક્ષમ નથી. જેથી કંપનીઓના અમાનવીય વ્યવહાર પર અંકુશ લગાવી શકાય.
2009માં વૈશ્વિક મંદી છતાં સ્થિર રહી ભારતીય અર્થવ્યવસ્થા
2009માં આવેલી વૈશ્વિક મંદી અને ભારતીય અર્થવ્યવસ્થામાં મંદીના અણસારમાં લક્ઝરી સામાન બનાવનારી કંપનીઓએ અનેક કામદારોની નોકરી છીનવી લીધી હતી, જો કે વૈશ્વિક મંદી છતાં ભારતીય અર્થવ્યવસ્થા સ્થિર હતી. તેની ભારતીય અર્થવ્યવસ્થા પર જરાય અસર ન્હોતી થઈ. જ્યારે અમેરિકા, યુરોપ સહિતના અનેક દેશોમાં મંદીની અસર જોવા મળી હતી.
ટાટા મોટર્સ, મારુતિ સુઝુકી અને મહિન્દ્રાના શેયરોમાં 55 %નો ઘટાડો
આર્થિક મંદીએ ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીઝને છેલ્લા એક વર્ષમાં ઘણું નુકશાન પહોંચાડ્યુ છે. વાસ્તવમાં 2015થી મધ્યમવર્ગની આવક વૃદ્ધિ દરમાં સતત ઘટાડો નોંધાતો જઈ રહ્યો છે. જેને આ કંપનીઓને મંદીથી નુકશાન થયુ છે. લક્ઝરી સામાન ખરીદવું એ ઉપભોક્તાની બચત અને રોકાણ સાથે જોડાયેલ છે. ટાટા મોટર્સ, મારુતિ સુઝુકી અને મહિન્દ્રાના શેયરોમાં 55 %નો ઘટાડો નોંધાયો છે. આ દરમિયાન આશરે 3 માસના સમય દરમિયાન વિવિધ કંપનીઓએ કુલ 2 લાખ લોકોની નોકરી છીનવી લીધી છે.
જુલાઈ 2019માં યાત્રી વાહનોમાં 30.9 ટકો ઘટાડો
સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સના આંકડા પ્રમાણે જુલાઈ 2019માં યાત્રી વાહનોની ખરીદી 30.09 ટકા ઘટી 2,00,790 સુધી પહોંચી ગઈ. ડિસેમ્બર 2000 બાદ આ સૌથી મોટો ઘટાડો છે. હાલની મંદીમાં SIAMનું કહેવું છે કે કોમર્શિયલ વાહનોનું વેચાણ 25.7 % ઘટી 56,866 રહી ગયુ છે. મોટરસાયકલ અને સ્કૂટરનું વેચાણ16.8 % ઘટી લગભગ 1.51 મિલિયન યુનિટ થઈ ગયું, જ્યારે યાત્રી કારનું વેચાણ 36 % ઘટી 122,956 યુનિટ થઈ ગયુ.
કાપડ ઉદ્યોગ સાથે જોડાયેલા 10 કરોડથી વધુ કામદાર
કાપડ મિલ સંગઠનો દ્વારા આપેલ એક જાહેરાતમાં નોકરીઓ ખતમ થયા બાદ ફેક્ટરીની બહાર નીકળતા લોકોનું સ્કેચ બનાવ્યુ છે અને નીચે મોટા આકારમાં લખ્યુ છે કે દેશની વન-થર્ડ દોરા મીલ બંધ થઈ ચૂકી છે, અને તેમની સ્થિતિ ખેડૂતો પાસેથી કપાસ ખરીદવા સુધીની નથી. અનુમાન અનુસાર હવે કપાસના પાકને ખરીદદારો પણ મળશે નહિં. કાપડ ઉદ્યોગ દેશમાં આશરે 10 કરોડથી વધુ લોકોને રોજગારી આપે છે. ટેક્સટાઈલ એસોશિએશનના અનીલ જૈને જણાવ્યુ કે ટેક્સટાઈલ સેક્ટમાં 25થી 50 લાખ નોકરી ગઈ છે. દોરા ફેક્ટરીમાં એક અને બે દિવસની બંદી થવા લાગી છે, દોરાની નિકાસ 33 ટકા ઓછી થઈ ગઈ છે.
પારલે કંપનીના 10000 કર્મચારીઓ પર લટકી તલવાર
એક તરફ જ્યાં ખાન-પાનના સામાન ફાસ્ટ મુવિંગ કન્ઝ્યુમર ગુડ્સની માંગ ઝડપથી વધી રહી હતી ત્યાં જ એપ્રિલ-જૂન ત્રિમાસમાં વોલ્યુમ ગ્રોથમાં ધટાડો આવ્યો છે. ગામડાના વિસ્તારમાં માંગમાં વધુ ઘટાડો આવ્યો છે. ગ્રામીણ ક્ષેત્રે ધનની અછત રહેતા આમ થઈ રહ્યુ છે. પારલે ગ્રુપના પારલે-જી બિસ્કીટનું નામ તેમાં પ્રમુખ છે. કંપની મંદીના બહાને 10000 કામગારોને કિનારે લગાવી શકે છે. કંપનીના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે ગ્રામીણ વિસ્તારોમાં પારલે-જી બિસ્કીટની ડિમાંડ ઘટી છે, જેને કારણે ઉત્પાદન ઘટ્યુ છે.
હિન્દુસ્તાન લિવરમાં 5.5 ટકાની વૃદ્ધિ
એફએમસીજીની પ્રમુખ કંપની હિંદુસ્તાન લીવરમાં એપ્રિલ-જૂન દરમિયાન 5.5 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. ડાબરમાં પાછલા વર્ષની સરખામણીએ 21 ટકાથી વૃદ્ધિ સામે 6 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. બ્રિટાનિકા ઈન્ડસ્ટ્રીઝમાં પાછલા વર્ષની સરખામણીએ 6 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. સાથે જ એશિયન પેઈન્ટ પાછલા વર્ષની સરખામણીએ 12 ટકા ઘટી 9 ટકા થઈ ગયો છે.
220 પ્રોજેક્ટના 1.74 લાખ ઘરોનું નિર્માણ અટક્યુ છે
એનારૉક પ્રોપર્ટી કન્સલ્ટન્ટના આંકડા પર ભરોસો કરીએ તો દેશના રિયલ એસ્ટેટ ઈન્ડસ્ટ્રીઝની સ્થિતિ ઘણી ખરાબ છે. દેશના સાત શહેરોમાં 220 પ્રોજેક્ટસના લગભગ 1.74 લાખ ઘરોનું નિર્માણ કામ અટકેલું છે. નેશનલ રિયલ સ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલનું માનીએ તો રિયલ એસ્ટેટની આશરે 3 લાખ નોકરી ગઈ છે અને જો વર્ષના અંત સુધી સુધારો નહિં આવે તો 50 લાખ નોકરીઓ જવાની શક્યતા છે. વર્ષ 2013 અને તે પૂર્વે લોન્ચ થયેલ બિલ્ડિંગ પ્રોજેક્ટ્સ પર કોઈ નિર્માણ કાર્ય થઈ રહ્યુ નથી. જે ઘરોનું નિર્માણ કાર્ય અટક્યુ છે તેની કિંમત આશરે 1.774 અબજ છે. કહેવાય છે કે તે માટે સરકારની નીતિઓ જવાબદાર છે, જેને કારણે લોકોની ખરીદીની ક્ષમતા ઘટી ગઈ છે.
આ પણ વાંચો: મોદી 2.0ના પહેલા 100 દિવસમાં શેર માર્કેટ રોકાણ કરતા લોકોના 14 લાખ કરોડ ડૂબ્યા