જીએસટીના દરોમાં ઘટાડો, 50 થી વધુ વસ્તુઓ થઈ સસ્તી
જીએસટી કાઉન્સિલની બેઠકમાં સામાન્ય જનતાની જરૂરતની લગભગ 50 થી વધુ વસ્તુઓ પર ટેક્સના દરો ઘટાડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
જીએસટી કાઉન્સિલની બેઠકમાં સામાન્ય જનતાની જરૂરતની લગભગ 50 થી વધુ વસ્તુઓ પર ટેક્સના દરો ઘટાડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. વળી, આ નિર્ણય બાદ 27 જુલાઈથી આ વસ્તુઓ સસ્તી થઈ છે. પિયુષ ગોયલની અધ્યક્ષતામા જીએસટી કાઉન્સિલની બેઠકમાં સેનિટરી નેપકિનને જીએસટીમાંથી બહાર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેના પર દેશભરની મહિલાઓએ ખુશી વ્યક્ત કરી હતી. આ ઉપરાંત ટીવી, ફ્રિઝ પર પણ જીએસટીની દરો ઘટાડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
50 થી વધુ સામાન પર ઘટ્યો જીએસટી
જીએસટી કાઉન્સિલની બેઠકમાં લેવાયેલા નિર્ણય બાદ પર્ફ્યુમ્સ, લીથિયમ બેટરી, ટીવી, વેક્યુમ ક્લીનર, ફૂડ ગ્રાઈન્ડર, હેર ડ્રાયર, વાર્નિશ, વોટર કુલર, મિલ્ક કુલર, મિક્સર, સ્ટોરેજ વોટર હિટર, આઈસ્ક્રીમ કુલર, ટોયલેટ સ્પ્રે વગેરે પર જીએસટી હવે 18 ટકા કરી દેવામાં આવ્યો છે. જ્યારે આ પહેલા આ સામાનો પર 28 ટકા ટેક્સ આપવો પડતો હતો જેના કારણે લોકોના ખિસ્સા ખાલી થતા હતા. પેઈન્ટિંગ માટે ઉપયોગમાં લેવાતા વુડન બોક્સ ઉપરાંત હેન્ડબેગ્ઝ, જ્વેલરી બોક્સ વગેરે પર જીએસટી ઘટાડીને 12 ટકા કરી દીધો છે. મહિલાઓના સેનેટરી નેપકીનને જીએસટીમાંથી બહાર કરાતા ખુશી વ્યક્ત કરવામાં આવી હતી અને આને મોટી રાહત ગણાવવામાં આવી હતી.
વેપારીઓને પણ મળી રાહત
વોશિંગ મશીન પર ટેક્સ 28 ટકા ઘટાડીને 18 ટકા કરી દેવામાં આવ્યો છે. જ્યારે 1000 રૂપિયાના ચંપલ પર પણ ટેક્સ ઘટાડીને 5 ટકા કરી દેવામાં આવ્યો છે. વળી, સરકારે વેપારીઓ માટે જીએસટી રિટર્નના નિયમોમાં સરળતા પ્રદાન કરી છે. વેપારીઓ માટે ભરાતુ ફોર્મ હવે 1 પેજનું કરી દેવામાં આવ્યુ છે.
એમએસએમઈ સેક્ટરને રાહત આપવા અંગે વિચાર
વળી, નાણાંમંત્રી પિયુષ ગોયલે જણાવ્યુ કે 4 ઓગસ્ટના રોજ થનારી બેઠકમાં એમએસએમઈ સેક્ટરને રાહત આપવા પર જીએસટી કાઉન્સિલ વિચાર કરશે. વળી, રિવર્સ ચાર્જ મિકેનિઝમને પણ 4 સપ્ટેમ્બર સુધી ટાળી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે જીએસટી લાગુ થયા બાદ રિટર્ન અંગે વેપારીઓએ વારંવાર વાંધો દર્શાવ્યો હતો ત્યારબાદ સરકારે તેમને પણ રાહત આપવાનો નિર્ણય કર્યો છે.