GMR મુદ્દે માલદીવને ભારતે કડક સંદેશો પાઠવ્યો
આ સાથે જ ભારતે ચેતવણી આપી છે કે આ પ્રકારની કોઇ પણ કામગીરીથી બંને દેશોની વચ્ચે દ્વિપક્ષીય સંબંધો પર પ્રતિકૂળ અસર પડશે.
GMR મુદ્દે એક પ્રશ્નનો જવાબ આપતા વિદેશ મંત્રાલયના અધિકૃત પ્રવક્તાએ એમ પણ જણાવ્યું કે "અમે માલદીવમાં ચાલી રહેલી હિંસા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની વિરુધ્ધ ધમકીઓ અને અતિવાદી ભાવના વિશે આવી રહેલા અહેવાલોને પગલે ચિંતિત છે." આ સાથે તેમણે માલદીવને કાયદાનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવે અને લોકતંત્રના સિધ્ધાંતો અને ભાવનાઓ યથાવત રાખવામાં આવે તેનું ધ્યાન રાખવા જણાવ્યું. તેમણે જણાવ્યું કે અમે સમગ્ર પરિસ્થિતિ પર નરજ રાખી રહ્યા છીએ.
આ મુદ્દે માલદીવના વિદેશમંત્રી અબ્દુલ સામદ અબ્દુલ્લાની સાથે વિદેશમંત્રી સલમાન ખુર્શીદની વાતચીતને ટાંકીને પ્રવક્તાએ જણાવ્યું કે માલદીવના વિદેશમંત્રીએ ઉલ્લેખ કર્યો છે કે તેમની સરકાર ભારત સાથે દ્વિપક્ષીય સંબંધોને ખરાબ થવા દેશે નહીં. આ મુદ્દે સહમતિ છે.
વાતચીત દરમિયાન ખુર્શીદે માલદીવના વિદેશમંત્રીને અગાઉ થયેલી વાતચીત વિશે ધ્યાન દોર્યું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે GMR મામલે કાયદાકીય પ્રક્રિયા પૂરી થવા દેવામાં પૂરતો સમય આપવો જોઇએ. માલદીવ સરકારને સ્થિતિ હાથમાંથી જવા દેવી જોઇએ નહીં.
ઉલ્લેખનીય છે કે માલદીવની સરકારે માલેમાં જીએમઆરની 50 કરોડ ડૉલરની એરપોર્ટ યોજના રદ કરી છે. આ કારણે માલદીવ સરકારે ભારતની ચિંતા દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો.